Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અડવાણી વાજપેયીને યાદ કરી ભાવુક : મિત્રતાની યાદ તાજી

૬૫ વર્ષ સુધી વાજપેયી સાથે મિત્રતા ચાલી : આ પ્રકારની સભાને સંબોધવું પડશે તેવી કલ્પના ન હતી

નવીદિલ્હી, તા. ૨૦ : દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન વાજયેપીની શ્રદ્ધાંજલિ સભામાં તેમના નજીકના સાથી લાલકૃષ્ણ અડવાણી તેમને યાદ કરીને ભાવનાશીલ બની ગયા હતા. વાજપેયીની સાથે પોતાની ૬૫ વર્ષ જુની મિત્રતાને યાદ કરતા કહ્યું હતું કે, તેઓએ ક્યારે કલ્પના પણ કરી ન હતી કે તેમને કોઇ આવી સભાને સંબોધન કરવું પડશે. વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતા અડવાણી ભાવનાશીલ બની ગયા હતા. અડવાણીએ યાદ કરતા કહ્યું હતું કે, જ્યારે તેમની આત્મકથાનું વિમોચન થયું ત્યારે વાજપેયી ઉપસ્થિત રહી શક્યા  નહતા જેના કારણે તેમને ખુબ પીડા થઇ હતી. આજે જ્યારે તેઓ નથી ત્યારે કેટલી પીડા થઇ રહી છે તે સમજી શકાય છે. અડવાણીએ કહ્યું હતું કે, જીવનમાં અનેક સભાઓને સંબોધી છે પરંતુ આજે જેવી સભામાં ક્યારે સંબોધન કરશે તેવું ક્યારે વિચાર્યું ન હતું. આજે જ્યારે એવી સભા છે જેમાં વાજપેયી ઉપસ્થિત નથી. એવી સભાને તેમને સંબોધન કરવાની ફરજ પડી રહી છે. વાજપેયી કહેતા હતા કે, તે કેટલા દિવસો સુધી રહેશે જ્યારે આ પ્રકારની વાજપેયી કરતા હતા ત્યારે મનમાં ખુબ તકલીફ થતી હતી. અડવાણીએ એમ પણ કહ્યું છે કે જ્યારે તેઓએ પુસ્તકો લખ્યા હતા ત્યારે તેમાં વાજપેયીનો ઉલ્લેખ હતો પરંતુ વિમોચન વેળા વાજપેયી પહોંચ્યા ન હતા. અડવાણીએ એમ પણ કહ્યું હતું કે, છ દશક સુધી તેમની મિત્રતા ચાલી હતી. તેઓ પોતાને ભાગ્યશાળી ગણે છે કે, વાજપેયી સાથે તેમની મિત્રતા ૬૫ વર્ષ સુધી ચાલી હતી. ઘણા અનુભવ લીધા હતા. સાથે કામ કરતા હતા. પુસ્તકો વાંચતા હતા. વાજપેયી પોતે ભોજન બનાવી શકતા હતા અને તેમને જમાડતા હતા. વાજપેયી પાસેથી ઘણું બધુ શીખવા મળ્યું છે. વાજપેયીએ જે કંઇપણ અમને શીખવાડ્યું તેને લઇને આગળ વધવાની જરૂર છે.

(7:38 pm IST)