Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

અંત સુધી હક અને સત્ય સામે લડીશ

કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ નવજોત સિધ્ધુએ જાહેર કર્યો પ્રથમ વીડિયો

નવી દિલ્હી તા. ૨૯ : પંજાબ રાજકારણમાં ગરમાગરમી ચાલી રહી છે. કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ઘુના રાજીનામા બાદ હવે નવા પ્રદેશ પ્રમુખની શોધખોળ શરૂ થઈ ગઈ છે.

પંજાબમાં સત્તાનું ઘમસાણ મચ્યુ છે. નવજોત સિંહ સિદ્ઘુને હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામું આપવું ભારે પડે તેવી સંભાવના છે.

કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ નવજોત સિદ્ઘુએ એક વીડિયો બહાર પાડીને પોતાની વાત કરી હતી. સિદ્ઘુએ કહ્યું કે તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી અધિકાર અને સત્યની લડાઈ લડતા રહેશે. તેમણે કહ્યું કે મારી કોઈ સાથે કોઈ અંગત દુશ્મનાવટ નથી. મારી રાજકીય કારકિર્દી ૧૭ વર્ષની છે, જે પરિવર્તન લાવવાની હતી. તે લોકોનું જીવન વધુ સારું બનાવવા માટે હતું. આ મારો ધર્મ છે.

સિદ્ઘુએ કહ્યું કે હું ન તો હાઈકમાન્ડને ગેરમાર્ગે દોરી શકું અને ન તો તેને ગેરમાર્ગે દોરવા દઉં. હું ન્યાય માટે લડવા, પંજાબના લોકોનું જીવન સુધારવા માટે કંઈપણ બલિદાન આપીશ. મારે આ વિશે વિચારવાની જરૂર નથી.

પાર્ટીના હાઇકમાન્ડ દ્વારા સિદ્ઘુના રાજીનામાં બાદ હવે તેમણે મનાવવા માટે પ્રયાસો બંધ કરી દેવામાં આવ્યા છે. કારણ કે બંને પક્ષે હવે કોઈ વાતચીત થઈ નથી. આટલું જ નહીં પણ પક્ષ દ્વારા પંજાબમાં હવે નવા કોંગ્રેસ અધ્યક્ષ શોધવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ હરીફાઈમાં હવે રવનિત સિંહ બિટ્ટુનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

કોંગ્રેસના સૂત્રોનાં જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઇકમાંડ સિદ્ઘુથી નારાજ છે. તેમની વિરૂદ્ઘ હવે પાર્ટીનું વલણ કડક થઈ જાય તેવી પણ સંભાવના છે. જો કે કોંગ્રેસે હજુ તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી. પંજાબ કોંગ્રેસમાં ફરી વાર મોટી ઉથલપાથલ મચી છે. પ્રદેશાધ્યક્ષ પદેથી સિદ્ઘુના રાજીનામા બાદ તેમના સમર્થનમાં કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાના અને ધારાસભ્ય પરગટ સિંહે પણ તત્કાળ રાજીનામું આપી દેતા સંકટ ઘેરૂ બન્યું છે.

(3:24 pm IST)