Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

યુકે અને યુરોપમાંથી આવેલા ૧૭૨૦ના કોરોના ટેસ્ટ કરાયા

૧૭૨૦ વ્યક્તિના ટેસ્ટમાંથી ૧૧ પોઝિટિવ આવ્યા : પૂનાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી અને ગુજરાત બાયોલોજીકલ રિસર્ચ સેન્ટરમાં થશે નવા સ્ટ્રેનની તપાસ

અમદાવાદ, તા. ૨૭ : ગુજરાતમાં શનિવારે ૨૪ કલાકમાં કોરોનાના ૮૯૦ નવા કેસ નોંધાયા હતા અને ૭ મોત થયાં છે. જેને લઈને કોરોનાનો કુલ આંકડો ૨૪૦૯૯૫ થયો છે તો વિશ્વમાં યુકેમાં કોરોનાના નવા સ્ટ્રેને ચિંતા વધારી છે. કોરોના વાયરસના નવા પ્રકાર-સ્ટ્રેનના લક્ષણોની તપાસણી માટે સેમ્પલની પુના અને ગાંધીનગરમાં ચકાસણી તેમજ જીનોમ સ્ટડી કરાશે. જેના પરિણામ ૮ થી ૧૦ દિવસમાં પરિણામ જાણી શકાશે. કોરોના વાયરસના યુકે અને યુરોપના દેશોમાં જોવા મળેલા નવા પ્રકારને પગલે સતર્કતારૂપે ભારત સરકારે આ દેશોમાંથી ભારત આવતી તમામ હવાઇ ઉડાન ૨૩ ડિસેમ્બરથી રદ કરી છે તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના યુકેથી આવેલા પુત્રી-જમાઈ પરિવારે પણ ભારત સરકારની સૂચિકા-નિર્દેશોનું પાલન કરતા પોતાના ઇ્ઁઝ્રઇ ટેસ્ટ કરાવ્યા હતા જેમાં તમામ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ભારત સરકારે એવા દિશા નિર્દેશો પણ આપ્યા છે કે આ દેશોમાંથી ૨૫ નવેમ્બરથી ૮ ડિસેમ્બર દરમિયાન આવેલા તમામ મુસાફરોએ સેલ્ફ મોનીટરીંગમાં રહેવું પડશે એટલું જ નહીં ૯મી ડિસેમ્બર થી ૨૩ડિસેમ્બરના સમય દરમિયાન ભારત આવેલા તમામ મુસાફરોને આઈસોલેશનમાં રહેવું પડશે તથા તે બધાના જ ઇ્ઁઝ્રઇ ટેસ્ટ ફરજીયાતપણે કરાવવાના રહેશે. મુખ્યમંત્રીના પુત્રી રાધિકા તથા જમાઈ નિમિત્ત અને પૌત્ર શૌર્ય પણ આ સમય દરમિયાન યુકેથી ગુજરાત આવ્યા છે અને તેમણે ભારત સરકારની ગાઈડ લાઇન્સ મુજબ પોતાનો ઇ્ઁઝ્રઇ ટેસ્ટ કરાવ્યો છે. આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. નોંધનીય છે કે ભારત સરકારના દિશા નિર્દેશો મુજબ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે પણ યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા મુસાફરોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જે હેઠળ ૨૫ નવેમ્બર થી ૮ ડિસેમ્બર દરમિયાન આવા ૫૭૨ મુસાફરો યુકે-યુરોપથી રાજ્યમાં આવેલા છે. તે પૈકી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ૯ ડિસેમ્બરથી ૨૩ ડિસેમ્બર દરમિયાન ૧૧૪૮ વ્યક્તિઓ આ દેશોથી ગુજરાતમાં આવ્યા છે તેમના ઇ્ઁઝ્રઇ ટેસ્ટમાં અમદાવાદ-૪, વડોદરા-૨, આણંદ-૨, ભરૂચ-૨ અને વલસાડ-૧ વ્યક્તિઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.

આ વ્યક્તિઓને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. તાજેતરમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા પ્રકારના લક્ષણો-ચિન્હો આ વ્યક્તિઓમાં છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ માટે તેમના સેમ્પલ પૂનાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી અને ગાંધીનગરની ગુજરાત બાયોલોજીકલ રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. સામાન્ય રીતે આ સેમ્પલની તપાસ માટે ૮ થી ૧૦ દિવસનો સમયગાળો જતો હોય છે એટલે આગામી સપ્તાહમાં તેમના અંતિમ રિપોર્ટ આવ્યા બાદ સારવારની આગળની વ્યવસ્થાઓ અને તકેદારી રાજ્ય સરકાર લેશે.

(12:00 am IST)