News of Sunday, 29th November 2020
નવી દિલ્હી : કોંગ્રેસના ‘ચાણક્ય’ અહેમદભાઈ પટેલના અવસાન બાદ તેમની ખોટ પાર્ટીને કાયમ રહેશે રાજ્યસભામાં પણ કોંગ્રેસને નુક્સાન થઈ શકે છે. 2017માં રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદભાઈ પટેલના વિરુદ્ધ ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું. આમ છતાં ભાજપ નિષ્ફળ નીવડ્યું હતું. જો કે હવે તેમના અવસાન બાદ આ બેઠક પર ભાજપની નજર છે. આથી જ ભાજપ દ્વારા આ રાજ્યસભા બેઠક પર ડિસેમ્બર મહિના ચૂંટણી યોજવા માટે ક્વાયત હાથ ધરવામાં આવી છે.
2017માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ ઉમેદવાર અહેમદભાઈ પટેલને હરાવવા માટે ભાજપએ ભારે ધમપછાડા કર્યાં હતા. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો પાસે રાજીનામાં પડ્યાં, છતાં છેલ્લી ઘડીએ અહેમદભાઈ પટેલનો વિજય થયો હતો. ભાજપના “ચાણક્ય” અને તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે પણ એડીચોટીનું જોર લગાવ્યું હોવા છતાં તેઓ અહેમદભાઈ પટેલને હરાવી નહતા શક્યા. અહેમદભાઈ પટેલને પણ કોંગ્રેસના સંકટ મોચક માનવામાં આવતા હતા. તેમણે અનેક એવી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી કોંગ્રેસને ઉગારી હતી. હવે જ્યારે કોંગ્રેસ પાસે અહેમદભાઈ પટેલ નથી રહ્યાં, ત્યારે એવામાં રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે અત્યારથી મૂડ બનાવી દીધો છે.
એવું મનાય છે કે, બિહારમાં કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના અવસાન બાદ ખાલી પડેલી રાજ્યસભા બેઠક પર ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઈ શકે છે. આથી એજ દિવસે ગુજરાતની પણ ખાલી પડેલી રાજ્યસભા બેઠક પર ચૂંટણી યોજવા માટે ભાજપે ચૂંટણી પંચનું ધ્યાન દોર્યું છે.
ગુજરાતમાં ગત બે ટર્મથી લોકસભામાં કોંગ્રેસની સીટ ઝીરો છે. જ્યારે રાજ્યસભામાં અહેમદ ભાઈ પટેલની સાથે 4 સભ્યો હતો. જે ઘટીને હવે ત્રણ સાંસદો શક્તિસિંહ ગોહિલ, નારણ રાઠવા અને અમી યાજ્ઞિક રહી ગયા છે. જ્યારે રાજ્યસભાની કુલ 11 બેઠકોમાંથી 7 સીટો પર ભાજપના અભયભાઈ ભારદ્વાજ, રમિલાબેન વારા, નરહરિ અમીન, પુરુષોત્તમ રુપાલા, મનસુખ માંડવિયા, એસ જયશંકર અને જુગલજી ઠાકોર છે.
આમ તો હવે રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણી 2023માં આવી રહી છે. એવામાં અહેમદભાઈ પટેલના અવસાનથી ખાલી પડેલી સીટની ચૂંટણી આગામી 5 મહિનામાં કરાવવી પડશે. ભાજપના એસ જય શંકર અને જુગલજી ઠાકોર ઓગસ્ટ 2023માં નિવૃત થશે. જો કે હાલ ખાલી પડેલી એક બેઠક જીતવા માટે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા જોતા ભાજપને ફાયદો થશે. ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ જોતા આ એક ખાલી બેઠક પર યોજાનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત નક્કી મનાય છે. જો ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય તો, ભાજપને જે પણ ઉમેદવાર ઉભો રહે તે બિનહરિફ ચૂંટાઈ શકે છે.