Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

જામિયાના ૭૦ તોફાની તત્વના સ્કેચો જારી થયા : તપાસ જારી

માહિતી આપનારને ઈનામ આપવાની જાહેરાત : તોફાની તત્વોએ હિંસા દરમિયાન ઘણી જાહેર અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડ્યુ હતું : ચકાસણી વધારે ઝડપી

નવીદિલ્હી, તા. ૨૯ : દિલ્હી પોલીસે ગયા મહિને ન્યૂફ્રેન્ડ કોલોનીમાં નાગરિક સુધારા કાનુન વિરોધી પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં સામેલ ૭૦ લોકોના સ્કેચ જારી કરી દીધા છે. પોલીસે આ પહેલા કેટલીક ધરપકડ પણ કરી હતી. હવે તોડફોડ કરનાર, આગની ઘટનાઓને અંજામ આપનાર અને પથ્થરબાજીની ઘટનામાં સામેલ રહેલા લોકોના સ્કેચ જારી કરી દીધા છે. પોલીસે આ તમામ ૭૦ લોકો પર ઈનામની પણ જાહેરાત કરી છે. પોલીસે ગયા મહિને આ વિસ્તારમાં થયેલા હિસાના મામલામાં સ્કેચ જારી કરીને સકંજો મજબુત કર્યો છે. હિંસામાં સામેલ રહેલા આ લોકોએ હિંસા દરમિયાન સરકારી અને ખાનગી સંપત્તિને ભારે નુકસાન કર્યું હતું. પોલીસ પર હુમલા કરવામાં આવ્યા હતા. મામલાની તપાસ ન્યૂફ્રેન્ડસ કોલોની દ્વારા કરવામાં આવી રહી છે.

        પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, મામલાની તપાસ ન્યૂફ્રેન્ડ કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારની ક્રાઈમ બ્રાંચ અને એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે. જે લોકોના ફોટાઓ ઉપર છે તે તમામ ૧૫મી ડિસેમ્બરના તોફાનોમાં સામેલ હતા. તેમની સક્રિય ભૂમિકા હતી. આ તમામ લોકો અંગે માહિતી આપનાર લોકોને ઇનામ પણ આપવામાં આવશે. તોફાની તત્વો પૈકી ૭૦ લોકોની ઓળખ કરી લેવામાં આવ્યા બાદ તેમની સામે સકંજો મજબુત કરાયો છે. અત્રે નોંધનીય છે કે, સીએએ અમલી બન્યા બાદ ૧૫મી ડિસેમ્બરના દિવસે જામીયા મિલીયા ઇસ્લામિયા યુનિવર્સિટીની પાસે લોકો એકત્રિત થઈ ગયા હતા અને જોરદાર હિંસા ફેલાવી હતી. નારાજ રહેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ સાઉથ દિલ્હીની ન્યૂફ્રેન્ડ કોલોનીમાં ડીટીસીની ચાર બસોને આગ ચાંપી હતી. ૧૦૦ વાહનોને નુકસાન પહોંચાડ્યુ હતું. પોલીસની દસ બાઈકોને પણ સળગાવી દીધી હતી. પોલીસ સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે.

(7:38 pm IST)