Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સિંગલ યુઝ પ્લાસ્ટિકની સામે અભિયાન છેડવાનો અનુરોધ

મન કી બાત કાર્યક્રમમાં વિવિધ મુદ્દે મોદીના સુચન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નશામુક્તિથી લઈને સિંગલ યુઝ પ્લાસ્ટિક સહિત ઘણા મુદ્દે વાત કરી : તહેવારને લઈને શુભેચ્છા પણ પાઠવી

નવીદિલ્હી,તા.૨૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં જુદા જુદા વિષયો ઉપર વિસ્તારપૂર્વક વાત કરી હતી. બીજી અવધિમાં સતત બીજી વખત પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ મોદીએ તેમની આ અવધિના ચોથા મન કી બાત કાર્યક્રમમાં નશામુક્તિથી લઈને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ માટેની અપીલ કરી હતી. મોદીએ પુત્રીઓના સન્માનમાં સેલ્ફી વિથ ડોટરની જેમ જ સોશિયલ મીડિયામાં ભારતની લક્ષ્મી અભિયાન ચલાવવા અપીલ કરી હતી. નવરાત્રી અને અન્ય તહેવારની શુભકામના આપતા મોદીએ કહ્યું હતું કે, આ તમામ તહેવારની મજા એ વખતે આવે છે જ્યારે કોઈ પણ ઘરમાં અંધારુ રહેતુ નથી. દરેકના ચહેરા ઉપર ખુશી હોય છે ત્યારે તહેવારની મજા અલગ હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યક્રમમાં મરિયમ થ્રેસિયાની માનવતા માટે કરવામાં આવેલી સેવાને યાદ કરીને તેમની ઉલ્લેખનીય સેવાની પ્રશંસા કરી હતી. સિસ્ટર થ્રેસિયાને સંતનો દરજ્જો હવે મળનાર છે.

               જે દેશ માટે ગર્વની વાત છે. વડાપ્રધાને કહ્યું હતું કે, લતા મંગેશકરને તેઓએ અમેરિકા જતા પહેલા ફોન પર જન્મદિવસની શુભેચ્છા આપી હતી. આટલી વયમાં પણ લતા મંગેશકર સક્રિય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેમની વિનમ્રતા નવી પેઢીમાટે બોધ પાઢ સન્માન છે. લત્તા મંગેશકરને એવુ વચન પણ આપ્યું હતું કે, તેમના ઘર પર આવીને ગુજરાતી ભોજનની મજા માણશે. મોદીએ મન કી બાત કાર્યક્રમમાં લતા મંગેશકરને ૯૦માં જન્મદિવસની શુભકામનાઓ પણ આપી હતી. તેમણે ફોન પર થયેલી વાતચીત પણ લોકોને સંભળાવી હતી. મોદીએ મનકી બાતની શરૂઆતમાં જ દેશની જનતાને આવનારા તમામ તહેવારો માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દીકરીઓ ઘરની શાન છે, દરેક ઘરની લક્ષ્મી છે. આ દિવાળીના તહેવાર પર તેમની સિદ્ધીઓને સોશયલ મીડિયા પર શેર કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સાથિઓ આજે મનકી બાતમાં હું દેશની મહાન હસ્તી સાથે ચર્ચા કરીશ. આપણે તેમનું દિલથી સન્માન કરીએ છીએ. ભાગ્યે જ દેશનો કોઈ એવો વ્યક્તિ હશે જે તેમને ઓળખતો નહીં હોય.

                   આપણે સૌ તેમને દીદી કહીએ છીએ. તે ૨૮ સપ્ટેમ્બરે ૯૦ વર્ષના થયા હતા. વડાપ્રધાને દેશવાસીઓને બીજી ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતીના પ્રસંગે સિંગલ યુઝ પ્લાસ્ટિકની સામે ચલાવવામાં આવનાર મહા અભિયાનમાં ભાગ લેવા તમામ યુવાનોને અપીલ કરી હતી. વડાપ્રધાને યાદ અપાવી હતી કે આજે ભારત જ નહીં બલ્કે સમગ્ર દુનિયા માટે ગર્વની બાબત છે કે, અમે રાષ્ટ્રપિતાની ૧૫૦મી જયંતિ મનાવી રહ્યા છે. સાથે સાથે ૧૩૦ કરોડ દેશવાસીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત થવાની પ્રતિજ્ઞા કરી ચુક્યા છે. પર્યાવરણ સંરક્ષણની દિશામાં ભારતે વિશ્વનું નેતૃત્વ કરવાની જવાબદારી લીધી છે. આના કારણે તમામ દેશોની નજર આજે ભારત ઉપર કેન્દ્રિત થઈ છે.

          બીજી ઓક્ટોબરથી મહા જનઅભિયાન છેડવાની વાત કરી હતી. બીજી બાજુ મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવા પેઢીને તમાકુ અને ઈ સિગારેટથી થનાર નુકસાન અંગે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, કેટલીક વખત યુવાનો ફેશનમાં તમાકુ સેવન અને સ્મોકિંગ કરવાની શરૂઆત કરે છે. તમાકુ સેવન ખુબ જ ઘાતક હોવાની વાત કરી હતી. નશાથી જીદગી બરબાદ થઈ રહી છે. ઈ સિગારેટ પર મુકવામાં આવેલા પ્રતિબંધની યાદ અપાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આનો ઉપયોગ કરનાર લોકો ઈ સિગારેટની ટેવ છોડે તે જરૂરી છે.

(12:00 am IST)