Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

દેશમાં કોવિડના એક જ દિવસમાં સૌથી વધુ ૭,૪૬૬ કેસ નોંધાયા

કોરોનાનો હાહાકાર : મોતમાં ભારત ચીનથી આગળ નીકળ્યું : કુલ મૃતાંક ૪,૭૦૬ ઉપર પહોંચ્યો : ૧.૬૫ લાખ કેસની સાથે વિશ્વમાં ૯મા ક્રમે : મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં મહામારીના પ્રકોપથી ભારે ફફડાટ

નવીદિલ્હી, તા.૨૯ : ભારતમાં ૪.૦ લોકડાઉનની અવધિ પુર્ણ થવાના આરે છે, ત્યારે કોરોનાનો વાયરસ પણ ખાસ કરીને મુંબઈ, દિલ્હી, અમદાવાદ સહિતના મહાનગરોમાં પણ છુટ અપાઈ હોય તેમ વર્તી રહ્યો છે. તેમાંય મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ રોજબરોજ જોવા મળી રહ્યો છે.દેશમાં શુક્રવારે કોવિડ -૧૯ના કેસોની સંખ્યા ૧,૬૫,૭૯૯ પર પહોંચી ગઈ છે. જેનાં પગલે વાયરસના પ્રકોપનો સામનો કરી રહેલાં દેશોમાં ભારતનું સ્થાન ૯માં સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત દેશ તરીકે સામેલ થઈ ચૂક્યું છે. તેમાંય વિતેલાં ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૭,૪૬૬ નવા કેસો સામે આવ્યા છે. જ્યારે મૃત્યુ આંક વધીને ૪, ૭૦૬ પર પહોંચી ચૂક્યો છે.  ભારતમાં કોવિડ-૧૯ વાયરસથી થનારા મૃત્યુની સંખ્યા હવે ચીનની સરખામણીએ વટાવી ગઈ છે, દેશભરમાં કોરોનાથી કુલ ૪,૭૦૬ જાનહાનિ નોંધાઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં શુક્રવારે સવારે ૮ વાગ્યા સુધીમાં છેલ્લામ ૨૪ કલાકમાં ૧૭૫ લોકોના મોત અને અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ ૭,૪૬૬ નવા કોરોના ચેપગ્રસ્તો નોંધાયા છે.

           જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી(ત્નઁેં)ના આંકડા મુજબ, યુ.એસ., બ્રાઝિલ, રશિયા, યુકે, સ્પેન, ઇટાલી, ફ્રાંસ અને જર્મની પછી ભારત હવે તુર્કીથી આગળ નીકળી ગયું છે અને કોવિડ-૧૯ના મામલામાં ૯મો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બની ચૂક્યો છે. જેએચયુના વધુમાં જણાવ્યા મુજબ ચીને કોવિડ-૧૯થી અત્યાર સુધીમાં ૮૪,૧૦૬ કેસો અને ૪,૬૩૮ મૃત્યુની પુષ્ટિ કરી છે. કોરોનાના વર્લ્ડમીટર મુજબ, ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યાના સંદર્ભમાં ભારત હવે ૯મા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ તરીકે તુર્કીને પણ પાછળ છોડી ગયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોવિડ -૧૯ સક્રિય કેસોની સંખ્યા ૮૯,૯૮૭ છે. જ્યારે ૭૧,૧૦૫ લોકો હોસ્પિટલમાં સારવાર બાદ સ્વસ્થ થતાં તેમને રજા આપી દેવાઈ છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ કોરોનાના સંક્રમણનો શિકાર થનારામાંથી લગભગ ૪૨.૮ ટકા દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશમાં પોઝીટીવ નોંધાયેલા કુલ કેસોમાં વિદેશીઓનો પણ સમાવેશ થાય છે.

