Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ચીન ભારતીય વિસ્તારો ખાલી ના કરે તો ભારતે યુદ્ધ કરવું જોઈએ: ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની સ્પષ્ટ વાત

ભારતે ચીનીઓને કહેવું જોઈએ કે જો તમે 1993ની મૂળ સ્થિતિમાં પાછા નહીં જાવ તો અમે તમારી સાથે યુદ્ધ કરવા તૈયાર છીએ

નવી દિલ્હી :પૂર્વીય લદ્દાખ સરહદે ભારત અને ચીન વચ્ચે મે 2020 પછી તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયેલું છે. હજુ કેટલાક ફ્રન્ટ મોરચા પર બંને દેશોના સૈનિકો આમને-સામને છે. ચીને ભારતના કોઈ પણ પ્રદેશ પર કબજો જમાવ્યો નથી એવા કેન્દ્રના દાવાઓ વચ્ચે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકારને સલાહ આપતા જણાવ્યું છે કે ચીન ભારતીય વિસ્તારો ખાલી ના કરે અને 1993ની સમજૂતી હેઠળ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર પાછું ન જાય તો ભારતે ચીન સાથે યુદ્ધ કરવું જોઈએ.

ભાજપ નેતાએ જણાવ્યું કે ભારતે ચીન સાથે હાલ માત્ર સરહદનો વિવાદ ઉકેલવા પર ધ્યાન આપવું જોઈએ અને હોંગકોંગ, તાઈવાન તથા તિબેટ અંગે વાત કરીને ચીનને ઉશ્કેરવો જોઈએ નહીં.

સ્વામીએ ‘બ્લિન્કર્સ ઓફ હાઉ વિલ ધ વર્લ્ડ કાઉન્ટર ચાઈના’ નામના પુસ્તકનું વિમોચન કરતાં જણાવ્યું હતું કે ચીન ભારત માટે અસાધારણરૂપે મહત્વપૂર્ણ અને ખતરનાક પડકાર છે. તેથી ભારતે તેની રણનીતિ એ રીતૈ તૈયાર કરવી જોઈએ કે તે જોખમનો સામનો કરતા અંતમાં ચીનને પાછું તેની જગ્યાએ પહોંચાડી દે.

ભારતે ચીનને કહેવું જોઈએ કે તે 1993ની સમજૂતી હેઠળ મૂળ સ્થિતિમાં પાછું નહીં ફરે તો અમે યુદ્ધ કરીશું. સ્વામીએ ઉમેર્યું હતું કે, મારૂં માનવું છે કે ભારતે ચીનીઓને કહેવું જોઈએ કે જો તમે 1993ની મૂળ સ્થિતિમાં પાછા નહીં જાવ તો અમે તમારી સાથે યુદ્ધ કરવા તૈયાર છીએ. ચીન સ્વેચ્છાએ પાછા હટવા માટે તૈયાર ન થાય તો ભારતે ચીનીઓ સાથે યુદ્ધ કરવું જ જોઈએ.

ચીનને એવો બોધ પાઠ શીખવવો જોઈએ કે અમે હવે 1962નું ભારત નથી અને મજબૂતાઈથી તેમનો સામનો કરી શકીએ છીએ. ચીને એલએસી પાસ કરીને આપણી જમીન પર કબજો જમાવ્યો છે તેવો દાવો કરતાં ભાજપ સાંસદે કહ્યું કે ભારતે ચીન સાથે માત્ર તેના ભૂમી વિવાદ પર ધ્યાન આપવું જોઈએ. આપણે એ ચકાસવું જોઈએ કે ચીને ક્યાં ભૂલ કરી છે. તેમણે એલએસી પાર કરીને આપણી જમીન પર કબજો જમાવ્યો છે.

(12:30 pm IST)