Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

તેમનો સમૂહ ભારત સાથે અફઘાનિસ્તાનના રાજનીતિક, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો પહેલાની જેમ જ યથાવત રાખવા માંગે છેઃ તાલિબાનના નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકઝઈ

પાકિસ્તાનના મનસૂબાઓથી બિલકુલ ઉલ્ટું તાલિબાની નેતાએ કહ્યું કે પાકિસ્તાન દ્વારા ભારત સાથે વેપાર અમારા માટે ખુબ મહત્વનો છેઃ ભારત સાથે વાયુમાર્ગથી પણ વેપાર જળવાઈ રહેશે

નવી દિલ્હી: તાલિબાનના નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકઝઈએ કહ્યું છે કે તેમનો સમૂહ ભારત સાથે અફઘાનિસ્તાનના રાજનીતિક, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો પહેલાની જેમ જ યથાવત રાખવા માંગે છે. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે તાલિબાનના ટોચના નેતૃત્વના કોઈ સભ્યએ કાબુલ પર કબજો જમાવ્યા બાદ આ મુદ્દે ખુલીને પોતાનો મત રજુ કર્યો છે. 

સ્તાનિકઝઈએ તાલિબાનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરાયેલા 46 મિનિટના એક વીડિયોમાં અફઘાનિસ્તાનમાં જંગના ખાતમા અને અફઘાનિસ્તાનમાં શરિયા આધારિત ઈસ્લામિક શાસનને લઈને તાલિબાનનો પ્લાન વિસ્તારથી જણાવ્યો. પશ્તોમાં વાત કરતા સ્તાનિકઝઈએ ક્ષેત્રના મહત્વના દેશો ભારત, પાકિસ્તાન, ચીન અને રશિયા સાથેના સંબંધો અંગે તાલિબાનનો દ્રષ્ટિકોણ જણાવ્યો. 

15 ઓગસ્ટ પર કાબુલ પર તાલિબાનનો કબજો કાયમ થવા અને અશરફ ગનીની સરકાર પડ્યા બાદ તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે પાકિસ્તાની મીડિયા ચેનલો પર ભારત સાથેના સંબંધને લઈને સંગઠનનો દ્રષ્ટિકોણ દર્શાવ્યો હતો. જો કે સ્તાનિકઝઈ પહેલા વરિષ્ઠ નેતા છે જેમણે અન્ય દેશો સાથે સંબંધોને લઈને નિવેદન આપ્યું છે. સ્તાનિકઝઈએ કહ્યું કે આ મહાદ્વીપ માટે ભારત ખુબ મહત્વપૂર્ણ છે. અમે ભારત સાથે સાંસ્કૃતિક, આર્થિક અને વ્યાપારિક સંબંધો પહેલા જેવા ઈચ્છીએ છીએ. 

પાકિસ્તાનના મનસૂબાઓથી બિલકુલ ઉલ્ટું તાલિબાની નેતાએ કહ્યું કે પાકિસ્તાન દ્વારા ભારત સાથે વેપાર અમારા માટે ખુબ મહત્વનો છે. ભારત સાથે વાયુમાર્ગથી પણ વેપાર જળવાઈ રહેશે. જો કે તેમણે એ ન કહ્યું કે ભારત સાથે વેપાર બેતરફી રહેશે કે નહીં. પાકિસ્તાને અફઘાનિસ્તાનના વેપારીઓને પોતાનો સામાન પોતાના દેશના રસ્તે મોકલી દીધો છે. પરંતુ ભારતનો સામાન આ રસ્તે અફઘાનિસ્તાન જવા દેતું નથી. 

તાલિબાની નેતાએ કહ્યું કે અમે ભારત સાથે અમારા રાજનીતિક, આર્થિક અને વેપારી સંબંધોને મહત્વ આપીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે તે ચાલુ રહે. આ મામલે અમે ભારત સાથે કામ કરવાને લઈને આશાવાદી છીએ. તુર્કમેનિસ્તાન સાથે અફઘાનિસ્તાનના સંબંધો પર બોલતા તેમણે તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન અને  ભારત(TAPI) ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે સરકાર બન્યા બાદ તેના પર કામ કરવામાં આવશે. સ્તાનિકઝઈએ ઈરાન સાથેના સંબંધો ઉપર વાત કરતા ભારત તરફથી વિક્સિત કરાયેલા ચાબહાર પોર્ટનો ઉલ્લેખ કર્યો અને વેપાર માટે તેના મહત્વને પણ રેખાંકિત કર્યું. 

સ્તાનિકઝઈએ ચીન, તાઝિકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, પાકિસ્તાન અને રશિયા સાથેના સંબંધો અંગે પણ વાત કરી. તેમણે લાખો અફઘાનીઓને શરણ આપવા બદલ પાકિસ્તાનનો આભાર માન્યો અને કહ્યું કે તેમનો દેશ પાકિસ્તાન સાથે ભાઈચારાવાળો સંબંધ ઈચ્છે છે. અત્રે જણાવવાનું કે તાલિબાનના ટોપ 2-3 નેતાઓમાં જેમની ગણતરી થાય છે કે સ્તાનિકઝઈનું ભારત સાથે કનેક્શન છે. તેઓ 1980ના સમયમાં ઈન્ડિયન મિલેટ્રી એકેડેમીમાં ટ્રેનિંગ લઈ ચૂક્યા છે. 

(11:12 am IST)