Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

દિલ્હીમાં ચૂંટણી પ્રચારમાં ભડકાઉ નિવેદન આપનારા ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા સામે ચૂંટણી પંચની કડક કાર્યવાહી

નવી દિલ્હી: દિલ્હીની વિધાનસભા (Delhi Assembly Elections 2020)ની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે. નેતાઓની નિવેદનબાજી પણ ચરમસીમાએ છે. આવા જ ભડકાઉ નિવેદન આપનારા ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ શર્મા પર ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. પંચે બંને નેતાઓને તત્કાળ પ્રભાવથી સ્ટાર પ્રચારકોની યાદીમાંથી કાઢવાનો પાર્ટીને આદેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માના નિવેદનોની આકરી ટીકા થઈ રહી હતી. ચૂંટણી પંચે ફરિયાદ બાદ કડક કાર્યવાહી કરી. આપત્તિજનક ભાષામાં શાહીન બાગ પર ટ્વીટ કરવા બદલ મોડલ ટાઉનથી ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા ઉપર પણ પંચ બે દિવસનો પ્રતિબંધ લગાવી ચૂક્યું છે.

ભાજપના નેતાઓના વાણી વિલાસ પર ચૂંટણી પંચ કડક

ભાજપના નેતાઓના આ વાણીવિલાસ પર ચૂંટણી પંચે આકરી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે ભાજપના નેતાઓને જારી કરેલી નોટિસમાં તત્કાળ પ્રભાવથી કેન્દ્રમાં મંત્રી અનુરાગ ઠાકુર અને વેસ્ટ દિલ્હીથી સાંસદ પ્રવેશ વર્મા પર કાર્યવાહી  કરતા પ્રચાર પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. પંચે તત્કાળ પ્રભાવથી બંને નેતાઓને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો.

ઠાકુર અને વર્માએ આપ્યા હતાં આપત્તિજનક નિવેદનો

હિમાચલ પ્રદેશના હમીરપુરથી સાંસદ અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હી ચૂંટણીમાં પ્રચાર વખતે દેશના ગદ્દારોને ગોળી મારો...નારા બોલાવ્યાં હતાં. આ નિવેદનની ખુબ ટીકા થઈ હતી. બીજી બાજુ વેસ્ટ દિલ્હીથી સાંસદ પ્રવેશ વર્માએ શાહીન બાગની સરખામણી કાશ્મીરથી કરી હતી અને કહ્યું હતું કે તેઓ (પ્રદર્શનકારીઓ) તમારા ઘરોમાં ઘૂસી જશ અને તમારી બહેન દીકરીઓ સાથે રેપ કરશે.

પ્રવેશ વર્માએ કેજરીવાલને ગણાવ્યાં નક્સલી

નિવેદનનો વિરોધ થવા છતાં પ્રવેશ વર્મા પોતાના નિવેદન પર મક્કમ રહ્યાં હતાં અને કહ્યું કે તેઓ પોતાના નિવેદન પર મક્કમ છે અને માફી માંગશે નહીં. એટલું જ નહીં એક ચેનલ સાથે વાતચીતમાં તેમણે અરવિંદ કેજરીવાલને નક્સલી અને આતંકી સુદ્ધા ગણાવી દીધા હતાં.

(4:48 pm IST)