Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ડુંગળીની નિકાસ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મુકવાનો નિર્ણય

ડુંગળીની આસમાને પહોંચેલી કિંમત વચ્ચે મોટો નિર્ણય કરાયો : દેશભરમાં ડુંગળીની અછત બાદ કિંમતોમાં આવેલા તીવ્ર ઉછાળો વચ્ચે નિર્ણય લેવાતા સામાન્ય લોકોને તહેવારોમાં મોટી રાહત થશે : દિલ્હીમાં પણ પગલા

નવીદિલ્હી,તા.૨૯ : ડુંગળીના વધતા જતા ભાવને લઈને ચિંતિત બનેલી સરકારે આજે વધુ પગલા લીધા હતા. જેના ભાગરૂપે સરકારે સ્થાનિક બજારમાં ડુંગળી વધુ પ્રમાણમાં ઉપલબ્ધ બને તે હેતુસર ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ વધતા જતા ભાવને પણ કાબુમાં લેવામાં સફળતા મળશે. ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ તાત્કાલિક ધોરણે અમલી કરવામાં આવ્યો છે. સામાન્ય લોકોને તહેવારની સીઝનમાં ડુંગળી સસ્તા ભાવે ઉપલબ્ધ થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. હાલમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચતા સામાન્ય લોકો દ્વારા વ્યાપક ટીકા કરવામાં આવી રહી હતી. કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં બફર સ્ટોક માથી ડુંગળીનો જથ્થો જારી કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા સંગ્રહખોરી સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. ડુંગળીના સંગ્રહખોરી કરનાર લોકો સામે કઠોર પગલા લેવાની ચેતવણી આપવામાં આવી હતી. પુરના કારણે પૂરવઠો ન પહોંચતા ભાવ હાલ આસમાને પહોંચ્યા હતા. ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા બાદ આજે નિકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જેથી કિંમતો હવે કાબુમાં આવશે. આના માટે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ડુંગળીની નિકાસ નિતીમાં આગામી આદેશ સુધી સુધારો કરવામાં આવ્યો છે. બીજી બાજુ દિલ્હી સરકારે મોબાઈલ વેન મારફતે ૨૪ રૂપિયા કિલ્લોના ભાવે ડુંગળી વેચવાની શરૂઆત કરી દીધી છે. હાલમાં જ કેન્દ્ર સરકાર કહી ચુકી છે કે, કેન્દ્રની પાસે ડુંગળીનો પુરતો જથ્થો રહેલો છે. જુદા જુદા રાજ્યોમાં પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવશે. દિલ્હીના લોકોને સસ્તા દરે ડુંગળીનો જથ્થો પહોંચડવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારના દિવસે સચિવાલયમાંથી મોબાઈલ વેનને લીલીઝંડી આપી હતી. દિલ્હીમાં ૭૦ મોબાઈલ વેન સાથે રેશનિંગની ૪૦૦ દુકાનોમાંથી ડુંગળીનો જથ્થો આપવામાં આવી રહ્યો છે. નાગપુરમાંથી પણ ડુંગળીનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં ડુંગળીના ભાવમાં ૩૦%નો વધારો થયો છે. આ અંગે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ જે કોમર્સ મિનિસ્ટ્રીનો એક ભાગ છે તેણે એક નોટીફીકેશન બહાર પાડ્યું હતું. અને તાત્કાલિક ધોરણે ડુંગળીની તમામ જાતોની નિકાસ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડીજીએફટીએ ડુંગળીની મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસને ઘટાડીને તા.૧૩ સપ્ટેમ્બરે ૮૫૦ પ્રતિ ટન કરી હતી. જેથી કરીને ડુંગળીનું એક્સપોર્ટ ઓછું થાય અને વધતા જતા ઘરેલું ભાવ નિયંત્રણમાં આવે. એમઈપી નીચેનો દર છે, તેની પર નિકાસને પરવાનગી નથી. મહારાષ્ટ્રમાં પુરના કારણે ડુંગળીના ભાવ દિલ્હી સહિતના દેશના અન્ય ભાગોમા પ્રતિ કિલો ૬૦-૮૦ રૂપિયા થયો છે. પુરના કારણે મહારાષ્ટ્ર સહિતના ડુંગળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતા રાજયમાંથી આવતા પુરવઠાને અસર થઈ છે. ડુંગળીના ભાવને નિયંત્રણમાં લેવા માટે અને ગ્રાહકોને રાહત થાય તે માટે કેન્દ્ર સરકારે દેશમાં ડુંગળીનો ૫૦,૦૦૦ ટન બફર સ્ટોક ઠાલવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગત મહિને ડુંગળીની સંગ્રહખોરી કરવા બાબતે કડક પગલા લેવાની ચેતવણી આપી હતી. દેશમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજયોમાં પુર આવવાને કારણે ડુંગળીના સપ્લાઈને અસર પડી છે અને આ કારણે દેશમાં સતત ડુંગળીના ભાવ વધારી રહ્યાં છે. ડુંગળીની આસમાને પહોંચેલી કિંમતો વચ્ચે કેન્દ્ર સરકારે આજે મોટો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રીનું કહેવુ છે કે, રિટેલ માર્કેટમાં ઉંચી કિંમથી લોકોને રાહત મળે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. તમામ ૭૦ વિધાનસભા ક્ષેત્રોમાં એક એક મોબાઈલ વેન જશે. દરેક વ્યક્તિને મહત્તમ ૫ કિલો ડુંગળી અપાશે. ડુંગળીનું વેચાણ સવારે ૧૦ વાગે શરૂ થઈને સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે. કેન્દ્ર સરકારે એક બાજુ ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુક્યો છે બીજી બાજુ જમાખોરી અથવા તો સંગ્રહખોરી ઉપર અંકુશ મુકવાના હેતુસર સ્ટોક લિમિટ નક્કી કરી છે. રિટેલ વેપારીઓ ૧૦૦ ક્વિન્ટલથી વધારે ડુંગળીનો જથ્થો સ્ટોર કરી શકશે નહીં. જ્યારે હોલસેલ વેપારીઓ માટે આ મર્યાદા ૫૦૦ ક્વિન્ટલ રાખવામાં આવી છે.

ચૂંટણીને ધ્યાનમાં લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનો નિર્ણય

ચૂંટણીમાં નુકસાન થવાનો ખતરો હતો

નવીદિલ્હી,તા.૨૯ : ડુંગળીની નિકાસ ઉપર તાત્કાલિક ધોરણે અમલી બને તે રીતે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ડુંગળીના જથ્થાને સ્થાનિક બજારમાં વધારી દેવાનો આની પાછળ હેતુ રહેલો છે. મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા બાદ ડુંગળીના વધતા જતા ભાવ વચ્ચે નુકસાન થવાનો ખતરો હતો. ભાજપ સરકારે આ બાબતોની નોંધ લીધી હતી. ડુંગળીના વધતા જતા ભાવથી સામાન્ય લોકો પરેશાન દેખાઈ રહ્યા હતા. સામાન્ય અને મધ્યમ વર્ગના બજેટ બગડી રહ્યા હતા. આ બાબતની નોંધ લઈને વહેલી તકે સરકારે નિર્ણય કર્યો છે. ડુંગળીના વધતા ભાવને લઈને હાલમાં જ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર પાસે ડુંગળીનો પુરતો જથ્થો રહેલો છે અને કોઈ કટોકટી નથી. રાજ્યોને જરૂર મુજબ જથ્થો અપાશે.

(12:00 am IST)