Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અમિત શાહ મંત્રી બનશે તો પાર્ટી પ્રમુખ પદને છોડી શકે

જેપી નડ્ડા અથવા ધર્મેન્દ્ર પ્રધાન પાર્ટી પ્રમુખ બની શકે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી ઇનિંગ્સમાં મહત્વકાંક્ષી યોજનાઓને અતિ ઝડપથી અમલી કરવાની અમિત શાહને મોટી જવાબદારી અપાશે

નવી દિલ્હી, તા. ૨૮ : લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે એનડીએની નવી અવધિ શરૂ થવા જઈ રહી છે. નવી સરકારમાં પાર્ટી પ્રમૂુખ અમિત શાહની ભૂમિકા શું રહેશે તેને લઇને જોરદાર ચર્ચા ચાલી રહી છે. એમ માનવામાં આવે છે કે, અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા મંત્રીમંડળમાં કોઇ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. જો શાહ મોદી કેબિનેટમાં કોઇ મોટી જવાબદારી સંભાળે છે તો પાર્ટી દ્વારા અધ્યક્ષ પદ માટે કોઇ અન્યની પસંદગી કરવામાં આવશે. પાર્ટી તેમને સંગઠનના અધ્યક્ષપદેથી દૂર કરશે. ૧૭મી લોકસભા ચૂંટણી માટે જ્યારે અમિત શાહે ગાંધીનગરમાંથી ઉમેદવારી નોંધાવી ત્યારે એવી ચર્ચા છેડાઈ ગઈ હતી. લોકસભા ચૂંટણીમાં બહુમતિ મળ્યા બાદ મોદીની નવી સરકારમાં અમિત શાહની કોઇ મોટી જવાબદારી રહેશે. હવે ૩૦મી મેના દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં નવી સરકારની રચના માટે શપથ કાર્યક્રમ શરૂ થશે. તે વખતે નવી કેબિનેટની રચના અંગે ચિત્ર સ્પષ્ટ થશે. અમિત શાહને મોદી કેબિનેટમાં જગ્યા મળે છે કે કેમ તેને લઇને પણ જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે. પાર્ટીમાં આ બાબતને લઇને પણ ચર્ચાઓ તીવ્ર બની છે કો જો અમિત શાહ સરકાર કોઇ જવાબદારી સંભાળે છે તો તેમને પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી છોડી દેવી પડશે. કારણ કે, ભારતીય જનતા પાર્ટી વર્ષોથી એક વ્યક્તિ એક પદના સિદ્ધાંત ઉપર કામ કરે છે. જો અમિત શાહ મંત્રીમંડળમાં આવે તો જેપી નડ્ડા અથવા તો ધર્મેન્દ્ર પ્રધાનમાંથી કોઇ એકને પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામં આવી શકે છે. દરેક સ્તરમાં યોજાયેલી ચૂંટણીમાં અમિત શાહે શાનદાર ભૂમિકા અદા કરી હતી. અમિત શાહના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં નગરનિગમ, વિધાનસભા ચૂંટણીથી લઇને લોકસભા ચૂંટણીમાં રેકોર્ડ દેખાળ કર્યો છે. અમિત સાહને ભાજપના સૌથી લોકપ્રિય અને સફળ અધ્યક્ષ તરીકે પણ ગણવામાં આળે છે. રાર્ટીના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે, અમિત શાહ દ્વારા સફળતાના જે માપદંડ તૈયાર કરવામાં આવ્યા છેતે કોઇ અન્ય અધ્યક્ષ માટે હાંસલ કરવાની બાબત થોડીક મુશ્કેલ છે. પાર્ટીમાં આ બાબતની પણ ચર્ચા છે કે, અમિત શાહને સરકારમાં ચોક્કસપણે સામેલ કરવામાં આવશે.  મોદીની બીજી ઇનિંગ્સ દરમિયાન મહત્વકાંક્ષી યોજનાઓને અતિ ઝડપથી અમલી કરવાની દિશામાં પહેલ કરવામાં આવનાર છે જેથી અમિત શાહને મોટી જવાબદારી મળી શકે છે. એમ પણ માનવામાં આવે છેકે, જો અરુણ જેટલી આરોગ્યના કારણોસર સરકારમાંથી બ્રેક લેશે તો નાણામંત્રાલયની જવાબદારી પણ મળી શકે છે. મોદી અને શાહની જોડી ભાજપની બીજી ઇનિંગ્સ માટે મંત્રીઓના નામ ઉપર પણ વિચારણા કરી રહી છે. નવી સરકાર કૃષિ, માઇનિંગ, કોલસા, ટેક્સટાઇલ, હાઉસિંગ, સ્ટીલ અને વાણિજય ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.

 

 

(12:00 am IST)