Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

પરમબિરસિંઘ કેસમાં હવે SIT કરશે તપાસ : અન્ય 5 પોલીસ અધિકારીની પણ તપાસ થશે

ડીસીપી કક્ષાના અધિકારી તપાસ ટીમના હેડ રહેશે, એસીપી કક્ષાના અધિકારી આ સમગ્ર મામલાની તપાસ કરશે

મુંબઈ પોલીસે પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ અને અન્ય 5 પોલીસ અધિકારીઓ સામે નોંધાયેલા કેસની તપાસ માટે એસઆઈટી(SIT)ની રચના કરી છે. ડીસીપી કક્ષાના અધિકારી આ તપાસ ટીમના હેડ રહેશે, જ્યારે એસીપી કક્ષાના અધિકારી આ સમગ્ર મામલાની તપાસ કરશે. એટલું જ નહીં, આ ઘટનામાં ફરિયાદ નોંધાવનારા શ્યામસુંદર અગ્રવાલ વિરુદ્ધ જુહુ પોલીસ સ્ટેશનમાં મકોકા  હેઠળ નોંધાયેલી FIRની તપાસ પણ આ ટીમ કરશે. અગ્રવાલનો સંબંધ છોટા શકીલ સાથે હોવાનો આરોપ છે.

આ દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાંચના ડીસીપી અકબર પઠાણને લોકલ આર્મ્સ વિભાગમાં મોકલવામાં આવ્યા છે. એક બિલ્ડર પાસેથી પૈસા વસુલવાના કેસમાં પરબીરસિંહની સાથે અકબર પઠાણનું નામ પણ સામે આવ્યુ છે. ગયા અઠવાડિયે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર(FIR) નોંધાઈ હતી.

મુંબઈના એક પોલીસ સ્ટેશનમાં ભાયંદરના બિલ્ડર શ્યામસુંદર અગ્રવાલ દ્વારા FIR નોંધાવાઈ હતી. આ પછી પરમબીર સિંહ અને મુંબઈ પોલીસ ટીમના પાંચ અધિકારીઓ વિરુદ્ધ 15 કરોડની ખંડણી માંગવા મામલે કેસ નોંધવામાં આવ્યો હતો.

બીજી તરફ શરદ અગ્રવાલ નામના વ્યક્તિએ પરમબીર સિંહ પર પણ બે કરોડ રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો છે. શરદ અગ્રવાલ પાસે બે કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરીને જમીન બળજબરીથી તેમના નામે કરાવી લેવાનો આરોપ છે અને આ ઘટનામાં થાણે શહેરના કોપરી પોલીસ સ્ટેશનમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં પરમબીર સિંહ સાથે સંજય પુનમિયા, સુનીલ જૈન, મનોજ ઘોટકર અને ડીસીપી પરાગ મણેરે સહ આરોપી છે. આ મામલે વધુ તપાસ પોલીસ નિરીક્ષક ફુલપગારે કરી રહ્યા છે.

પરમબીર સિંહ અને અન્ય 5 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કેસની તપાસ માટે બનાવવામાં આવેલી એસઆઈટી ટીમમાં સાત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાત સભ્યોના નામ છે- નિમિત ગોયલ (પોલીસ ડેપ્યુટી કમિશનર), એમ.એમ. મુજાવર (આસીસટન્ટ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ), પ્રિનમ પરબ (પોલીસ નિરીક્ષક, આર્થિક ગુનાઓ વિભાગ), સચિન પુરાણિક (પોલીસ નિરીક્ષક, એન્ટિ-રિકવરી ટીમ) ), વિનય ઘોરપડે (પોલીસ નિરીક્ષક) મહેન્દ્ર પાટીલ (આસીસટન્ટ પોલીસ નિરીક્ષક, ક્રાઈમ બ્રાંચ), વિશાલ ગાયકવાડ (મદદનીશ પોલીસ નિરીક્ષક, પશ્ચિમ વિભાગ, સાયબર પોલીસ થાણે).

(12:17 am IST)