Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

દિલ્હી બોર્ડર ઉપર નારાજ ખેડૂતોની ભીડ એકઠી થઇ

ગૃહમંત્રી અમિત શાહની અપીલ ફ્લોપ સાબિત થઇ : નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન સતત ચોથા દિને પણ ચાલુ છે :ત્રીજીએ વાતચીત કરવા માટે સરકાર તૈયાર

નવીદિલ્હી, તા. ૨૯ : નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન સતત ચોથા દિવસે રવિવારે પણ ચાલુ છે. દિલ્હી પોલીસે ખેડૂતોને બુરાડીમાં નિરંકારી આશ્રમ સુધી આવવાની મંજૂરી આપી, પરંતુ મોટાભાગના ખેડૂતો સિંધુ અને ટીકરી બોર્ડર પર એકઠા થયા છે. તેમનું કહેવું છે કે અમને જંતર મંતર જવાની મંજૂરી આપવામાં આવે, નહીંતર અહીં જ પ્રદર્શન કરશે. ખેડૂતો રોજ બેઠક કરીને તે દિવસની રણનીતિ બનાવશે.

કેન્દ્રએ ફરી કહ્યું કે સરકાર ખેડૂત સંઘો સાથે ૩ ડિસેમ્બર વાતચીત માટે તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું કે, ખેડૂતોને બુરાડી પહોંચાડવા માટે અમિત શાહ સહિત ઘણા કેન્દ્રિય મંત્રીઓએ ખેડૂત નેતાઓ સાથે વાત કરી છે, પરંતુ ખેડૂતો ત્યાંથી હલવાથી પણ તૈયાર નથી. તેમને લાગે છે કે હાઈવે છોડવા પર તેમની સ્થિતિ કમજોર થઈ જશે. તેઓ ઈચ્છે છે કે મંત્રી બોર્ડર પર આવીને વાત કરે. દિલ્હીથી અડીને આવેલી ગાજીપુર બોર્ડર પર પણ ખેડૂતો એકઠા થયા છે. તેમને ટ્રેક્ટર વિના પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. હરિયાણાના જીંદ, પાણીપતમાં મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ આવી રહ્યા છે. જ્યારે બુરાડી પહોંચેલા ખેડૂતો માટે ટેંટ, ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના ટેસ્ટની પણ વ્યવસ્થા કરાઈ છે. આ પહેલા ગૃહમંત્રી શાહે પ્રદર્શનકારી ખેડૂતોને કહ્યું હતું કે તે પોતાનો વિરોધ પ્રદર્શન કરવા માટે રાષ્ટ્રીય રાજધાનીના બુરાડી મેદાનમાં જતા રહે.

ગૃહમંત્રી અમિત શાહની અપીલ બાદ ખેડૂતો શનિવારે પણ નારાજ જોવા મળ્યા. ભારતીય કિસાન યુનિયન- પંજાબના અધ્યક્ષ જગજીત સિંહે કહ્યું કે, અમિત શાહજીએ સશર્ત જલ્દી મળવાની વાત કરી છે જે ઠીક નથી. તેમને કોઈપણ શરત વિના ખુલ્લા દિલથી પોતાની વાત રજૂ કરવી જોઈએ. તેમણે આગળ કહ્યું કે, અમે રવિવારે બેઠક કરીશું અને તે બાદ પોતાની આગળની યોજનાઓ બનાવીશું. ભારતીય ખેડૂત યુનિયન (રોજેવાલા)ના અધ્યક્ષ બલબીર સિંહ રાજેવાલાએ જણાવ્યું કે, 'અમે હજુ સુધી બુરાડી મેદાનમાં જવાનો નિર્ણય કર્યો નથી. સાંજે અમે બેઠક કરીશુ જેમાં આગળની રૂપરેખા નક્કી કરવામાં આવશે.' બીજી તરફ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાન સમર્થકોની ઉપસ્થિતિનો શનિવારે દાવો કર્યો. તેમણે કહ્યું કે, ભીડમાં ઉપદ્વવિઓ શામેલ હોવાની રિપોર્ટ છે. અમારી પાસે એવા ઓડિયો-વિડીયો છે, જેમાં તેઓ નારા લગાવી રહ્યા છે કે જ્યારે ઈન્દિરા સાથે આ કરી નાખ્યું તો મોદી શું વસ્તુ છે.' સીએમનો આરોપ છે કે પંજાબ મુખ્યમંત્રી ઓફિસના કેટલાક લોકો આ આંદોલનને ચલાવી રહ્યા છે.

(7:32 pm IST)