Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

ભોપાલના યુવકે સેવા માટે રિક્ષાને એમ્બ્યુલન્સમાં ફેરવી

કોરોનાના કપરા સમયમાં સેવાની અલખ જમાવતો યુવાન : નાના માણસની ફ્રીમાં એમ્બ્યુલન્સ સેવા, ત્રણ દિવસમાં જ રિક્ષાચાલક દસ સિરિયસ દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા

ભોપાલ, તા. ૨૯ : હજુ ૨૬ એપ્રિલની વાત છે. ભોપાલમાં રહેતા સુલેખા પ્રબહવાલકરના પતિને કોરોના થયા બાદ તેમની તબિયત વધુ લથડી ગઈ હતી. તેમના પરિવારજનો એમ્બ્યુલન્સ માટે આમથી તેમ ભટકી રહ્યા હતા. તે વખતે જાણે કોઈ દેવદૂતના સ્વરુપે જાવેદ ખાન નામનો એક રિક્ષાચાલક તેમની મદદ કરવા માટે આવી પહોંચ્યો. તેમની રિક્ષામાં પેશન્ટને લઈ તેઓ અનેક હોસ્પિટલોમાં ફર્યા, અને આખરે એક હોસ્પિટલમાં તેમને બેડ મળી ગયો. જોકે, કલાકો સુધી પેશન્ટને લઈને ફરી રહેલા રિક્ષાચાલકે તેમની પાસેથી એકેય રુપિયો ના લીધો.

કોરોનાને કારણે એમ્બ્યુલન્સ માટે દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડે છે, ત્યારે ભોપાલમાં એક રિક્ષાચાલકે પોતાની રિક્ષાને એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી છે. તેમાં ઓક્સિજન પણ ઉપલબ્ધ છે. સૌથી મોટી વાત છે કે, સામાન્ય કમાણીથી ગુજરાન ચલાવતો નાનો માણસ ફ્રીમાં એમ્બ્યુલન્સ સેવા આપી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં રિક્ષાચાલક જાવેદ ખાન દસ સિરિયસ પેશન્ટ્સને હોસ્પિટલ પહોંચાડી ચૂક્યો છે.

શૌમિક દત્તા કોરોનાની ટ્રીટમેન્ટ માટે એક હોસ્પિટલમાં એડમિટ હતા. તેમને ડિસ્ચાર્જ અપાયો ત્યારે કોઈ લેવા આવી નહોતું શક્યું. તેઓ કેબ માટે રાહ જોતા રહ્યા, પરંતુ રાતના ૧૧ વાગ્યા સુધી તેનો પણ મેળ ના પડ્યો. આખરે જાવેદ ખાનની રિક્ષામાં સવાર થઈને તેઓ પોતાના ઘરે પહોંચ્યા. જોકે, જાવેદે તેમની પાસેથી પણ એકેય રુપિયો લેવાનો ઈનકાર કરી દીધો.

જાવેદ જણાવે છે કે, કોરોનાને કારણે જે સ્થિતિ સર્જાઈ છે તેનાથી તે હચમચી ગયો હતો. ઘરે બેસીને લોકોને પરેશાન થતાં જોવાના બદલે તેણે લોકોની મદદ કરવાનું નક્કી કર્યું હતું. છેલ્લા ૧૮ વર્ષથી રિક્ષા ચલાવતા જાવેદ જણાવે છે કે તેમના પરિવારમાં કોઈને કોરોના નથી થયો, પરંતુ લોકોને તેનાથી મરતા જોઈ પોતે વ્યથિત થઈ ગયા હતા.

૩૪ વર્ષના જાવેદે આખરે પોતાની પાસે જે કંઈ ઉપલબ્ધ છે તેના વડે કોરોનાગ્રસ્ત લોકોની મદદ કરવાનું નક્કી કર્યું હતું. તેમના પરિવારજનોએ રિક્ષાને એમ્બ્યુલન્સમાં ફેરવવાનું સૂચન આપ્યું હતું. તેમણે રિક્ષામાં સેનેટાઈઝર, કેટલીક દવાઓ ઉપરાંત ઓક્સિજનની પણ વ્યવસ્થા કરી છે. જેમાં તેઓ ત્રણ દિવસમાં ૧૦ દર્દીઓને હોસ્પિટલ પણ મૂકી આવ્યા છે. પોતે સેવા ક્યાં સુધી ચાલુ રાખશે તે અંગે જાવેદ કહે છે કે તેમને જરુરિયાતમંદોની મદદ કરવા માટે જો ઉછીના રુપિયા લેવા પડ્યા તો પણ તેઓ અચકાશે નહીં. હાલ તો તેમનું એકમાત્ર લક્ષ્ય લોકોને બચાવવાનું છે.

સેવાનો ખર્ચો પોતે કઈ રીતે કાઢે છે તે સવાલના જવાબમાં જાવેદે જણાવ્યું હતું કે તેમની પત્નીએ પોતાનું સોનાનું લોકેટ તેમને આપી દીધું હતું. હાલ તેઓ રોજના ૬૦૦ રુપિયા તો માત્ર ઓક્સિજનનો સિલિન્ડર ભરાવવામાં ખર્ચે છે. તેના માટે પણ તેમને ચાર-પાંચ કલાક લાઈનમાં ઉભું રહેવું પડે છે.

તેમણે પેસેન્જરો લેવાનું પણ બંધ કરી દીધું છે. પોતાની રિક્ષા એમ્બ્યુલન્સનો તેમણે વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપ પર મેસેજ પણ મૂક્યો છે, અને અન્ય રિક્ષાચાલકોને પણ તેઓ આમ કરવા પ્રેરી રહ્યા છે.

(8:00 pm IST)