Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

યુપીના અધિકારી ધર્માંતરણ કરાવતા હોવાનો આરોપ

અધિકારીનો એક સનસનીખેજ વીડિયો વાયરલ : વરિષ્ઠ આઈએએસ ઓફિસર ઈફ્તિખારુદ્દીન હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્ય પરિવહન નિગમના ચેરમેન છે

લખનૌ, તા.૨૮ : યુપીના વરિષ્ઠ આઈએએસ અધિકારીનો એક સનસનીખેજ વિડિયો વાયરલ થયો છે. જેમાં તે પોતાના સરકારી નિવાસ સ્થાન પર કેટલાક લોકોને ધમાઁર્તરણના ફાયદા ગણાવતા દેખાઈ રહ્યા છે. મામલામાં યુપી સરકારે વિશેષ ટીમ બનાવીને સાત દિવસમાં તપાસ પૂરી કરીને રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો છે.

વિવાદમાં આવેલા વરિષ્ઠ આઈએએસ ઓફિસર ઈફ્તિખારુદ્દીન હાલમાં યુપી રાજ્ય પરિવહન નિગમના ચેરમેન છે. વાયરલ થયેલા વિડિયોમાં તેઓ પોતાના નિવાસ સ્થાન પર મુસ્લિમ ધર્મને લઈને ચર્ચા કરી રહ્યા છે અને તેમાં તેઓ કેટલાક બીજા વ્યક્તિઓને કહી રહ્યા છે કે, આખી દુનિયામાં ઈસ્લામનુ રાજ્ય સ્થાપવાનુ છે.

વિડિયો વાયરલ થયા બાદ ભાજપના એક નેતાએ સીએમને પત્ર લખીને કહ્યુ છે કે, જ્યારે અધિકારી કાનપુરમાં તૈનાત હતા ત્યારે તેમણે પોતાના હોદ્દાનો દુરપયોગ કરીને ગરીબ લોકોનુ ધર્માંતરણ કરાવ્યુ હતુ. બાબતની તપાસ થવી જોઈએ. દરમિયાન મઠ મંદિર સમન્વય સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષે પણ સીએમને ફરિયાદ કરી છે કે, જ્યારે ઈફ્તિખારુદ્દીન કાનુપરમાં હતા ત્યારે રમઝાન મહિના દરમિયાન તેમના ઘરે કે ઓફિસમાં કોઈ કર્મચારી કશું ખાઈ પી શકતા નહોતા. દરમિયાન ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યે કહ્યુ છે કે, એક વખત તપાસ પુરી થશે અને વિડિયોમાં કેટલી સચ્ચાઈ છે તે બહાર આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(7:22 pm IST)