Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

મોદી આ રીતે રાખી રહ્યા છે સ્થિતિ પર (બાજ) નજર

લોકડાઉનમાં કોરોના સામે ચાલી રહેલી જંગમાં કામે લાગેલા તમામ વ્યકિતઓ જોડે વિડિયો કોન્ફરન્સ મારફતે સંવાદ સાધી રહ્યા છે

નવી દિલ્હી તા. ૩૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાઈરસની દેશમાં ચાલી રહેલી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. લોકડાઉનમાં કોરોના સામે ચાલી રહેલી જંગમાં કામે લાગેલા તમામ વ્યકિતઓ જોડે વિડિયો કોન્ફરન્સ મારફતે સંવાદ સાધી રહયા છે તેમજ ફિલ્મમાં કામ કરતા કોરોના યોદ્ઘાઓ સાથે ડાયરેકટ ફોનથી પણ વાત કરી રહ્યા છે. વડાપ્રધાન દરરોજ ૨૦૦થી વધુ લોકો સાથે સંપર્ક સાધીને તેમની પાસેથી માહિતી મેળવી રહ્યા છે. અને તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છે. કોરોનાથી છૂટકારો મેળવવા સરકાર યુદ્ઘના ધોરણે કામ કરી રહી છે.

પીએમઓ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના તમામ ભાગોમાં ડોકટરો, નર્સો, હેલ્થ વર્કરો અને સ્વચ્છતા કર્મચારીઓનો ફોનના માધ્યમથી સંપર્ક કરી રહ્યા છે. વડાપ્રધાન આ લોકોને પ્રોત્સાહિત કરવા માટે તેમજ દેશ અને સમાજ માટે તેમની સેવા બદલ અભાર વ્યકત કરવા માટે આમ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદી કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે વિડિયો કોન્ફરન્સ મારફતે તમામ ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી કોરોના વાઈરસથી સંક્રમિત લોકો અને સંક્રમણ બાદ સ્વસ્થ થઈ ગયેલા લોકો સાથે ટેલિફોનના માધ્યમથી વાતચીત કરી રહ્યા છે જેથી તમામ અપડેટ મેળવી શકે.

મહત્વનું છે કે, લોકડાઉનને પગલે દેશના અનેક ભાગોમાં મોટી સંખ્યામાં લોકો ફસાયા છે. જેમાં સૌથી વધુ મુશ્કેલી એ રોજમદાર મજૂરો ને પડી રહી છે. લોકડાઉનને પગલે કામકાજ ઠપ છે ત્યારે તેમને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. આરએસએસ એવા લોકોને સતત ભોજન ઉપલબ્ધ કરાવી રહ્યું છે.

(10:24 am IST)