Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

નવી સિરિઝના જીડીપી ડેટા પર કોંગ્રેસનું બેવડું માપદંડ

કોંગ્રેસ પાર્ટી ઉપર અરુણ જેટલીના તીવ્ર પ્રહાર : કોંગ્રેસ પાર્ટીએ પહેલા પ્રશંસા બાદથી હવે વિરોધ : નાણામંત્રી અરુણ જેટલી

નવીદિલ્હી, તા. ૨૯ : નાણામંત્રી અરુણ જેટલીએ નવી સીરીઝના જીડીપી ડેટા જારી કરવાના મુદ્દા ઉપર કોંગ્રેસ તરફથી થઇ રહેલા પ્રહારોનો જવાબ આપતા નાણામંત્રી અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી વિરોધાભાષી વાતો કરી રહી છે. જેટલીએ કહ્યું હતું કે, જ્યારે નવા માપદંડ પર જીડીપી ડેટાની નવી સિરિઝની શરૂઆત થઇ હતી ત્યારે યુપીએ સરકારે છેલ્લા બે વર્ષના ગાળાને પણ આવરી લેવામાં આવ્યા હતા તે વખતે બંને વર્ષોમાં પહેલાની સરખામણીમાં જીડીપી ડેટામાં વધારો દર્શાવવામાં આવ્યો હતો. તે વખતે કોંગ્રેસ પાર્ટીએ પોતાની પ્રશંસા કરીને કહ્યું હતું કે, તેમની સરકારના ગાળામાં જીડીપી અને દેશની અર્થવ્યવસ્થા ખુબ ઝડપથી આગળ વધી રહી છે. હવે જ્યારે આજ માપદંડના આધાર પર તેના સમગ્ર ગાળા દરમિયાન મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસના નેતા તેના ઉપર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. કોઇ સમયે આની પ્રશંસા કરવામાં આવી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે, જીડીપીના મૂલ્યાંકનના નવા માપદંડમાં તમામ માપદંડનો સમાવેશ કરવામાં આવ્યો છે જે વિશ્વસ્તરીય છે. તેમણે કહ્યું હતું કે, જીડીપીના ડેટા એકત્રિત કરવા માટે ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઉપર આધારિત પદ્ધતિ રહેલી છે. જીડીપીના સંદર્ભમાં જેટલીએ કહ્યું હતું કે, નવી સિરિઝના મુલ્યાંકન વિશ્વના સૌથી સારા માપદંડના આધાર પર કરવામાં આવે છે. મોદી સરકારે ફેબ્રુઆરી ૨૦૧૫માં જીડીપીના મૂલ્યાંકનની પદ્ધતિમાં બે મોટા ફેરફાર કર્યા હતા જેના આધાર પર જીડીપી મુલ્યાંકનના બેઝ વર્ષને ૨૦૦૪-૦૫ને બદલીને ૨૦૧૧-૧૨ કરી દેવામાં આવ્યો હતો. સાથે સાથે આને કિંમતોને પ્રભાવિત કરવા માટે માપદંડોની જગ્યાએ બજાર મુલ્યોને જીડીપીના મુલ્યાંકનના આધાર પર બનાવવામાં આવ્યા હતા. નવી સિરિઝ હેઠળ પ્રથમ વખત વર્ષ ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ના જીડીપીના મુલ્યાંકન કરવામાં આવ્યા હતા જેનો ઉલ્લેખ નાણામંત્રી અરુણ જેટલીએ પોતાના સ્પષ્ટીકરણમાં કર્યો હતો. ફેબ્રુઆરી ૨૦૧૫થી આ સિરિઝ લાગૂ કરવામાં આવી હતી જે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પર આધારિત છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, સીએસઓ એક પ્રતિષ્ઠિત સંસ્થા છે. તે કોઇના ઇશારા પર કામ કરતી નથી આંકડા અને પદ્ધતિ પર કામ કરે છે.

(7:56 pm IST)