Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

હોમ લોન પર સબસિડી લેવામાં હવે ટેકસ ડિપાર્ટમેન્ટ કરશે મદદ

પ્રથમવાર ઘર ખરીદનારા લોકોને સબસિડીવાળી લોન પાસ કરાવવા માટે બેંક શાખાઓની રાહ નહી જોવી પડે

નવી દિલ્હી તા. ૩૧ : સરકાર લોકસભા ચૂંટણી પહેલાં શહેરી વિસ્તારોમાં વડાપ્રધાન આવાસ યોજનાનો લાભ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા માટે વિશેષ અભિયાન ચલાવવા જઈ રહી છે. આ યોજના અંતર્ગત ઘર ખરીદનારા લોકોને હોમ લોનના વ્યાજ પર સબસિડી આપવામાં આવે છે.

સરકારની પહેલની અસર એ થશે કે પ્રથમવાર ઘર ખરીદનારા લોકોને સબસિડીવાળી લોન પાસ કરાવવા માટે બેંક શાખાઓની રાહ નહી જોવી પડે. હકીકતમાં સરકાર હવે ઈનકમ ટેકસના આંકડાઓનું વિશ્લેષણ કરીને સંભવિત લાભાર્થીઓની ઓળખ પોતે જ કરી રહી છે. એકવાર ઓળખ થઈ જવા પર ટેકસ ડિપાર્ટમેન્ટથી તેમને સર્ટિફીકેટ પ્રાપ્ત થશે જેના ઉપયોગથી તેઓ પીએમવાય અંતર્ગત સબસિડીવાળી લોન લઈ શકશે.

૧૮ લાખ રૂપિયા સુધીની વાર્ષીક આવક ધરાવતા લોકો પોતાનું પહેલું ઘર ખરીદવા માટે પીએમ આવાસ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. આ આવક વર્ગનો કોઈ વ્યકિત જો પોતાનું ઘર બનાવડાવે પણ છે તો પણ તેને પીએમએવાયનો લાભ પ્રાપ્ત થશે. તે ૨૦ વર્ષની હોમ લોન પર ૬ લાખ રૂપિયા સુધીની ક્રેડિટ લિંકડ પ્રાપ્ત કરવાનો હકદાર છે. ખાસ વાત એ છે કે તેમને સબસિડીના ૨.૫ થી ૨.૭ લાખ રૂપિયા લોન લેતા સમયે મળી જશે. આંકડાઓ દર્શાવે છે કે ડિસેમ્બર ૨૦૧૮ના અંત સુધીમાં ૩.૪ લાખ લોકોએ પીએમએવાય અંતર્ગત ઈન્ટરેસ્ટ સબસિડીનો લાભ ઉઠાવ્યો હતો. જો કે અધિકારીઓનું માનવું છે કે યોગ્ય આંકડો ઘણો વધારે હશે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર લાભાર્થીઓને સરકારી યોજનાઓ અંતર્ગત મળી રહેલા લાભની જાણકારી નથી હોતી અથવા તો તેમને લાભ લેવા માટે ખૂબ ભાગદોડ કરવી પડે છે. સોમવારના રોજના નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહેલા કેન્દ્રીયપ્રધાન પીયૂષ ગોયલ સાથે સરકારી બેંકો સાથે થયેલી મીટિંગમાં પણ આના પર ચર્ચા થઈ ગઈ છે. હવે ચાર બેંકરો અને હાઉસિંગ સેક્રેટરી ડીએસ મીશ્રાની એક કમિટી આવનારા કેટલાક દિવસોમાં આની વિસ્તૃત રૂપરેખા તૈયાર કરી લેશે અને પછી આવતા સપ્તાહની આસપાસ યોજના અમલમાં આવી જશે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નરેન્દ્ર મોદી સરકારની વિભિન્ન યોજનાઓની જેમ આના પાછળનો વિચાર પણ ઈમાનદારીથી ટેકસ ભરનારા લોકોને ભેટ આપવાનો અને ગરીબી રેખા નીચે જીવન વ્યતીત કરતા લોકોની સહાયતા કરવાનો છે. સરકારને લાગે છે કે આ નવી પહેલથી હાઉસિંગ સેકટર પર લાંબા સમય સુધી સકારાત્મક અસર થશે અને સાથે જ વડાપ્રધાન મોદીની મહત્વાકાંક્ષી પીએમવાય યોજનાનું લક્ષ્ય પૂર્ણ કરવામાં મદદ પ્રાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ રીયલ એસ્ટેટ સેકટરનો વ્યાપાર મંદ પડ્યો છે જેનાથી મોટાપાયે નોકરીઓ ખતમ થઈ રહી છે.

(3:12 pm IST)