Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

લોટના ભાવ 1 વર્ષમાં ભાવ 40% વધ્‍યા !

લોટ ખુલ્લામાં રૂ.38 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે, જયારે પેકમાં તેની કિંમત રૂ.45-55 પ્રતિ કિલો છે

નવી દિલ્‍હી,તા. 30: પાડોશી દેશ પાકિસ્‍તાનમાં લોટના સંકટ વચ્‍ચે ભારતમાં પણ તેની કિંમત આસમાનને આંબી જવા લાગી છે. જાન્‍યુઆરી મહિનામાં લોટના ભાવમાં બે વખત વધારો થયો છે. સરકારી આંકડા અનુસાર, લોટ ખુલ્લામાં રૂ.38 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે, જયારે પેકમાં તેની કિંમત રૂ.45-55 પ્રતિ કિલો છે.

રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં લોટના ભાવમાં 40% સુધીનો વધારો થયો છે. જાન્‍યુઆરી 2022માં, છૂટક લોટની કિંમત 25-27 રૂપિયા પ્રતિ કિલો હતી, જયારે પેકમાં બ્રાન્‍ડેડ લોટ 35 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો હતો. નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં ઘઉં અને લોટના વધતા ભાવે સરકારના ટેન્‍શનમાં વધારો કર્યો છે.

વિશ્વમાં ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્‍પાદક દેશ હોવા છતાં ભારતમાં લોટના ભાવ વધી રહ્યા છે. મેંદા અને સોજી (રવા)ના ભાવ પણ ઝડપથી વધી રહ્યા છે,એટલે કે મોંઘવારી પણ વધી રહી છે, જેના કારણે સામાન્‍ય લોકોનું રસોડાનું બજેટ ખોરવાઈ શકે છે. વડાપ્રધાન કલ્‍યાણ યોજના હેઠળ આપવામાં આવતા મફત રાશનમાં પહેલા ઘઉં અને ચોખા સમાન માત્રામાં આપવામાં આવતા હતા, પરંતુ ઘઉંના ભાવમાં વધારો થયા બાદ ઘણા રાજયોમાં ઘઉં આપવામાં આવતા નથી અથવા ઓછા આપવામાં આવી રહ્યા છે.

ભારત ઘઉંના ઉત્‍પાદનમાં વિશ્વનો બીજો દેશ છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ, ગુજરાત અને બિહાર ઘઉંના મુખ્‍ય ઉત્‍પાદક રાજયો છે, પરંતુ આબોહવા પરિવર્તનને કારણે 2021-22માં ઘઉંના ઉત્‍પાદનમાં ઘટાડો થયો હતો. માર્ચ 2022નો મહિનો છેલ્લા 122 વર્ષમાં સૌથી ગરમ હતો. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, માર્ચ 2022માં દેશનું સરેરાશ મહત્તમ તાપમાન 33.10 ડિગ્રી સેલ્‍સિયસ હતું, જયારે સરેરાશ લઘુત્તમ તાપમાન 20.24 ડિગ્રી હતું. તેના કારણે ઘઉંનું ઉત્‍પાદન 129 મિલિયન ટનને બદલે ઘટીને 106 મિલિયન ટન થયું છે. ગરમીના કારણે માત્ર રવિ પાકને જ નહીં,પણ શાકભાજીને પણ નુકસાન થયું છે. પંજાબ અને હરિયાણા જેવા રાજયોમાં ઘઉંના પાકમાં ઘટાડો જોવા મળ્‍યો છે, જે આબોહવા પરિવર્તનનું પરિણામ હોઈ શકે છે.

ઘઉંની સરકારી ખરીદીમાં ઘટાડો લોટના ભાવ વધવા પાછળનું બીજું કારણ ઘઉંની સરકારી ખરીદીમાં ઘટાડો છે. 2020-21માં, ભારતીય સરકારી એજન્‍સીઓએ 43.3 મિલિયન ટન ઘઉંની ખરીદી કરી હતી. આ આંકડો 2021-22માં માત્ર 18 મિલિયન ટનની નજીક પહોંચ્‍યો હતો એટલે કે અડધાથી પણ ઓછા પ્રમાણમાં ઘઉં ખરીદવામાં આવ્‍યા હતા.

ફેબ્રુઆરી 2022 માં, રશિયા અને યુક્રેન વચ્‍ચે યુદ્ધ શરૂ થયું હતું. આ પછી સમગ્ર વિશ્વમાં ઘઉંની નિકાસ બંધ થઈ ગઈ, છતાં ભારતે વિશ્વના અન્‍ય દેશોને ઘઉં વેચવાનું ચાલુ રાખ્‍યું હતું. ઘઉંના ઉત્‍પાદનમાં ઘટાડો થવાને કારણે સરકારે પાછળથી નિકાસ પર પ્રતિબંધ મૂક્‍યો હતો.

(12:47 pm IST)