Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે ચૂંટણી લડશે : દેવેન્દ્ર ફડનવીસ

૨૨૦થી વધુ સીટો જીતવાની યોજના તૈયાર : લોકસભા ચૂંટણી બાદ દેવેન્દ્ર ફડનવીસે પ્રથમ વખત કરેલ વાત

નવીદિલ્હી, તા. ૨૮ : લોકસભાની ચૂંટણી બાદથી પ્રથમ ઇન્ટરવ્યુમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે વિસ્તાપૂર્વક વાત કરી છે. દેવેન્દ્ર ફડનવીસે કહ્યું છે કે, ભાજપ અને શિવસેના સંયુક્તરીતે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી લડશે અને ૨૨૦થી પણ વધુ સીટો જીતી જશે. તેમણે કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી રેકોર્ડ અંતરથી જીતવાની તેમની યોજના છે. તેમના એજન્ડાના સંદર્ભમાં અને કેબિનેટ રચનાના સંદર્ભમાં તેમજ વિસ્તરણના મામલે ફડનવીસે વાત કરી હતી. ફડનવીસે કહ્યું હતું કે, લઘુમતિ સમુદાયના લોકોમાં વિશ્વાસ જગાવવાનો હવે સમય આવી ગયો છે. મોદી કહી ચુક્યા છે કે, લઘુમતિઓને લાંબા સમય સુધી વોટબેંકની રાજનીતિ સાથે અયોગ્યરીતે ઉપયોગ કરવામાં આવ્યા છે. તેમનામાં દહેશત રાખવામાં આવી છે પરંતુ હવે લઘુમતિ સમુદાયના લોકોમાં પણ વિશ્વાસ જગાવવાની જરૂર છે. વડાપ્રધાનના કહેવા મુજબ જ તમામ વર્ગના લોકોમાં વિશ્વાસ જગાવીને આગળ વધવાની જરૂર છે. વાતચીત દરમિયાન ફડનવીસે એણ પણ કહ્યું હતું કે, મોદીએ લઘુમતિ સમુદાયના સભ્યોના સંદર્ભમાં મહત્વપૂર્ણ તારણ આપી દીધા છે. લઘુમતિ સમુદાયના લોકોને હજુ સુધી વોટબેંકની રાજનીતિ તરીકે ગણવામાં આવતા હતા. ભાજપની પોલિસી બિલકુલ સ્પષ્ટ રહી છે. કોઇને રાજી કરવાની યોજના નથી. શિક્ષણ, નોકરી, આરોગ્ય અને સામાજિક સેક્ટરના  ક્ષેત્રમાં તમામ મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, તમામ નાગરિકો સાથે એક સમાન વર્તન કરવામાં આવે તે જરૂરી છે. કોઇની પણ સામે કોઇપણ પક્ષપાત રાખવામાં આવ્યો નથી. અમારા પ્રયાસો મુખ્ય ધારામાં તમામને સામેલ કરવાના છે. મોદી લહેરની અસર સ્પષ્ટપણે ચારેબાજુ હાલમાં દેખાઈ રહી હતી. મોદીને તમામ વર્ગના લોકોએ મત આપ્યા હતા. સ્થિર સરકાર માટે લોકોએ મતદાન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ૨૦૧૪ની તુલનામાં ૨૪ ટકા વધારે સીટો વધારે જીતી લીધી છે. રાજ્યમાં ૪૮ લોકસભા બેઠકો પૈકી દરેકમાં છ વિધાનસભા સીટો રહેલી છે.

(12:00 am IST)