Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

નિર્ભયા કેસ : મુકેશની પાસે કોઇપણ વિકલ્પો રહ્યા નથી

દયા અરજીને પડકાર ફેંકતી અરજી ફગાવાઇ : રેપ-હત્યા કેસમાં કુલ ચાર પૈકીના ત્રણ અપરાધીની પાસે હજુ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરવાનો વિકલ્પ

નવી દિલ્હી,તા. ૨૯: સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગ રેપ અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે આજે ફાંસીની સજાનો સામનો કરી રહેલા અપરાધી મુકેશની દયાની અરજીને પડકાર ફેંકી દાખલ કરવામાં આવેલી પિટિશનને ફગાવી દીધી હતી. આની સાથે જ મુકેશની પાસે તો હવે ફાંસીની સજાથી બચવા માટેના તમામ વિકલ્પ ખતમ થઇ ગયા છે. તમામ દોષિતોને પહેલી ફેબ્રુઆરીના દિવસે ફાંસી આપી દેવા માટેની તારીખ નક્કી કરવામાં આવી ચુકી છે. મંગળવારના દિવસે દોષિતો પૈકી એક અક્ષય ઠાકુર દ્વારા ક્યુરેટિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. મુકેશની પાસે તો હવે કોઇ વિકલ્પ રહ્યા નથી. કારણ કે તેની રિવ્યુ પિટિશનને જુલાઇ ૨૦૧૮માં ફગાવી દેવામાં આવી હતી. ક્યુરેટિવ પિટિશન પણ આ મહિને ફગાવી દેવામાં આવી છે. ૧૭મી જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે તેની દયાની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં ત્યારબાદ રજૂઆત કરવામાં આવી હતી.

૨૯મી જાન્યુઆરીના દિવસે સુપ્રીમ કોર્ટે તેની અરજીને ફગાવી દેવામાં આવી છે. હવે તેની ફાંસી નક્કી દેખાઇ રહી છે. મુકેશ પાસે હવે ફાંસીથી બચવા માટે કોઇ વિકલ્પ રહ્યા નથી.  ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે એક પેરા મેડીકલની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જવા માટે પોતાના મિત્રની સાથે બસની મુસાફરી કરી હતી એ જ વેળા ચાર નરાધમ શખસોએ તેના ઉપર ચાલતી બસમાં અમાનવીય રીતે ગેંગરેપ કર્યો હતો. આ બનાવમાં તે એટલા હદ સુધી ઘાયલ થઈ ગઈ હતી કે થોડાક દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ તેનું મોત થયું હતું. આ હચમચાવી મૂકનાર ઘટનાના કારણે દેશભરમાં તમામ લોકો એક મત થઈ ગયા હતા અને તમામ જગ્યાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન થયા હતા જેના પરિણામ સ્વરૂપે સરકારને મહિલાઓ પર થતા અત્યાચાર માટે નવા કાયદાઓ બનાવવાની તરત ફરજ પડી હતી.

આ કેસના મામલામાં બળાત્કારીઓન ફાંસીની સજા ફટકારવામાં આવી હતી નિચલી કોર્ટે ૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે ચારેય અપરાધીઓને ફાંસીની સજા આપી હતી. ત્યારબાદ હાઈકોર્ટે ૧૩મી માર્ચ ૨૦૧૪ના દિવસે ચારેય અપરાધી અક્ષય ઠાકુર, વિનય શર્મા, પવન ગુપ્તા અને મુકેશની અપીલને ફગાવી દીધી હતી અને ફાંસીને માન્ય રાખી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ પહોંચી હતી જ્યાં પણ અપરાધીઓને કોઇ રાહત મળી ન હતી અને સુપ્રીમ કોર્ટે ફાંસીની સજાને માન્ય રાખી હતી.અત્રે નોંધનીય છે કે  સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે  ૧૭મી જાન્યુઆરીના દિવસે ચારેય અપરાધીઓની સામે નવેસરથી ડેથ વોરંટ જારી કર્યું હતું.

આ ગુનેગારોને હવે પહેલી ફેબ્રુઆરીના દિવસે સવારે છ વાગે ફાંસી પર લટકાવવામાં આવશે. ચારેયને પહેલા ૨૨મી જાન્યુઆરીના દિવસે ફાંસી આપવામાં આવનાર હતી પરંતુ એક દોષિતે દયાની અરજી દાખલ કરી હતી. દયાની અરજી દાખલ કરાયા બાદ નવી પ્રક્રિયા હેઠળ નવેસરથી ડેથ વોરંટ જારી કરવાની ફરજ પડી હતી.  આ પહેલા દિલ્હીની એક અદાલતે ૭મી જાન્યુઆરીના દિવસે ચારેય અપરાધીઓને  મોતની સજા માટે ડેથ વોરંટ જારી કરી દેતા નરાધમોને ક્યારે ફાંસી અપાશે તેને લઇને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો હતો. જો કે મોડેથી તારીખમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. પટિયાળા હાઉસ કોર્ટે ૭મી જાન્યુઆરીના દિવસે લાંબી સુનાવણી કરી હતી. પટિયાલા હાઉસ કોર્ટે ચારેય નરાધમોને હવે ૨૨મી જાન્યુઆરીના દિવસે સવારે સાત વાગે તિહાર જેલમાં ફાંસી આપવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદથી કાયદાકીય દુવિધાઓ ફરી ઉભી થઇ હતી. ક્યુરેટિવ અરજીઓ અને દયાની અરજીઓ આવી હતી.  ગયા વર્ષે ૯મી જુલાઈના દિવસે સુપ્રીમ કોર્ટે ત્રણ અપરાધીઓની રિવ્યુ પિટિશનને ફગાવી દીધી હતી અને ફાંસીની સજા અકબંધ રાખી હતી. ૪થી મેના દિવસે પવન, વિનય અને મુકેશની રિવ્યુ પિટિશન ઉપર ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. ત્રણ અપરાધી પાસે વિકલ્પો છે.

(3:58 pm IST)