Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

કંકોત્રીમાં કોરોનાના 'ટહુકા'

લગ્ન : આમંત્રણ સાથે મહેમાનોને મળી રહ્યા છે માસ્ક-સેનેટાઇઝર

કોરોનાની અસર લગ્નમાં જ નહીં પરંતુ કંકોત્રી પર પણ દેખાઈ રહી છે, કોરોનાકાળમાં અવનવી કંકોત્રીઓ સોશિયલ મીડિયામાં વાઈરલ

નવી દિલ્હી,તા. ૨૮: હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે અને સરકારના બદલાતા નિર્ણય વચ્ચે પણ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડવા આતુર છે. જેમના ઘરે લગ્નપ્રસંગ છે તેમને કેટરર્સ, મંડપ ડેકોરેશનથી માંડીને સગાસંબંધીઓને આમંત્રણ આપવાથી લઈને ભારે હૈયે સંબંધીઓને ના પાડવા સુધીના કપરા કામો આ કોરોના કાળમાં કરવા પડી રહ્યાં છે. જોકે, કોરોનામહામારીમાં બધું જ બદલી ગયું છે. જેમાં કંકોતરી પણ બાકાત નથી રહી. કોરોના મહામારી વચ્ચે પણ જે લોકોના લગ્ન છે તે લોકો કંકોતરીમાં પણ એ જ જૂના ટહુકાના બદલે કશુંક નવું અને ઈનોવેટિવ લાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. એવી જ કેટલીક કંકોતરીઓનો ટહુકો, ચાંદલો અને અવનવા સ્લોગન વાઈરલ થયા છે. એટલું જ નહીં આ સાથે એવી પણ કંકોત્રીઓ વાઈરલ થઈ છે જેમાં મહેમાનોને આમંત્રણની સાથે સેનેટાઈઝર અને માસ્ક પણ મોકલવામાં આવી રહ્યું છે.

વરરાજાના કાકા ભૂપેન્દ્રભાઈ જોશીના જણાવ્યાનુસાર કોરોનાકાળમાં લગ્નનું આયોજન કરવું એ એકદમ કપરું કામ છે. પ્રસંગ પાર પાડવાની સાથે જ સરકારના નિયમોનું પાલન કરવાનું પણ ધ્યાનમાં રાખવું જોઈએ જેથી અમે કંકોતરીની સાથે જ લોકોને ‘JOSHI’નાં ફુલફોર્મ પણ આપ્યું છે. જેમાં J=Jogging Daily, O=Oxygen Monitoring, S=Social Distance, H=Home is safe place, I= Inhale steam Daily એવો મતલબ કર્યો છે.

આ ઉપરાંત વરરાજાના માસી હર્ષાબહેને જણાવ્યું હતું કે, અમે કંકોતરીમાં ચાંદલો પણ કોરોનાની જાગૃતિ વિશે જ લખાવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 'અમને વ્હાલો લાગશે તમારો સાથ, જો સેનિટાઈઝરથી ધોશો વારંવાર હાથ', ' માસ્ક' અને 'સોશિયલ ડિસ્ટન્સ'થી બાંધો સેતુ, તમે સ્વસ્થ રહો એ જ જોશી પરિવારનો હેતુ' આ રીતે લગ્નપ્રસંગના આયોજનની સાથે લોકોમાં કોરોના અંગે જાગૃતિ આવે તે પણ ખૂબ જ જરુરી છે.

આ ઉપરાંત અન્ય એક કંકોતરીનું આમંત્રણ પણ વાઈરલ થઈ રહ્યું છે. જેમાં લગ્નના કાર્ડ પર લખવામાં આવ્યું છે કે આપશ્રી/આપ બન્ને/સહકુટુંબ/એક પણ નહીં. આ કાર્ડમાં શુભ લગ્નસ્થળ જનપથ પાર્ટી પ્લોટ, શંકુ વોટર પાર્કની સામે, મહેસાણા હાઈવે દર્શાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે લગ્નમાં મહેમાનોની લિમિટ ફરી ઘટાડતા લોકોને પારાવાર મુશ્કેલી આવી છે પરંતુ પ્રદિપસિંહ જાડેજાએ તાજેતરમાં જ જણાવ્યું છે કે હવે રાજયમાં લગ્ન માટે કોઈ પરમિશન નહીં લેવી પડે તે રાહતની વાત છે.

સોશિયલ મીડિયા પર વધુ એક કંકોત્રી પણ વાઈરલ થઈ છે. જેમાં જોઈ સકાશ છે કે મહેમાનોને આમંત્રણની સાથે સેનેટાઈઝરની નાની બોટલ અને બીજા બાજુ માસ્ક પણ મોકલવામાં આવ્યું છે. જેથી પ્રસંદ દરમિયાન તેઓ માસ્કમાં આવે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી શકે.

(9:39 am IST)