Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

ગુજરાતના પાડોશી રાજ્ય માટે હજુ કેટલાક મહિના મહત્વના

મહારાષ્ટ્રમાં જુલાઇ - ઓગસ્ટમાં ત્રીજી લહેરનો ખતરો : પડકારને પહોંચી વળવા સરકારની તૈયારી

મુંબઇ તા. ૩૦ : કોરોનાની મારથી બેહાલ ચાલી રહેલા મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં સ્થિતિ વધુ ખતરનાક થઇ શકે છે. રાજયના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યકત કરી છે. ટોપેએ વિશેષજ્ઞોનો હવાલો આપતાં કહ્યું કે જુલાઇ અથવા ઓગસ્ટમાં મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર આવી શકે છે, એવામાં અમે તેનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છીએ. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત થયું છે.

સ્વાસ્થમંત્રી રાજેશ ટોપેએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે વિશેષજ્ઞો દ્વારા મહારાષ્ટ્રમાં મેના અંત સુધી સંક્રમણની એક જેવી સ્થિતિ બની રહેવાની વાત કહેવામાં આવી રહી છે. એવામાં જો રાજય જુલાઇ અથવા ઓગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો  કરે છે, તો આપણા પડકારો ખૂબ વધી જશે. તેને ધ્યાનમાં રાખતાં અમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાસકરીને ઓકિસજનની પુરતી ઉપલબ્ધતા પર અમારું ધ્યાન છે.

મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે સાથે સમીક્ષા બેઠકમાં ભાગ લીધા બાદ ટોપેએ કહ્યું કે આ બેઠકમાં કોવિડ-૧૯ મેનેજમેન્ટ અને રસીકરણ સહિતના વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે સીએમએ ઓકિસજન પ્લાન્ટ્સ સેટઅપ પર ભાર મુકયો, જેથી કોરોના દર્દીઓને ઓકિસજનની અછત ન સર્જાય. સ્વાસ્થ્ય મંત્રી ટોપેએ કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખતાં કલેકટરોને કહેવામાં આવ્યું છે કે ઓકિસજનની સમસ્યા સરકાર સહન નહી કરે. એટલા માટે અત્યારથી જ તમામ વ્યવસ્થા કરવામાં આવશે.

વેકસીનના ચોથા તબક્કાને લઇને રાજેશ ટોપેએ કહ્યું કે ૧મેથી શરૂ થનાર વેકસીનેશન શરૂ કરવામાં નહી આવે. તેમણે કહ્યું કે રાજયની પાસે વેકસીનનો પર્યાપ્ત સ્ટોક નથી. એવામાં રસીકરણ શરૂ કરવામાં નહી આવે. ટોપેએ કહ્યું કે રસીકરણ અભિયાન શરૂ કરવા માટે ઓછામાં ઓછા પાંચ દિવસનો પર્યાપ્ત સ્ટોક હોવો જોઇએ. તેમણે આગળ કહ્યું કે આપણે ઓછામાં ઓછા ૨૦ થી ૩૦ લાખ ડોઝની જરૂર છે. ત્યારે જઇને ૧૮ થી ૪૪ વર્ષના લોકોનું વેકસીનેશન શરૂ થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ઘણીવાર વેકસીનની અછતથી રસીકરણ અભિયાન રોકવામાં આવ્યું છે.

(10:23 am IST)