Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

હોસ્પિટલના ફ્રીઝરમાં પડ્યા રહ્યા બે કોરોના દર્દીના મૃતદેહ : ૧૬ મહિના બાદ તંત્રને પડી ખબર

બેંગલુરૂ,તા.૩૦: દુનિયાને અલવિદા કહેનાર મુનિરાજુનો પરિવાર આજે છેતરાયાનો અહેસાસ કરી રહ્યો છે. ૬૭ વર્ષના મુનિરાજુનું મૃત્યુ ૨ જુલાઈ ૨૦૨૦ના કોરોનાને કારણે બેંગલુરૂની ESI હોસ્પિટલમાં થયું હતું. તે સમયે કોરોનાની પ્રથમ લહેર હતી, જયારે મૃતકોના મૃતદેહને પરિવારજનોને આપવામાં આવતા નહોતા. પરિવારે પણ હોસ્પિટલ અને બેંગલુરૂ કોર્પોરેશનને તે વાતની સહમતિ આપી હતી કે મુનિરાજુના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.

લગભગ આવી કહાની ૪૦ વર્ષના દુર્ગાની પણ છે. દુર્ગાનું નિધન પણ ૨ જુલાઈ ૨૦૨૦ના થયું અને આગામી દિવસે તંત્ર તરફથી તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ આ બંને મૃતદેહોનું સત્ય તે છે કે બંનેના મૃતદેહ  ESI હોસ્પિટલના શબ ગૃહના રેફ્રિઝરેટરમાં પડ્યા રહ્યાં અને સડી ગયા. આ મૃતદેહોની કોઈએ દરકાર લીધી નહીં. બીજીતરફ બંનેના પરિવારજનો માનતા હતા કે તેમના અંતિમ સંસ્કાર થઈ ચુકયા છે અને તે પોત-પોતાના ધાર્મિક રીતિ રિવાજ પ્રમાણે શ્રાદ્ઘ ક્રિયા કરી ચુકયા છે.

બંનેના મૃતદેહો હોસ્પિટલના શબગૃહમાં પડ્યા છે. આ વાતનો ખુલાસો પાછલા શનિવારે થયો ત્યારબાદ હોસ્પિટલની અંદર હડકંપ મચી ગયો હતો. મૃતદેહ કઈ સ્થિતિમાં શોધવામાં આવ્યા કે કઈ રીતે સામે આવ્યા તેને લઈને હોસ્પિટલ તરફથી ન તો કોઈ સ્પષ્ટતા આવી છે ન તો હોસ્પિટલના કોઈ અધિકારી આ મુદ્દે બોલવા તૈયાર છે.

હોસ્પિટલના સૂત્રો પ્રમાણે આ બંને મૃતદેહોને હોસ્પિટલના જૂના શબગૃહના ફ્રીઝરમાં રાખવામાં આવ્યા હતા અને હોસ્પિટલના કર્મચારી બેંગલુરૂ કોર્પોરેશનના કર્મચારીની રાહ જોઈ રહ્યાં હતા. આ દરમિયાન હોસ્પિટલમાં નવુ મડદાઘર શરૂ થઈ ગયું અને ત્યારબાદ બધા મૃતદેહોને નવા મડદાઘરમાં રાખવામાં આવતા હતા. આ બંને મૃતદેહો જૂના શબગૃહમાં જ રહી ગયા. આશરે ૧૬ મહિના બાદ શનિવારે આ માહિતી મળી હતી.

ઘટના સામે આવ્યા બાદ હવે પોલીસે કેસ દાખલ કર્યો છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કેસ બેદરકારીનો છે કે તેની પાછળ કોઈ કારણ હોઈ શકે છે. આ વચ્ચે પોલીસની વિનંતી પર બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.

(10:09 am IST)