Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

સ્કૂલ, કોલેજો, થિયેટરો, ધાર્મિક સ્થળો સિવાય તમામને લોકડાઉનમાંથી મુકિત આપવા ભલામણ

નવી દિલ્હી, તા.૨૯: કોરોનાની સ્થિતિ પર નજર રાખવા સરકારે બનાવેલી બે પેનલોએ લોકડાઉન હવે વધુ ના લંબાવવાની ભલામણ કરી છે. ચોથા તબક્કાનું લોકાઉન ૩૧જ્રાક મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. તેવામાં આ પેનલોએ લોકડાઉન ૪.૦ના એકિઝટ સ્ટ્રેટેજીનો રિપોર્ટ સરકારને સોપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

લોકડાઉનને લંબાવવું કે પછી તેને સમાપ્ત કરી દેવું તે અંગેનો આખરી નિર્ણય હવે એકાદ-બે દિવસમાં લેવાઈ જાય તેવી શકયતા સેવાઈ રહી છે. સ્કૂલ, કોલેજો, થિયેટર અને ધાર્મિક સ્થળોને બંધ રાખવા સિવાય આ પેનલે લોકડાઉનમાં મૂકાયેલા તમામ નિયંત્રણો ઉઠાવી લેવા માટે જણાવ્યું છે. જોકે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને ભારત આવવા દેવાની મંજૂરી આપવા અંગે તેમાં કોઈ ઉલ્લેખ નથી કરાયો.

ગૃહ મંત્રાલયે માર્ચ મહિનામાં કોરોનાને લગતી તમામ ગતિવિધિઓનું આયોજન તેમજ અમલીકરણ કરવા માટે ૧૧ જૂથ બનાવ્યા હતા. તેમાંથી જે ગ્રુપ અથવા કમિટિ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિ સંભાળી રહી છે તેના અધ્યક્ષ નીતિ આયોગના મેમ્બર વિનોદ પોલ છે. આ સિવાય હોસ્પિટલ, આઈસોલેશન, કવોરન્ટાઈન ફેસિલિટી, સર્વેલન્સ, ટેસ્ટિંગ અને ક્રિટિકલ કેરની સમિતિ પર્યાવરણ સચિવ સીકે મિશ્રા હેઠળ કામ કરી રહી છે. આ બંને સમિતિઓએ જ લોકડાઉન ઉઠાવી લેવા જણાવ્યું છે.

લોકડાઉન ઉઠાવી લેવા અંગે આ પેનલ્સનું કહેવું છે કે, આખા દેશમાં હવે લોકડાઉન લંબાવવામાં ના આવે. તેના બદલે જયાં કેસો સતત વધી રહ્યા છે ત્યાં નિયંત્રણો યથાવત રાખી ટ્રેસિંગ અને ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવે. કમિટિના એક સભ્યના જણાવ્યા અનુસાર, સ્કૂલ, કોલેજ, સિનેમા હોલ અને ધાર્મિક સ્થળો સિવાય જયાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું શકય છે તે તમામ જગ્યાઓને લોકડાઉનમાંથી શરતી મુકિત આપી દેવી જોઈએ, જેથી અર્થતંત્ર ફરી પાટે ચઢી શકે.

અધિકારીઓનું કહેવું છે કે, છેલ્લા ૧૦ દિવસમાં દેશમાં કોરોનાના કેસ ડબલ થઈ ગયા છે, જે ચિંતાનો વિષય છે. ગુરુવારે કેબિનેટ સેક્રેટરીએ તમામ ઉચ્ચ અધિકારીઓ, કમિટિઓ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી અને યુપીના અધિકારીઓ સાથે પણ વિડીયો કોન્ફરન્સ કરી હતી. જેમાં દર્દીઓને સારવાર આપવા અંગે ચર્ચા કરાઈ હતી.

ગૃહ મંત્રાલયે પણ લોકડાઉન પૂરું થઈ રહ્યું છે તે પહેલા બેઠકોનો દોર શરુ કર્યો છે. રવિવાર પહેલા લોકડાઉન ૫.૦ આવશે કે નહીં અને જો આવશે તો તેના નિયમો કેવા રહેશે તેની જાહેરાત થઈ જાય તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, ચોથા તબક્કાના લોકડાઉનમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં અનેક છૂટ આપી દેવાઈ છે, ડોમેસ્ટિક હવાઈ સેવા પણ શરુ કરી દેવાઈ છે.

(4:19 pm IST)