Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

પશ્ચિમ બંગાળની પેટાચૂંટણીમાં મતોમાં વધારો છતાં વિરોધીમતનું એકત્રીકરણ થતા ભાજપનો પરાજય :

કાલિયાગંજમાં ભાજપના મત ત્રણ ગણા વધ્યા : કેન્દ્રીય મંત્રી દેબાશ્રી ચૌધરી અને પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના ક્ષેત્રમાં ભાજપની હાર

નવી દિલ્હી: ભાજપે પશ્ચિમ બંગાળમાં ત્રણ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2016માં ભાજપની ટિકિટ પર ખડગપુર વિધાનસભા સીટ જીતેલા દિલીપ ઘોષ અને કરીમપુરથી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ધારાસભ્ય મહુઆ મિત્રા 2019માં સંસદ બની જતા આ બંને બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ. કોંગ્રેસ ધારાસભ્ય પ્રમથનાથ રાયના નિધનના કારણે કાલિયાગંજ બેઠક ઉપર પણ પેટાચૂંટણી યોજાઈ.

કાલિયાગંજ બેઠક પર કાંટાની ટક્કર બાદ માત્ર 2300 મતોથી ભાજપ હાર્યો. અહીં 2016ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર 27000 મતો મેળવીની ભાજપ ત્રીજા સ્થાને રહ્યો હતો પરંતુ આ વખતે પેટાચૂંટણીમાં ત્રણ ગણાથી પણ વધુ (95000થી વધુ) મતો મળ્યા હતાં. આ જ રીતે કરીમપુર વિધાનસભા સીટ ઉપર પણ ભાજપ પોતાના મતોમાં ભારે વધારો કરવામાં સફળ રહ્યો હતો. ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં 3 ગણા મતો વધ્યા છે. વર્ષ 2016ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 23302 મતો મળ્યા હતાં. જ્યારે 3 વર્ષ બાદ થયેલી પેટાચૂંટણીમાં 78000થી વધુ મતો મળ્યા છે.

કેન્દ્રીય મંત્રી દેબાશ્રી ચૌધરી અને પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના ક્ષેત્રમાં પણ પાર્ટીની હાર થઈ છે. ભાજપનું જો કે માનવું છે કે પરિણામોને જોઈએ તો ભલે 3 બેઠકો પર ભાજપ હાર્યો છે પરંતુ ગત ચૂંટણીની સરખામણીમાં મતોમાં ભારે વધારો કરીને પાર્ટી બીજા નંબર પર રહી. એ જ રીતે ભાજપ હવે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસનો મજબુત વિકલ્પ બની ગઈ છે. કાલિયાગંજ અને ખડગપુરમાં લોકસભા ચૂંટણી દરમિયાન બઢત મળવા છતાં પેટાચૂંટણીમાં હાર ભાજપના નેતાઓને જો કે પરેશાન કરી રહી છે.

  ભાજપના સૂત્રોના જણાવ્યાં મુજબ ત્રણ સીટો પર હારની પાછળ વિરોધી મતોનું એકજૂથ થવું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 18 બેઠકો મળ્યા બાદ વિપક્ષી મતો એકજૂથ થઈ ગયાં. જેના કારણે મતશેર તો વધ્યો પણ ભાજપ સીટ જીતી શક્યો નહીં. કરીમપુર સીટ પર તૃણમૂલ કોંગ્રેસને ગત વખત કરતા 10000 મતો વધુ મળ્યાં. જ્યારે ભાજપને ગત વખત કરતા 55000 થી વધુ મતો મળ્યા છતાં તે હાર્યો. આ સીટ પર માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના મતો પણ તૃણમૂલ કોંગ્રેસને ગયા હોવાનું કહેવાય છે.

ભાજપની પશ્ચિમ બંગાળ શાખાના સચિવ રિતેશ તિવારીએ કહ્યું કે હંમેશા પેટાચૂંટણી સત્તાપક્ષની જીત હોય છે. કારણ કે આખી મશીનરી વિપક્ષ વિરુદ્ધ હોય છે. કાલિયાગંજ સીટ પર ફક્ત બે હજાર મતોથી જ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ જીતી શકી. જેનાથી ખબર પડે છે કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં પણ જનતા ભાજપ તરફ આશાભરી આંખે જોઈ રહી છે.

  કાલિયાગંજ સીટ રાયગંજ લોકસભા વિસ્તારમાં આવે છે. 55 ટકા મુસ્લિમ વસ્તીવાળા લોકસભા ક્ષેત્ર હોવા છતાં 2019માં ભાજપની દેબાશ્રી ચૌધરી જીતવામાં સફળ રહી છે. પાર્ટી સૂત્ર જણાવે છે કે લોકસભા ચૂંટણીમાં સીપીએમ અને કોંગ્રેસ વચ્ચે મુસ્લિમ વોટ વહેંચાઈ ગયાં. પરંતુ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કાલિયાગંજ સીટ પર તૃણમૂલના જીતવા પાછળ મુસ્લિમ તથા ભાજપ વિરોધી મતોનું એકજૂથ થવું ગણવામાં આવે છે. વર્ષ 2016ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ મનાતી ખડગપુર સીટ પર દિલીપ ઘોષે ભાજપને જીત અપાવી હતી. પરંતુ આ વખતે પેટાચૂંટણીમાં 20,000 મતોથી ભાજપની હાર થઈ છે. જ્યારે લોકસભા ચૂંટણીમાં ભજાપને આ વિધાનસભા વિસ્તારમાં લગભગ 45000 મતોની લીડ મળી હતી. જ્યારે કાલિયાગંજ સીટ ઉપર પણ ભાજપને 55000થી વધુ મતોની લીડ મળી હતી.

(12:40 am IST)