Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

હોમ લોન ઉપર સબસિડી લેવામાં ટેક્સ વિભાગ પણ સહાયતા કરશે

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ વધુ લોકો સુધી પહોંચશે : યોજના હેઠળ ઘર ખરીદનારને હોમ લોનના વ્યાજ ઉપર સબસિડી આપવામાં આવે છે : સબસિડીવાળા લોનને પાસ કરાવવા લોકોની ભાગદોડ ઘટી જશે

નવીદિલ્હી, તા. ૩૦ : સરકાર લોકસભા ચૂંટણી પહેલા શહેરી ક્ષેત્રોમાં વડાપ્રધાન આવાસ યોજનાનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે વિશેષ અભિયાન ચલાવી રહી છે. આ યોજના હેઠળ ગરીબ ઘર ખરીદનાર લોકોને હોમ લોનમાં વ્યાજ ઉપર સબસિડી આપવામાં આવે છે. હોમલોન ઉપર સબસિડી લેવામાં હવે ટેક્સ વિભાગ દ્વારા મદદ કરવામાં આવશે. સરકારની અસર એ રહેશે કે પ્રથમ વખત ઘર ખરીદનાર સબસિડીવાળા લોન પાસ કરાવવા માટે બેંકની શાખાઓના ઇંતજારમાં રહેવાની જરૂર પડશે. સરકાર હવે ઇન્કમટેક્સના આંકડામાં મૂલ્યાંકન કરીને સંભવિત લાભાર્થીઓની ઓળખ પોતે જ કરી રહી છે. એક વખત ઓળખ થઇ જવાની સ્થિતિમાં ટેક્સ વિભાગથી તેમને સર્ટિફિકેટ જારી કરવામાં આવશે જેનો ઉપયોગ કરીને તેઓ પીએમએવાય હેઠળ સબસિડીવાળા લોન લઇ શકશે. કેટલાક સુત્રોએ આ અંગેની માહિતી આપી છે. ૧૮ લાખ રૂપિયાની વાર્ષિક આવકવાળા લોકો પોતાના પ્રથમ ઘર ખરીદવા માટે આ યોજનાનો લાભ લઇ શકે છે. આ આવક ધરાવનાર કોઇ વ્યક્તિ જો પોતાના ઘર બનાવે છે તો તેમને પીએમએવાયનો લાભ મળી શકશે. તેઓ ૨૦ વર્ષની હોમ લોન ઉપર છ લાખ રૂપિયા સુધી ક્રેડિટ લિંક્ડ સબસિડી મેળવવાના હકદાર છે. ખાસ બાબત એ છે કે, તેમને આ સબસિડીના ૨.૫ લાખથી ૨.૭ લાખ રૂપિયા લોન લેતી વેળા મળી જશે. આંકડા દર્શાવે છે કે, ડિસેમ્બર ૨૦૧૮ના અંત સુધી ૩.૪ લાખ લોકોએ પીએમએવાય હેઠળ વ્યાજ સબસિડીનો લાભ લીધો હતો. જો કે, અધિકારીઓ માને છે કે, લાભ લેનારાઓની સંખ્યા અનેકગણી વધારે રહેલી છે. સુત્રોએ કહ્યું છે કે, લાભાર્થીઓને સરકારી યોજનાઓ હેઠળ મળી રહેલા લાભની માહિતી હોતી નથી અથવા તો તેમને લાભ લેવા માટે ખુબ ભાગદોડ કરવી પડે છે. એક સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, આ અભિયાન નાના કારોબારીઓને એક કલાકમાં લોન આપી શકશે. સરકાર અને બેંકોએ આની રુપરેખા તૈયાર કરી લીધી છે. નાણામંત્રાલયનું કામકાજ જોઈ રહેલા કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયેલે સરકારી બેંકોના વડાઓ સાથે બેઠક યોજી છે. હવે ચાર બેંકરો અને હાઉસિંગ સેક્ટરના સેક્રેટરી ડીએસ મિશ્રાની એક કમિટિ આગામી થોડા દિવસમાં વિસ્તૃત રુપરેખા તૈયાર કરશે અને ત્યારબાદ યોજના અમલી કરશે. સુત્રોએ કહ્યું છે કે, મોદી સરકારની જુદી જુદી યોજનાઓની પાછળ હેતુ એ છે કે, ઇમાનદારીથી ટેક્સ ભરનારને ફાયદો મળી શકે તથા ગરીબી રેખાથી નીચે રહેલા લોકોને પણ ફાયદો મળી શકે.

(7:40 pm IST)