Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

કોરોનાના ‘ઓમિક્રોન વેરીયન્ટ’થી વિશ્વભરમાં દહેશતનું મોજુ

કોરોનાના નવા સ્વરૂપનો ખતરો નિહાળી અનેક દેશોએ લીધા સાવચેતીના પગલાઃ બ્રિટને તાબડતોબ બોલાવી જી-૭ રાષ્ટ્રોની બેઠક : કોરોના સંક્રમિત થઈ ચૂકેલા લોકો માટે આ વેરીયન્ટ ખતરો ઉંભો કરી શકે છેઃ રસીકરણને રોકી શકે છે મ્યુટેશનઃ ડબલ્યુએચઓ

નવી દિલ્હી, તા. ૨૯ : ઓમિક્રોન વેરીયન્ટના ખતરાને જોતા સમગ્ર વિશ્વમાં દહેશતનું મોજુ ફરી વળ્યુ છે. બ્રિટન દ્વારા આ બાબતે ચર્ચા કરવા જી-૭ રાષ્ટ્રોના સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં ઓમિક્રોન વેરીયન્ટના ફેલાવા અને તેને રોકવાના ઉંપાયો ઉંપર ચર્ચા છે. જી-૭ રાષ્ટ્રોમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકા સામેલ છે. ઓમિક્રોન વેરીયન્ટના ખતરા વચ્ચે ડબલ્યુએચઓએ કહ્યુ છે કે, કોરોના સંક્રમિત થઈ ચૂકેલા લોકો માટે આ વેરીયન્ટ ખતરો બની શકે છે. ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે.
સિંગાપુરે ઓમિક્રોન વેરીયન્ટ ઉંપર ચાંપતી નજર રાખવાની શરૂ કરી છે. આ દેશે કતર, સાઉંદી અરેબીયા, યુએઈથી આવતા યાત્રીકોને કોરન્ટાઈનમાં ઢીલ આપવાના પગલાને પરત કરેલ છે.
કેનેડામાં આ વેરીયન્ટ પહેલો કેસ સામે આવ્યો છે. અહીં તપાસ વધારી દેવામાં આવી છે. તમામ રાષ્ટ્રોએ સાવચેતીના પગલા લેવાના શરૂ કરી દીધા છે.
દરમિયાન કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટથી પ્રભાવિત દેશોથી આવતા યાત્રીકો માટે કોરન્ટાઈન ફરજીયાત થઈ શકે છે. દિલ્હી સરકારનું માનવુ છે કે આવુ નહી કરાય તો એક વ્યકિત પણ કોરોનાના આ નવા સ્વરૂપને ઝડપથી ફેલાવી શકે છે.
કોરોનાના આ નવા સ્વરૂપને ભારતમાં આવતા અને તેને આગળ વધતો રોકવા માટે કેન્દ્ર સરકારે છેલ્લા ૧૪ દિવસમાં ૩ આફ્રિકી દેશોથી આવેલા યાત્રીકોના આરટીપીસીઆર ફરજીયાત બનાવવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં ઓમિક્રોન વેરીયન્ટ પ્રભાવિત દેશોથી આવતા યાત્રિકોને એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. રીપોર્ટ સુધી તેઓને રોકી રાખવામાં આવશે. જો કોઈ પોઝીટીવ રીપોર્ટ આવશે તો તેને કોરન્ટાઈન માટે મોકલી દેવાશે.
દરમિયાન ડબલ્યુએચઓનું કહેવુ છે કે પ્રારંભિક પરિણામોથી જાણવા મળે છે કે જે લોકોને પહેલા કોરોના થયો હોય તેઓને વધુ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે નવા વેરીયન્ટમાં ઝડપથી મ્યુટેશન થઈ રહયુ છે અને કોરોના સંક્રમિત થઈ ચૂકેલા લોકોમાં ઝડપથી ફેલાય શકે છે. આ સંગઠને રસીકરણમાં સ્પીડ વધારવા અનુરોધ કર્યો છે.

 

(10:58 am IST)