Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

કોંકણ જનારા લોકો માટે રસીના બે ડોઝ ફરજીયાત

મહારાષ્ટ્ર સરકારે કોરોનાને લઈ સરકારના નિયમોનું પાલન કરવા આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ લોકોને કરી અપીલ

મુંબઇ : હાલમાં મહારાષ્ટ્રમાં (maharashtra) કોરોનાના નવા કેસોમાં ઘણો ઘટાડો થયો છે, પરંતુ ચેપને જોતા સરકાર સંપૂર્ણ સાવચેતી રાખી રહી છે. રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ (Health Minister Rajesh Tope) સોમવારે લોકોને અપીલ કરી અને કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર જે નિયમો લાગુ કરી રહી છે. લોકોને તેમનું પાલન કરવા વિનંતી છે.

આ દરમિયાન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર કોંકણ જનારાઓ માટે 2 ડોઝ લેવો જરૂરી છે. આ અંગે પોતાનો પ્રતિભાવ આપતા તેમણે કહ્યું કે ટાસ્ક ફોર્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના સૂચનો હેઠળ મુખ્યમંત્રીને માહિતી આપીને તમામ નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

મંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા નથી. પરંતુ તહેવારોને ધ્યાનમાં રાખીને સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે. આ દરમિયાન કેરળમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારાને લઈને આરોગ્ય મંત્રીએ કહ્યું કે કેરળ જેવી સ્થિતિ ન બને તે માટે અમે પુરતો પ્રયાસ કરીશું કે રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો ન થાય.

મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ સુધીમાં તમામ શિક્ષકો અને બિન-શિક્ષક કર્મચારીઓને કોવિડ -19 સામે રક્ષણ આપવા માટે તેમનું સંપૂર્ણ રસીકરણ કરવાની યોજના ધરાવે છે. આરોગ્ય મંત્રી રાજેશ ટોપે કહે છે કે ફરીથી શાળાઓ ખોલવાની દિશામાં આ પહેલું પગલું છે. આરોગ્ય મંત્રીનું કહેવું છે કે આ માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજેશ ટોપેએ કહ્યું કે જે જિલ્લાઓમાં કોઈ પોઝિટિવ કેસ નથી. ત્યાં શાળાઓ ખોલવાની છૂટ આપી શકાય છે.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરની સંભાવનાને જોતા અમે ઓક્સિજનનું ઉત્પાદન અને હોસ્પિટલમાં બેડની સંખ્યા પણ વધારી રહ્યા છીએ. ટોપેએ કહ્યું કે દર્દીઓ માટે 1000 નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી છે, આ સાથે આશા વર્કર્સના પગારમાં 1500 રૂપિયાનો વધારો પણ મંજૂર કરવામાં આવ્યો છે. તેના કારણે 71 હજાર આશા કાર્યકરોને લાભ થશે. આ માટે અંદાજે 275 કરોડ રૂપિયા બજેટમાં સામેલ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતી ગંભીર હતી. પરંતુ થોડા સમયથી કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે તેમજ અર્થતંત્રને વેગ આપવા માટે સરકારે મહદ્દ અંશે છૂટ છાટો પણ આપી દીધી છે. સાથે જ ત્રીજી લહેરની આગાહીને ધ્યાનમાં રાખીને સરકાર ઘણી તૈયારીઓ અગાઉથી જ કરી રહી છે.

(11:44 pm IST)