Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

શ્રાવણ સત્સંગ

તેજોમય પ્રકાશ થયો...ને બાળ કનૈયા રૂપે પ્રગટ થયા...!

શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની અષ્ટમીના પવિત્ર દિને દેવકી-વાસુદેવ પાસે ચતુર્ભુજ નારાયણ બાળકરૂપે પ્રગટ થયા....!

શંખ, ચંદ્ર ગદા ધારણ કરેલ હતા. તેમના આગમનથી  ચારે બાજુ તેજોમય પ્રકાશ પથરાઇ ગયો અને બે હાથવાળા બાળ કનૈયા રૂપે પ્રગટ થયા રોહીણી નક્ષત્રમાં ચંદ્ર આવ્યો દિશાઓ બધી જ  સ્વચ્છ થઇ આકાશ નિર્મળ થયું વહેતી સરિતાના નીર નિર્મળ થયા વન રાજામાં પક્ષીઓ કિલ્લોલ કરવા લાગ્યા.

વાસુદેવે માથે ટોપલીમાં બાલકૃષ્ણને મુકયા કે તુરતજ કારાગૃહના દરવાજા ખુલી ગયા બંધન તુટી ગયા.

બીજાને યશ આપે તે યશોદા સર્વને આનંદ આપે તે નંદ અને સદાચારે વિચાર, વર્તનથી જે સર્વેને યશ આપે આનંદ તેને ત્યાં પરમાનંદ-શ્રીકૃષ્ણ-પધારે

મોહન માખણ ચોરતો નથી ભકતોના મનને હરી મૂકિતનો આનંદ આપે છે.

જયાં અહંભાવ હોય ત્યાં શ્રીકૃષ્ણ છટકી જાય ભગવાન શ્રીકૃષ્ણે ગૃહસ્થાશ્રય અને સન્યાસનો આદર્શ સમન્વય વિશ્વને બતાવ્યો.

ભગવાન શ્રીકૃષ્ણ એક એવા ઇશ્વર છે કે, તેની પાસે કંઇક માંગીએ તો તેમની પહેલી શરત એ રહે કે, તું મને સમર્પિત થઇજા..હું તારા ચિત્ત, મન, બુદ્ધિ અને ઇન્દ્રીયોની લગામ સંભાળી લઇશ. ભગવાન શ્રીકૃષ્ણ વ્યકિતના મનોજગતની વૃત્તિ પામી લે છે શ્રીકૃષ્ણ તેના કર્મને દિશા આપે છે.

સમગ્ર માનવ જગતને આવકારતો જીવનનો ઉત્સવ તરીકે માનવાનો દોર આપનાર ઇશ્વર તો  કૃષ્ણ જ છે શ્રીકૃષ્ણનો તેના સર્વસ્વરૂપોને સમગ્રતાથી પ્રેમ કરવો અધરો છે.

શ્રીકૃષ્ણને કથા, શ્રવણ, મંત્ર જાપ, સ્મૃતિ, સેવા, ભકિત પ્રાર્થનાથી શરણાગત ભાવ કેળવીને તેમને રીઝવી શકાય.

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, કે હું પરમાત્મા છું હુંજ પ્રારંભ છુ હું જ મધ્ય છું અને અંત પણ હું જ છું હું પ્રત્યેક જીવમાત્રમાં બીરાજમાન છું મને શોધી મોક્ષનો માર્ગ અને મુકામ મેળવવાનો છે.

આવા પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણની ભાગવત કથા, ગીતાનું જ્ઞાન બાળકો અને યુવાનોને જીવનમાં રાહ બતાવવા કે ઉકેલ માટે ગુરૂ ચાવી સમાન છે. શ્રદ્ધાં ધર્મ, અધ્યાત્મ, તત્વજ્ઞાન, તેને કોઇપણ રીતે પામી શકાય છે.

શ્રીકૃષ્ણ એક એવા અવતાર હતા, જે સંપૂર્ણ માનવતાની રક્ષા કાજે પૃથ્વી પર આવ્યા હતા તેઓ પ્રતિપળ વિપરીત પરિસ્થિતિમાં જીવ્યા, તેમની શું ગજબની લીલાઓ હતી...એક ઉંમરમાં ગોપીઓને ઘેર ખુબ તોફાન મચાવ્યું વળી એજ ઉર્જાને કુરૂક્ષેત્રમાં નેતૃત્વ આપીને પૂરી કરી.

ઉર્જા બધામાં હોય, પરંતુ તેને કયારે કેવી રીતે રૂપાંતરણ કરવું એ આપણને કૃષ્ણ શીખવી ગયા.

શ્રી કૃષ્ણ નિષ્કામ હતા ચારિત્ર્યની બાબતે અદ્દભૂત હતા કૃષ્ણના જીવનમાં દરેક સમસ્યાનો ઉકેલ હતો.

પ્રભુ તમો એક એવા એકલા ભગવાન છો કે આપને ઝુલાવીએ...ગોપાલ મારો...પારણીયે ઝુલે! પ્રભુ આપના આ જન્મદિને અબાલ વૃદ્ધ સૌ કોઇ બાળક બની જાય છે.

ગોપાલ તારો નટખટ નિર્દોષ આનંદ પુર્ણ પ્રેમ વિના પરમાત્મા બંધાય નહી જસોદા માતાએ બાલકૃષ્ણને બાંધેલા વિશુદ્ધ ભકિત જ ભગવાનને બાંધી શકે ઇશ્વરને પ્રેમથી જ બાંધીએ ત્યાં સુધી માયાનું વંદન છુટે નહી.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:17 am IST)