           ગુરુવાર સવાર સુધીમાં કોરોનાથી કુલ ૧૭૫ દર્દીના મોત નિપજ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ૮૫,  ગુજરાતમાં ૨૨, ઉત્તરપ્રદેશમાં ૧૫, દિલ્હીમાં ૧૩, તામિલનાડુમાં ૧૨, મધ્યપ્રદેશ ૮, રાજસ્થાનમાં ૭, પશ્ચિમ બંગાળમાં ૬ અને તેલંગાણામાં ૪ તેમજ જમ્મુ-કાશ્મીર, આંધ્રપ્રદેશ અને હરિયાણામાં એક એક દર્દીનો મોત નિપજ્યા હતા. દેશભરમાં મહામારીથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક ૪,૭૦૬ પર પહોંચી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧,૯૮૨ લોકોના મોત કોરોનાથી થયા છે. જ્યારે બીજા નંબરે ગુજરાતમાં ૯૬૦, મધ્યપ્રદેશમાં ૩૨૧, દિલ્હીમાં ૩૧૬, પશ્ચિમ બંગાળમાં ૨૯૫, ઉત્તરપ્રદેશમાં ૧૯૭, રાજસ્થાનમાં ૧૮૦, તામિલનાડુમાં ૧૪૫, તેલંગાણા ૬૭ અને આંધ્રપ્રદેશમાં ૫૯ લોકોના મોત નિપજ્યાં છે. આ સાથે અન્ય રાજ્યોમાં કોરોના પ્રકોપથી મૃત્યુ આંક વધતો જઈ રહ્યો છે. જેમાં કર્ણાટકમાં ૪૭, પંજાબમાં ૪૦, જમ્મુ-કાશ્મીરમાં ૨૭, હરિયાણામાં ૧૯, બિહારમાં ૧૫, ઓડિશા અને કેરળમાં ૭ –૭, હિમાચલ પ્રદેશમાં ૫ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ઝારખંડ, ઉત્તરાખંડ, ચંદીગઢ અને આસામમાં ઘણાં દિવસો પૂર્વે ૪ દર્દીના મોત થયા છે. દેશભરમાં મેઘાલય જ એકમાત્ર રાજ્ય છે, જ્યાં અત્યાર સુધી કોરોનાથી એક જ વ્યક્તિનું મોત નિપજ્યું છે. મંત્રાલયની વેબસાઈટ પર જણાવ્યા મુજબ ૭૦ ટકાથી વધુ દર્દીઓના મોત કોરોના ઉપરાંત અન્ય ગંભીર બિમારી હોવાના કારણે થયા છે.

અમદાવાદથી આંદાબાર-નિકોબાર સુધી કહેર....

નવીદિલ્હી, તા. ૨૯ : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે સવારે કોરોનાના ચેપગ્રસ્તોના કુલ આંકડાને પણ અપડેટ કરવામાં આવ્યા હતા. તેમાં પણ દેશભરમાં નોંધાયેલા કુલ પોઝીટીવ કેસોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૫૯,૫૪૬, તામિલનાડુ ૧૯,૩૭૨, દિલ્હી ૧૬,૨૮૧, ગુજરાતમાં ૧૫,૫૬૨, રાજસ્થાનમાં ૮,૦૬૭, મધ્યપ્રદેશમાં ૭,૪૫૩, ઉત્તરપ્રદેશમાં ૭,૧૭૦, પશ્ચિમ બંગાળમાં ૪,૫૩૬, બિહારમાં ૩,૨૯૬, આંધ્રપ્રદેશમાં ૩,૨૫૧, કર્ણાટકમાં ૨,૫૩૩, તેલંગાણામાં ૨,૨૫૬, પંજાબમાં ૨,૧૫૮, જમ્મુ-કાશ્મીરમાં ૧,૬૬૦, હરિયાણામાં ૧,૫૦૪ કેસ નોંધાયા છે. જ્યારે લડાખમાં ૭૩, ગોવામાં ૬૯, મણિપુરમાં ૫૫, પોંડિચેરીમાં ૫૧ અને  આંદામાન-નિકોબારમાં પણ કોરોનાના ૩૩ કેસ સામે આવી ચૂક્યા છે.

(9:13 am IST)