Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

FPI વેચવાલીના જોરદાર મૂડમાં : કોરોનાથી ચિંતાતુર

માર્ચમાં ૧.૧૨ લાખ કરોડ પાછા ખેંચી લેવાયા : વૈશ્વિક મંદિની દહેશતથી વિદેશી રોકાણકારો ભારે ચિંતિત

નવીદિલ્હી, તા. ૨૯ : કોરોના વાયરસના કારણે વૈશ્વિક મંદીની દહેશત પ્રવર્તી રહી છે. આવી સ્થિતિમાં વિદેશી મૂડીરોકાણકારોએ ભારતીય મૂડી માર્કેટમાંથી જંગી નાણાં પરત ખેંચવાની શરૂઆત કરી દીધી છે. માર્ચ મહિનામાં હજુ સુધી મૂડીરોકાણકારોએ એક લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. સતત છ મહિના સુધી લેવાલી રહ્યા બાદ જંગી નાણાં પાછા ખેંચી લેવાયા છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉનની સ્થિતિ સમગ્ર વિશ્વમાં પ્રવર્તી રહી છે. એફપીઆઈ દ્વારા પણ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવ્યું છે. બજાર સાથે જોડાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે, ડિપોઝિટરી ડેટા દર્શાવે છે કે, ઇક્વિટીમાંથી ૫૯૩૭૭ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લેવામાં આવી છે જ્યારે બીજી માર્ચથી ૨૭મી માર્ચ વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારો દ્વારા ડેબ્ટ માર્કેટમાંથી ૫૨૮૧૧ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. માર્ચ મહિનામાં કુલ ૧૧૨૧૮૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે.

           સપ્ટેમ્બર ૨૦૧૯ બાદથી એફપીઆઈ દ્વારા સતત છ મહિનામાં રોકામ કર્યા બાદ માર્ચ મહિનામાં નાણાં પરત ખેંચવામાં આવ્યા છે. ૨૪મી માર્ચના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે આ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. વર્તમાન સંજોગોમાં એફપીઆઈ દ્વારા ખુબ જ કઠોર વલણ અપનાવ્યું છે. ડોલરનું પ્રભુત્વ હજુ પણ દેખાઈ રહ્યું છે. જાણકાર લોકોના કહેવા મુજબ બજારમાં સ્થિતિ સ્થિર થયા બાદ જ રોકાણકારો ફરી એકવાર નાણાં ઠાલવવાના મૂડમાં આવશે જ્યાં સુધી કોરોના વાયરસ ઉપર કાબૂ ન આવે ત્યાં સુધી રોકાણકારો નાણાં રોકવાના મુડમાં દેખાઈ રહ્યા નથી. અર્થતંત્ર ઉપર કોરોના વાયરસની અસર કેવી રહે છે તેને લઇને તમામની નજર કેન્દ્રિત થઇ છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા હાલમાં વેચવાલીનું વલણ અપનાવતા શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં મંદી રહેવાના સંકેત છે.  વૈશ્વિક મંદીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે હાલ રોકાણ ઘટે તેવી શક્યતા છે.

FPI દ્વારા વેચવાલી...

*   વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચમાં હજુ સુધી ૧.૧૨ લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા છે

*   બીજી માર્ચથી ૨૭મી માર્ચ સુધીના ગાળામાં ઇક્વિટીમાંથી રોકાણકારોએ ૫૯૩૭૭ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા

*   ડેબ્ટ સેગ્મેન્ટમાંથી ૫૨૮૧૧ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા

*   એફપીઆઈ વૈશ્વિક મંદી આવશે તેવી દહેશતને લઇને જોરદારરીતે પરેશાન થયેલા છે

*   સપ્ટેમ્બર ૨૦૧૯ બાદથી શેર માર્કેટમાં લેવાલી રાખ્યા બાદ છ મહિના બાદ વેચવાલી શરૂ થઇ

*   કોરોના વાયરસની દહેશત વધતા નાણા પરત ખેંચાયા

*   એફપીઆઈ કોરોના વાયરસની દહેશત વચ્ચે સાવધાનીના મૂડમાં દેખાઈ રહ્યા છે

*   બજેટમાં એફપીઆઈને લઇને કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હોવા છતાં હાલમાં કોરોનાની દહેશત વધી

*   કોરોના વાયરસ વધવા, અમેરિકા ઇમરજન્સી રેટમાં ઘટાડાના અહેવાલ વચ્ચે વિદેશી કારોબારીઓ નાણા પરત ખેંચવાના મૂડમાં

એફપીઆઈની સ્થિતિ

નવીદિલ્હી, તા.૨૨ : એફપીઆઈએ નવા વર્ષની શરૂઆત કરી છે. ૨૦૧૯માં ૭૩૨૭૬.૬૩ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ............................................................ આંકડા

૨૦૧૯....................... ૭૩૨૭૬.૬૩ કરોડ ઠલવાયા

૨૦૧૮............................... ૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭............................. ૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬............................. ૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫............................. ૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪............................. ૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩......................... ૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨......................... ૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

(7:39 pm IST)