Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

મહારાષ્ટ્રમાં ૩૧ જુલાઈ સુધી લોકડાઉન લંબાવાયું

મહામારીના વધતા કેસથી ચિંતા

મુંબઈ, તા. ૨૯ : મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા દર્દીઓની સંખ્યાને લઈ રાજ્ય સરકારે સોમવારે લોકડાઉનની મુદત તા.૩૧મી જુલાઈ સુધી વધારી દીધી છે. મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ રવિવારે જ તેના અણસાર આપી દીધા હતા. તેમણે કહ્યું હતુ કે લોકડાઉનમાં ધીમે ધીમે છુટછાટ અપાતી જશે. મહારાષ્ટ્ર કોવિડ-૧૯ મહામારીથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. રાજ્યના મુખ્ય સચિવ અજય મેહતાએ લોકડાઉનને વધારવાનો હુકમ જારી કર્યો છે. જેમાં જણાવાયું છે કે રાજ્યમાં કોરોના વાયરસનું સંકટ હજુ પણ યથાવત સ્થિતિમાં છે, એથી સંક્રમણને રોકવા જ જરૂરી ઉપાય તરીકે આ પગલું લેવાઈ રહ્યું છે. મહામારી એક્ટ મુજબ સમગ્ર મહારાષ્ટ્રમાં આગામી ૩૧મી જુલાઈની મધરાત સુધી લોકડાઉનને લંબાવવાનું ફરમાન જારી કરાયું છે. આ હુકમમાં વધુમાં જણાવાયું છે કે સ્થાનિક પરિસ્થિતિઓ મુજબ સંબંધિત જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર જરૂરી  પ્રતિબંધ લાગુ કરી શકે છે. તેના અંતર્ગત વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકોની અવરજવર તેમજ અન્ય બિનજરૂરી ગતિવિધિઓ પર પ્રતિબંધ લાગુ કરી શકાશે. લોકડાઉન દરમિયાન અગાઉની જેમ જ દૂધ, શાકભાજી અને દવાની દુકાનો ખુલ્લી રહી શકશે. જ્યારે અન્ય દુકાનોને ઓડ-ઈવનના નિયમ મુજબ જ ખોલવામાં આવશે. તેની સાથે ઓફિસોમાં મર્યાદિત સ્ટાફ સાથે કામકાજ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

(12:00 am IST)