News of Sunday, 29th March 2020
નવી દિલ્હી, તા. ૨૯ : કોરોના વાયરસની ગંભીરતા અને દુનિયાભરના વિકસિત દેશોની ત્રાસદીને ધ્યાનમાં લઇને સરકારે જોખમ લઇને લોકડાઉનનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આજે આના માટે પ્રજાની માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોના વાયરસે જિદ્દી વલણ અપનાવીને મોટી સંખ્યામાં લોકોને પોતાના સકંજામાં લઇ લીધા છે અને લોકોને મોતને ઘાટ ઉતારવા માટે કોરોના ખતરનાક સ્વરુપમાં છે ત્યારે સરકારે જોખમ લઇને લોકડાઉનનો મોટો નિર્ણય કર્યો છે. પ્રજાને થઇ રહેલી મુશ્કેલીઓ બદલ વડાપ્રધાને માફી માંગી હતી. જો કે, દુનિયાભરના દાખલાઓને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવાયો હોવાની તેઓએ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ નિર્ણય લેવાની બાબત ફરજિયાત બની ગઈ હતી. છતાં પણ લોકોની પરેશાની માટે તેઓ દેશભરની પ્રજાની માફી માંગે છે. મોદીએ કહ્યું હતું કે, દુનિયાની સ્થિતિને જોતા એક જ બાબત દેખાઈ રહી હતી કે, તમામ લોકોના પરિવારને સુરક્ષિત રાખવા માટે લોકડાઉન એક વિકલ્પ રહી ગયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઘણા લોકો નારાજ પણ થઇ રહ્યા છે કારણ કે તમામ લોકોને ઘરમાં રહેવાની ફરજ પડી રહી છે. કોરોના વાયરસના ઇન્ફેક્શનને રોકવા માટે આ મુશ્કેલરુપ નિર્ણય લેવાની ફરજ પડી છે. કોરોના સામે લડાઈ સરળ નથી. આજ કારણસર ખુબ મુશ્કેલ નિર્ણય લેવા પડ્યા છે. ૧૩૦ કરોડ લોકોની વસતીમાં લોકોની જાન બચાવવા માટે આ પગલું લેવું ખુબ જરૂરી હતી. કોઇપણ બિમારીને શરીરમાં જ રોકી દેવામાં આવે તો નુકસાન હંમેશા ઓછું રહે છે. તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વના દેશો આજે શરૂઆતમાં ભુલ કર્યા બાદ મોટી કિંમત ચુકવી રહ્યા છે. તેમની લાપરવાહી આજે તેમને મોંઘી પડી રહી છે. તેમણે કહ્યું હતું કે, લોકડાઉનની વાત દેશભરમાં ચાલી રહી છે. લોકડાઉનને લઇને દરેક વ્યક્તિ પરેશાન છે પરંતુ સૌથી ચિંતાજનક બાબત લોકોની ગ્રામિણ વિસ્તારો તરફની હિઝરત છે.
લોકો હજારો કિલોમીટરના અંતરની ચિંતા કર્યા વગર પોતાના વતન જવા માટે બાળકો અને વૃદ્ધો સાથે ચાલતા નિકળી ગયા છે. આવી સ્થિતિમાં મિડિયામાં આવી સતત બાબત આવી રહી છે કે, મોટાપાયે હિઝરત ખુબ જ સંવેદનશીલ છે. આનાથી નુકસાન થશે. શનિવારથી જ દિલ્હીના આનંદ વિહાર અને ધોળાકુવાના લોકો ઉમટી પડ્યા હતા. ઉત્તરપ્રદેશ સહિત અન્ય રાજ્યો દ્વારા કેટલીક બસોની વ્યવસ્તા કરવામાં આવી હતી.લોકોને તેમના ઘર સુધી પહોંચાડવા આ તૈયારી કરવામાં આવી હતી. શનિવારના દિવસે સ્થિતિ ખુબ જ જટિલ બની ગઈ હતી. મોદીએ કહ્યું હતું કે, તેઓ તમામ લોકોની સમસ્યાને સમજે છે પરંતુ આ રસ્તો એક માત્ર રસ્તો બચી ગયો હતો. જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈને જીતવાની જરૂર દેખાઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સંબંધોને તરોતાજા કરવાનો આ સમય આવી ગયો છે. તેમણે કહ્યું હતું કે, સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવાની જરૂર દેખાઈ રહી છે. ઇમોસ્નલ ડિસ્ટેન્સિંગ બનાવવાની જરૂર દેખાઈ રહી નથી.
હાલમાં ઇમોસનલ સંપર્કો ખુબ જરૂરી બની ગયા છે. એવા લોકો જે અન્યોને બચાવવા માટે ક્વોરનટાઈનમાં છે તેમના પ્રત્યે પણ અમારી કેટલીક જવાબદારી બની ગઈ છે. તેમનો સહકાર કરવાની જરૂર છે. કોરોના સામે લડવાની શ્રેષ્ઠ લડાઈ સોશિયલ ડિસ્ટેન્સિંગ છે પરંતુ આનો મતલબ સોશિયલ ઇન્ટરેક્શન ખતમ કરવાની બાબત નથી. આ સમય સંબંધોને તરોતાજા કરવાનો રહેલો છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવા-ઇમોસનલ ડિસ્ટેન્સને ઘટાડવાની જરૂર છે.