Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

કેન્‍દ્રની મોદી સરકાર શપથગ્રહણ બાદ ઉડાન યોજનાનો ત્રીજો તબક્કો અમલમાં મુકશેઃ અનેક શહેરોને આવરી લેવાશે

નવી દિલ્હીઃ ગુરૂવારે નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન પદે શપથ લેશે. આ સરકાર પાસે દરેકને મોટી અપેક્ષાઓ છે. આથી પીએમ મોદીની ટીમ અત્યારથી જ કામમાં લાગી ગઈ છે. ભારતમાં એવિએશન સેક્ટરની હાલત અત્યારે અત્યંત ખરાબ છે. આથી મોદી સરકાર પ્રથમ 100 દિવસમાં એવિએશન સેક્ટરમાં સુધારા માટે અનેક મોટા નિર્ણયો લઈ શકે છે.

નવી સરકાર 100 દિવસના અંદર સૌથી પહેલા રિજનલ કનેક્ટિવિટી સ્કીમને વધુ સફળ બનાવવા માગે છે. 'ઉડાન યોજના' અંતર્ગત પ્રથમ 100 દિવસમાં સરકાર 10 નવા એરપોર્ટ ચાલુ કરવાનું ધારી રહી છે. એટલે કે, 10 નવા શહેર સીધા જ હવાઈ માર્ગે જોડાઈ જશે. 'ઉડાન યોજના'નો ત્રીજો તબક્કો ટૂંક સમયમાં જ અમલમાં મુકવામાં આવશે.

'ઉડાન યોજના'નું વિસ્તરણ કરાશે

જો સરકાર ત્રીજો તબક્કો શરૂ કરી શકે એમ નથી તો બીજા તબક્કા અંતર્ગત જ નવા એરપોર્ટ ઓપરેશન કરાશે. સરકારનું લક્ષ્ય વર્તમાનમાં દેશના 100 એરપોર્ટની સંખ્યાને વહેલામાં વહેલી તકે 150 કરવાની છે. અંતર્ગત વર્તુળો પાસેથી મળેલી માહિતી મુજબ PMOમાંથી સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે, 30 દિવસના અંદર જેટ એરવેઝ, એર ઈન્ડિયા અને પવન હંસની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે.

જેટ એરવેઝની ગાડી પાટે ચડાવાનો પ્રયાસ

સરકાર જેટ એરવેઝને ફરીથી ઉડ્ડયન માટે તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે જ એર ઈન્ડિયાના ખાનગીકરણ અંગે પણ સરકાર આગામી 2-3 મહિનામાં શરતો અને નિયમો સાથે આગળ વધી શકે છે. પવન હંસના ખાનગીકરણના મુદ્દાનો ઉકેલ લાવવો પણ આ સેક્ટરની પ્રાથમિક્તા છે.

એર ઈન્ડિયાનું સંચાલન ખાનગી કંપનીને સોંપાશે

થોડા દિવસ અગાઉ સમાચાર આવ્યા હતા કે, સરકાર તેનું 100 ટકા વેચાણ કરવા માગે છે. એર ઈન્ડિયાના માથે લગભગ 55,000 કરોડનું દેવું છે. છેલ્લી સરકારે 75 ટકા વિદેશી રોકાણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. આથી, એર ઈન્ડિયાના ઉચિત ભવિષ્ય માટે હવે તેને 100 ટકા ખાનગી હાથોમાં સોંપવાની તૈયારી ચાલી રહી છે.

એવિએશન સેક્ટર ટોચ પર

ભારતના એવિએશન સેક્ટરનો વિકાસ દર અત્યારે ડબલ ડિજિટમાં છે. આથી, સરકાર તેનો વિકાસ દર જાળવી રાખવા માટે આગામી 3 મહિનામાં કેટલાક નક્કર પગલાં લઈ શકે છે.

(8:58 am IST)