Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

કોરોના સંક્રમણના જોખમને ઘટાડી દે છે રસીનો એક ડોઝઃ રિસર્ચ

બ્રિટનમાં રસીકરણ દરમિયાન મોટેભાગે ઓકસફોર્ડ - એસ્ટ્રાજેનેકા અને ફાયઝર - બાયોએનટેકની વિકસાવેલી કોરોના રસી લગાવવામાં આવી રહી છે : રસીનો એક ડોઝ પણ ડોમેસ્ટિક ટ્રાન્સમિશનના જોખમને ૫૦ ટકા સુધી ઘટાડી દે છે : સામાન્ય જીવનમાં પાછા ફરવા માટે પણ રસી મહત્વપૂર્ણ છે : રસી માત્ર બીમારીની ગંભીરતા જ નહીં, તેનાથી થતાં મૃત્યુને પણ અટકાવવામાં મદદ કરે છે

લંડન,તા.૨૯: વૈશ્વિક કોરોના મહામારી વિરુદ્ઘ ભારત સહિત દુનિયાભરના દેશોમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યા છે. એવામાં ઇંગ્લેન્ડની જન સ્વાસ્થ સેવા દ્વારા રસીકરણ પર કરવામાં આવેલા એક રિસર્સમાં મહત્વનો ખુલાસો થયો છે. આ રિપોર્ટ તમામ દેશોમાં રસીકરણને એક નવુ માર્ગદર્શન આપી શકે છે.

અભ્યાસ દરમિયાન પરિણામ સામે આવ્યું છે કે, ઇંગ્લેન્ડમાં કોરોના સામે લગાવવામાં આવી રહેલી રસીનો એક ડોઝ પણ મહત્વનો છે. જે કોરોના સંક્રમણના જોખમને લગભગ અડધો કરી નાંખે છે. બ્રિટનમાં મોટાભાગે ઓકસફોર્ડ-એસ્ટ્રાજેનેકા અને ફાયઝર-બાયોએનટેકની વિકસાવેલી કોરોના રસી લગાવવામાં આવી રહી છે.

આ અભ્યાસ દરમિયાન એવો ખુલાસો પણ થયો હતો કે રસીકરણના ૧૪ દિવસ પછી લોકોમાં કોરોના સામે રોગપ્રતિકારક શકિત વધી છે.

બ્રિટનના આરોગ્ય મંત્રી મૈટ હેનકોકએ આ મહત્વના રિસર્ચ અંગે માહિતી આપતાં કહ્યું કે, રસીનો એક ડોઝ પણ ડોમેસ્ટિક ટ્રાન્સમિશનના જોખમને ૫૦ ટકા સુધી દ્યટાડી દે છે. જે ફરીવાર આ વાતને સાબિત કરે છે કે રસી તમને અને તમારી આસપાસ રહેતા લોકોને સુરક્ષા પ્રદાન કરે છે. જયારે પણ તમને રસી લગાવવા માટે કોલ આવે, રસી જરુરથી લગાવો.

ખાસ બાબત એ છે કે આ અભ્યાસમાં ૨૪ હજાર ઘરોમાં રહેતા ૫૭,૦૦૦થી વધુ લોકોનો સંપર્ક કરાયો હતો જેમાં ઘરદીઠ ઓછામાં ઓછો એક કેસ પોઝિટિવ હતો. જેને રસીનો એક ડોઝ આપવામાં આવ્યો હતો. આ લોકોની સરખામણી રસી નહીં લેનારા આશરે ૧૦ લાખ લોકો સાથે કરવામાં આવી હતી. આ પહેલા કરાયેલા રિસર્ચમાં પણ જોવા મળ્યું હતું કે બંને રસીમાંથી કોઇપણ એક રસીનો એક ડોઝ લગાવ્યાના ચાર અઠવાડિયા પછી સંક્રમિત થવાનો ખતરો આશરે ૬૦-૬૫ ટકા ઓછો થયો હતો.

આ રિસર્ચમાં સામેલ મુખ્ય વૈજ્ઞાનિકનું કહેવુ છે કે, સામાન્ય જીવન તરફ આગળ વધવામાં રસી મહત્વપૂર્ણ છે. રસી માત્ર બીમારીની ગંભીરતા જ નહીં પરંતુ તેના લીધે રોજ થતાં મૃત્યુને પણ અટકાવવામાં મદદ મળે છે.

જોકે ઇંગ્લેન્ડની જન સ્વાસ્થ સેવાનું કહેવુ છે કે, રિસર્ચના સકારાત્મક સંકેત મળ્યા હોવા છતાં સંક્રમણ સામે અન્ય ઉપાયો જેવા કે માસ્કનો ફરજીયાત ઉપયોગ, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન, હાથ ધોતાં રહેવું જેવા નિયમોનું કડક પાલન પણ જરુરી છે.

(10:28 am IST)