Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

બાથરૂમમાં ન્‍હાતી વખતે ગેસ ગીઝરથી નવવધૂનો શ્વાસ રૂંધાયોઃ ત્‍યાં જ ઢળી પડી અને મોત થયું

જે ઘરે ડોલીમાં આવી હતી નવી દુલ્‍હન, ત્‍યાંથી જ અર્થી ઉઠી હતી

મેરઠ,તા.30: શિયાળામાં ગીઝરમાંથી પાણી ગરમ કર્યા પછી નહાવું ક્‍યારેક જીવલેણ બની જાય છે. તાજેતરનું ઉદાહરણ મેરઠથી સામે આવ્‍યું છે. અહીંના જાગૃતિ વિહાર સેક્‍ટર 8જ્રાક્રત્‍ન રહેતા પારસ કુમારના લગ્ન ગાઝિયાબાદની રહેવાસી વૈશાલી સાથે 26 જાન્‍યુઆરીએ થયા હતા. વૈશાલીના હાથ પરની મહેંદી પણ સુકાઈ ન હતી કે શનિવારે સવારે નહાતી વખતે અકસ્‍માત થયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાથરૂમમાં ગેસ ગીઝર લીક થવાને કારણે તેનો શ્વાસ રૂંધાયો હતો. પરિવારના સભ્‍યોએ બાથરૂમનો દરવાજો તોડ્‍યો તો જોયું કે વૈશાલી દિવાલનો ટેકો લઈને સીધી બેઠી હતી. અકસ્‍માતમાં નવી વહુના મોત બાદ આખા ઘરમાં શોકનો માહોલ સર્જાયો હતો.

પારસ કુમાર એક કંપનીમાં એન્‍જિનિયર તરીકે કામ કરે છે અને તેના પિતા આર્મીમાંથી રિટાયર્ડ છે. ગુરુવારે પારસના લગ્ન ગાઝિયાબાદની રહેવાસી વૈશાલી સાથે થયા હતા અને શુક્રવારે દુલ્‍હન મેરઠ જવા નીકળી હતી અને તેના સાસરે પહોંચી હતી. શનિવારે ઘરે ભજન સંધ્‍યાનો કાર્યક્રમ હતો. સવારે દસ વાગ્‍યે વૈશાલી ન્‍હાવા માટે બાથરૂમમાં ગઈ હતી પરંતુ ઘણો સમય વીતી જવા છતાં પાછી આવી ન હતી. પરિવારની મહિલાઓ પૂજા માટે વૈશાલીની રાહ જોઈ રહી હતી. જયારે મોડું થઈ ગયું ત્‍યારે પરિવારના સભ્‍યોએ બાથરૂમનો દરવાજો તોડી નાખ્‍યો હતો. વૈશાલી બાથરૂમના એક ખૂણામાં સીધી બેઠી હતી. તેને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી જયાં તેને મૃત જાહેર કરાઈ હતી.

વૈશાલીને એ જ કારમાં હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી જેમાં તે તેના સાસરે આવી હતી. વૈશાલીના મૃત્‍યુની માહિતી ગાઝિયાબાદમાં તેના પરિવારજનોને મળતાં જ કોઈએ વિશ્વાસ ન કર્યો, પરંતુ જયારે તેઓને વાસ્‍તવિકતાની જાણ થઈ ત્‍યારે ત્‍યાં અફરાતફરી મચી ગઈ હતી. બધા મેરઠ પહોંચ્‍યા. વૈશાલીના ભાઈએ જણાવ્‍યું કે પ્રથમ નજરે વૈશાલીનું મોત બાથરૂમમાં ગેસ ગીઝર લીક થવાને કારણે થયું હોવાનું માનવામાં આવે છે.

પારસના પિતાએ જણાવ્‍યું કે થોડા સમય પહેલા ઘરમાં ખુશીનો માહોલ હતો. થોડી જ વારમાં ખુશી શોકમાં ફેરવાઈ ગઈ અને માતમ છવાઈ ગયો. જે પુત્રવધૂની ડોળી લાવવામાં આવી હવે એ જ ઘરમાંથી તેની અર્થી તૈયાર કરવામાં આવી છે. ખબર ન હતી કે ડોળીની સાથે સાથે અર્થીને પણ કાંધ આપવી પડશે.

ગેસ લીકેજ કેવી રીતે થયું તે પારસના પરિવારના સભ્‍યો સમજી શક્‍યા નથી. આજ સુધી આવું ક્‍યારેય બન્‍યું ન હતું. પારસના મોટા ભાઈએ જણાવ્‍યું કે ગેસ ગીઝરને ક્‍યારેય નુકસાન થયું નથી. આ દર્દનાક અકસ્‍માત અંગે પારસ અને તેના સાસરિયાંમાંથી કોઈએ પોલીસને જાણ કરી નથી. સ્‍ટેશન ઈન્‍ચાર્જનું કહેવું છે કે ફરિયાદ મળતા જ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

 

ગેસ ગીઝર લગાવતી વખતે આ બાબતોનું ધ્‍યાન રાખો

  •  ગીઝરનું તાપમાન 45-40 ડિગ્રી વચ્‍ચે રાખવું જોઈએ.
  •  સમયાંતરે તમારા ગીઝરનું તાપમાન તપાસતા રહો.
  •  ઘરના જે પણ ભાગમાં ગીઝર લગાવવામાં આવે છે, ત્‍યાં વેન્‍ટિલેશનનું સંપૂર્ણ ધ્‍યાન રાખો.
  •  ગીઝરનો ઉપયોગ કરતી વખતે લાંબા સમય સુધી ફલેમ ચાલુ ન રાખો.
  •  ગીઝરમાંથી ગરમ પાણી કાઢતી વખતે હંમેશા સ્‍વીચ ઓફ રાખો.
  •  ઠંડા હવામાનમાં સર્વિસ કર્યા વિના ગીઝરનો ઉપયોગ કરશો નહીં.
  •  ઘરમાં કોઈ સારી કંપનીમાંથી જ ગીઝર લગાવો. લોકલમાં આવી ફરિયાદો આવતી રહે છે.
(12:06 pm IST)