Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

CM ઉદ્ઘવ ઠાકરેને પ્રેસ કોન્ફરન્સમાં પૂછાયો સવાલ, શું તમે સેકયુલર થઈ ગયા છો? સાંભળીને ભડકી ગયા

મુંબઇ, તા.૨૯: શિવસેનાના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ લીધા બાદ ગણતરીના કલાકોમાં પહેલી કેબિનેટ બેઠક પણ બોલાવી લીધી. આ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી. મીડિયા સાથે વાતચીત દરમિયાન જયારે પત્રકારોએ પૂછ્યું કે શું શિવસેના સેકયુલર થઈ ગઈ છે? આ સવાલ સાંભળતા જ ઠાકરે ભડકી ગયા હતાં. તેમણે નારાજગી ઠાલવતા પત્રકારોને પૂછયું કે, 'સેકયુલર શું હોય છે? પોતાના જવાબમાં ઉદ્ઘવે કહ્યું કે સેકયુલરનો અર્થ શું છે? બંધારણમાં જે લખ્યું છે તે સેકયુલર છે.'

વાત જાણે એમ છે કે શપથ લેતા પહેલા શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ પર સહમતિ થઈ ગઈ છે. જેમાં પ્રમુખ મુદ્દો ધર્મનિરપેક્ષતા છે. જેના પર ત્રણેય પાર્ટીઓએ સહમતિ વ્યકત કરી છે. એટલે કે હવે શિવસેનાએ હિન્દુત્વ મુદ્દાથી કિનારો કરી લીધો છે.

મુખ્યમંત્રી બન્યા બાદ પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ઘવ  ઠાકરેએ કહ્યું કે, અમારી સરકાર જનતા માટે કામ કરશે. એક કે બે દિવસમાં ખેડૂતોને મદદ માટે જાહેરાત કરવામાં આવશે. ઠાકરેએ કહ્યું કે મેં અધિકારીઓને આગામી બે દિવસમાં ખેડૂતો માટે રાજય અને કેન્દ્રની યોજનાઓ અંગે સંપૂર્ણ જાણકારી આપવાનું કહ્યું છે. એકવાર જયારે મને બધી બાબતોની માહિતી મળશે તે પછી તે મુજબ નિર્ણય લઈશ.

મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું કે રાયગઢ કિલ્લાને સંવારવામાં આવશે. આ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની હતી. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો કે શિવાજીના કિલ્લાની મરમ્મત માટે ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

મહારાષ્ટ્રના મંત્રી તરીકે શપથ લેનારા એનસીપી નેતા જયંત પાટિલે પહેલી કેબિનેટ બેઠક બાદ કહ્યું કે સરકારની અંદર મુખ્યમંત્રી સહિત ૬ મંત્રીઓની એક સમન્વય સમિતિ હશે. એક બહારી સમિતિ હશે જે લક્ષ્યોને મેળવવામાં સરકારની મદદ કરશે.

ઉદ્ઘવ ઠાકરેએ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ઉદ્ઘવે શિવાજી મહારાજને નમન કરતા મરાઠી ભાષામાં શપથ લીધી. ઠાકરે પરિવારમાંથી પહેલીવાર  કોઈ વ્યકિત મુખ્યમંત્રી બન્યા છે. મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને સાંજે ૬.૪૦ વાગે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં હતાં. ઉદ્ઘવ બાદ અન્ય કેબિનેટ મંત્રીઓને શપથ લેવડાવ્યાં હતાં.

ભગવા કપડાં અને કપાળમાં તિલક...ઉદ્ઘવ ઠાકરેનો જોવા મળ્યો અનોખો અંદાજ, શપથ બાદ થયા નતમસ્તક

૬ ધારાસભ્યો મંત્રી બન્યા

શિવસેના-એનસીપી-કોંગ્રેસના ૨-૨-૨ ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતાં. જેમાં શિવસેનામાંથી એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, એનસીપીમાંથી જયંત પાટિલ, અને છગન ભૂજબળ તથા કોંગ્રેસના બાળાસાહેબ થોરાટ અને નીતિન રાઉતે શપથ લીધા.

શિવસેના-એનસીપી અને કોંગ્રેસના મહાવિકાસ આદ્યાડી ગઠબંધનનો આધાર કોમન મિનિમમ પ્રોગ્રામ છે. જેમાં ખેડૂતો, રોજગારી, શિક્ષણ, શહેરી વિકાસ, પર્યટન, કળા, સંસ્કૃતિ અને મહિલાઓના મુદ્દે કામ કરવાનું વચન અપાયું છે.

(11:27 am IST)