Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

પંચના કમિશનર સાથે સીમાંકન પંચ કાશ્મીરની મુલાકાત લેશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ : ૬ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે પ્રવાસમાં રાજકીય પાર્ટીઓ, અધિકારીઓ અને જનતાના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે

નવી દિલ્હી, તા. ૩૦ : જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પહેલા સીમાંકનને લઈને તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સીમાંકન પંચ, મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરનો ૬ જુલાઈથી ૯ જુલાઈ સુધી પ્રવાસ કરશે. આ દરમિયાન રાજકીય પાર્ટીઓ, કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારીઓ અને જનતાના પ્રતિનિધિ સાથે ચર્ચા કરવામાં આવશે.

ચૂંટણી પંચના પ્રવક્તાએ બુધવારે કહ્યુ કે, સીમાંકન પંચ છથી નવ જુલાઈ સુધી યાત્રા દરમિયાન જમ્મુ-કાશ્મીરની રાજકીય પાર્ટીઓ, જનપ્રતિનિધિઓ અને પ્રશાસનની સાથે વાર્તા કરશે. તેમણે આગળ કહ્યું કે, સીમાંકન પંચ ૬ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કરશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા નવી દિલ્હી સ્થિત પીએમ આવાસ પર પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતાઓને નિમંત્રણ આપી આશરે અઢી કલાક ચર્ચા કરી હતી. બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીરમાં જલદી ચૂંટણી યોજવાની દિશામાં પગલા ભરવામાં આવશે. આ સાથે પીએમ મોદીએ તે પણ કહ્યું હતું કે દિલ્હી અને દિલનું અંતર ઓછુ કરવામાં આવશે.

તો જમ્મુ-કાશ્મીરને લઈને ૨૪ જૂને પીએમ મોદી સાથે બેઠક બાદ નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળે પછી ચૂંટણી થાય. તેમણે કહ્યું કે, અમને પહેલા સીમાંકન બાદ ચૂંટણી અને પછી રાજ્યનો દરજ્જો મંજૂર નથી. અમે પહેલા સીમાંકન પછી રાજ્યનો દરજ્જો અને પછી ચૂંટણી ઈચ્છીએ છીએ.

ઉમર અબ્દુલ્લાએ કહ્યુ- ગુલામ નબી આઝાદે અમારા બધા તરફથી ત્યાં વાત કરી અને કહ્યુ કે, અમે આ ટાઇમલાઇન માનતા નથી. ડિલિમિટેશન, ચૂંટણી અને રાજ્યનો દરજ્જો નહીં. પહેલા ડિલિમિટેશન પછી રાજ્યનો દરજ્જો અને પછી ચૂંટણી. ચૂંટણી કરાવવી છે તો રાજ્યનો દરજ્જો આપી દો. ત્યારબાદ અમે ચૂંટણી મુદ્દે વાત કરીશું.

નેશનલ કોન્ફરન્સના નેતાએ આગળ કહ્યું- ત્યાં કોઈએ પ્રધાનમંત્રીને કહ્યુ નથી કે અમે ૫ ઓગસ્ટનો સ્વીકાર કરીએ છીએ. અમે કહ્યું કે, અમે તેનાથી નારાજ છીએ. પીએમને મહેબૂબા મુફ્તી અને અબ્દુલ્લાએ સ્પષ્ટ કહ્યુ કે, ભાજપને ૩૭૦ હટાવવાના એજન્ડાને સફળ કરવામાં ૭૦ વર્ષ લાગ્યા. અમને ૭૦ મહિના લાગશે તો પણ અમે અમારા મિશનથી પીછેહટ કરીશું નહીં.

(9:29 pm IST)