Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

શાળાઓ હવે બંધ રહેશે તો આવનાર પેઢીને અન્યાય થશે

નજીકના ભવિષ્યમાં કોરોનાના શૂન્ય કેસ ભાગ્યે જ હશે : ૫૦થી વધારે શિક્ષણવિદોએ મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના મુખ્યમંત્રીને ઓપન લેટર લખી આ વાત જણાવી

 

મુંબઈ/નવી દિલ્હી , તા.૨૯ : કોરોના જવાનો નથી અને નજીકના ભવિષ્યમાં ભાગ્યે એવો સમય આવે જ્યારે ઝીરો કેસ હોય. ૫૦થી વધારે શિક્ષણવિદોએ મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના મુખ્યમંત્રીઓને ઓપન લેટર લખીને વાત જણાવી છે. પત્ર લખનાર લોકોમાં આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી દિલ્હી અને દિલ્હી યૂનિવર્સિટીના પ્રોફેસર્સ સિવાય ડોક્ટર્સ, વકીલ અને પેરેન્ટ્સ શામેલ છે. ઓપન લેટરમાં તેમણે કહ્યું છે કે, શાળાઓ બંધ હોવાને કારણે ભણતરનું નુકસાન તો થાય છે, બાળક માનસિક તાણ પણ અનુભવી રહ્યા છે. તેમની સામાજિક કુશળતાઓ પણ ઓછી થઈ રહી છે.

પત્રમાં નિષ્ણાતોએ કહ્યું છે કે દેશભરની મોટાભાગની શાળાઓ પાછલા ૧૬ મહિનાથી બંધ છે. શાળાઓ ફરીથી શરુ કરવાના પક્ષમાં વૈજ્ઞાનિકો પણ છે. આઈઆઈટી મુંબઈના કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ભાસ્કરન રમને કહ્યું કે મોટાભાગના વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડ્યું છે અને જો વધુ એક વર્ષ પ્રકારની સ્થિતિ રહી તો આવનારી પેઢીઓ સાથે અન્યાય થશે.

ઓપન લેટરમાં શાળાઓને ચરણબદ્ધ રીતે ખોલવાની યોજના સંભળાવવામાં આવી છે. સરકારોને કહેવામાં આવ્યું છે કે જે વિસ્તારોમાં પોઝિટિવિટી રેટ ઓછો છે ત્યાં શાળાઓ ખોલવામાં આવે. સેકન્ડરી શાળાઓ ખોલતા પેહલા પ્રી-પ્રાઈમરી અને પ્રાઈમરી શાળાઓ ખોલવાની સંભાવનાઓ પર વિચાર કરવામાં આવે. સ્કૂલ સ્ટાફને પ્રાથમિક ધોરણે રસી આપવામાં આવે, શરુઆતમાં વિદ્યાર્થીઓના નાના સમૂહને અઠવાડિયામાં એક બે વાર ક્લાસ માટે બોલાવવામાં આવે. વેન્ટિલેશનનું ધ્યાન રાખવામાં આવે.

મહારાષ્ટ્રના પીડિયાટ્રિક કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય વિજય યેવાલેએ જણાવ્યું કે, ભારતની સરખામણી અન્ય દેશો સાથે ના કરી શકાય.

 યુકે જેવા દેશોમાં મોટાભાગની વસ્તીમાં હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થઈ ગઈ છે. અમે પણ માનીએ છીએ કે વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે પરંતુ શાળાઓ ખોલવી સરકાર માટે પણ એક મુશ્કેલ નિર્ણય હશે. ટાસ્ક ફોર્સે શાળાઓ કઈ રીતે ખોલવી તે અંગે પણ ગાઈડલાઈન આપી છે પરંતુ અંતિમ નિર્ણય રાજ્ય સરકારે કરવાનો છે.

(7:08 pm IST)