Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

NRC ડ્રાફ્ટથી બહાર લોકો પૈકી ૧૦ ટકાના મૂલ્યાંકન માટે આદેશ

આસામના એનઆરસી ડ્રાફ્ટને લઇને સુપ્રીમનો મહત્વનો આદેશ : શેડ્યુઅલ મામલે ફેંસલો મોડેથી કરાશે : દાવા અને વાંધાઓ સ્વીકાર કરવા માટેની નિર્ધારિત ૩૦ ઓગસ્ટની તારીખ સુપ્રીમ કોર્ટે રદ કરવા આદેશ કર્યો

નવીદિલ્હી,તા. ૨૮ : આસામમાં તાજેતરમાં જ પ્રકાશિત કરવામાં આવેલા નેશનલ રજિસ્ટ્રાર ઓફ સિટિઝનના ડ્રાફ્ટ ઉપર થયેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો હતો. મંગળવારના દિવસે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપતા ડ્રાફ્ટથી બહાર રાખવામાં આવેલા લોકો પૈકી ૧૦ ટકાના મૂલ્યાંકન માટેનો આદેશ જારી કર્યો હતો. જસ્ટિસ રંજન ગોગોઈ અને આરએફ નરિમનની બેંચે આ મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો હતો જેના ભાગરુપે એનઆરસીથી બહાર રાખવામાં આવેલા ૧૦ ટકા લોકોને ફરીથી મૂલ્યાંકન કોર્ટના સંતોષ માટે એકમાત્ર સર્વેક્ષણ તરીકે છે. તેના શેડ્યુઅલ અંગે ચુકાદો મોડેથી કરવામાં આવશે. કોર્ટે એનઆરસી ડ્રાફ્ટના સંબંધમાં દાવા અને વાંધાઓ સ્વીકાર કરવા માટે નિર્ધારિત ૩૦મી ઓગસ્ટની તારીખને પણ સ્થગિત કરી દીધી હતી. આને ફાઈલ કરવાને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્રની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરમાં વિરોધાભાષને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના આ પ્રસ્તાવ ઉપર પણ શંકા વ્યક્ત કરી છે કે, દાવો કરનાર વ્યક્તિને ડ્રાફ્ટમાં સામેલ થવા માટે વિરાસત સાથે સંબંધિત દસ્તાવેજોને બદલવા માટે મંજુરી આપવામાં આવી છે. તમામ લોકો જાણે છે કે, એનઆરસી લિસ્ટનો બીજો ડ્રાફ્ટ ૩૦મી જુલાઈના દિવસે જારી કરવામાં આવ્યો હતો જેના ભાગરુપે ૩.૨૯ કરોડ લોકોમાંથી ૨.૮૯ કરોડ લોકોના નામ સામેલ કરવામાં આવ્યા હતા. આ યાદીમાં ૪૦૭૦૭૦૭ લોકોના નામ દાખલ કરવામાં આવ્યા ન હતા. આમાથી ૩૭૫૯૬૩૦ નામોને અસ્વીકાર કરી દેવામાં આવ્યા તા જ્યારે ૨૪૮૦૭૭ પર ચુકાદો હજુ કરવામાં આવ્યો નથી. આ પહેલા ૩૧મી જુલાઈના દિવસે સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, એનઆરસીમાં સામેલ ન કરવામાં આવેલા ૪૦ લાખથી વધુ લોકોની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ પહેલા સુપ્રીમ કોર્ટે ડ્રાફ્ટથી બહાર રાખવામાં આવેલા લોકોના જિલ્લાવાર ડેટા રજૂ કરવા કહ્યું હતું. ૧૪મી ઓગસ્ટના દિવસે કેન્દ્ર તરફથી સુપ્રીમમાં આપેયાલી માહિતીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તમામ ગંભીરતા રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું હતું કે, દાવા અને વાંધાઓને લઇને ૪૦ લાખ લોકોના બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવામાં આવ્યા બાદ અલગ આઈડી બનાવવામાં આવશે. એમ પણ કહેવામાં આવ્યું હતું કે, એનઆરસીની ફાઈનલ યાદી પ્રકાશિત થઇ ગયા બાદ જે લોકોના નામ તેમાં રહેશે તેમને સામાન્ય આધાર નંબર આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એનઆરસીના અંતિમ મુસદ્દાની બહાર રાખવામાં આવેલા ૪૦ લાખ લોકોને વધુ એક તક આપવા અને નુકસાન સંબંધિત જટિલતાઓને લઇને અહેવાલ આપવા માટે કહ્યું છે. બેંચે આસામ રાજ્યને ચાર સપ્ટેમ્બર સુધી રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. આ મામલામાં વધુ સુનાવણી પાંચમી સપ્ટેમ્બરના દિવસે હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એવી સ્પષ્ટતા પણ કરી છે કે, રિપોર્ટ માત્ર કોર્ટમાં જ રજૂ કરવાના રહેશે. સુપ્રીમ કોર્ટે ૩૦મી ઓગસ્ટથી નેશનલ રજિસ્ટાર ઓફ સિટિઝનના અંતિમ ડ્રાફ્ટના સંબંધમાં દાવાઓ અને વાંધાઓ સ્વીકારવા માટેની તારીખને રદ કરી દીધી હતી જે ૩૦મી તારીખ રાખવામાં આવી હતી.

(7:42 pm IST)