Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

બોલો સાસરીયાએ મૃત દીકરાની પત્નીને સલમાનખાન સાથે પરણાવી દીધી!

રાંચી તા ૨૮  : સલમાન ખાન બોલીવુડનો મોસ્ટ સ્યુટેબલ બેચલર ગણાય છે. જોકે એક પરિવારે પોતાના જ દીકરાવહુને સમલાન ખાન સાથે પરણાવી દીધી હોવાની તસ્વીરો વાઇરલ થઇ છે. વાત એમ છે કે, છત્તીસગઢના વિલાસપુરના વૈંકુઠપુરમાં રહેતા વસંતલાલનાં લગ્ન સુરજપુર ગામની રાની દેવી સાથે થયાં હતાં વસંતલાલ એક સરકારી નોકરી કરતા હતા. જોકે ૨૫ જુલાઇ ૨૦૧૩ ના રોજ વસંતલાલે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. એ પછી તેની પત્નીને સાસરિયાઓએ ઘરેથી કાઢી મૂકી હતી અને કહ્યું કે હવે વસંત રહ્યો નથી ત્યારે તારો આ પરિવાર સાથે કોઇ સંબંધ નથી. જોકે જયારે વસંતલાલના મૃત્યુ પછી તેમની સરકારી નોકરી તેના જ પરિવારની વ્યકિતને મળે એવી યોજના હતી, એટલે સરકારી ખાતા દ્વારા  વસંતલાલની પત્ની વિશે પુછતાછ થઇ. સાસરિયાઓ એ સરકારી નોકરી કોઇ પણ ભોગે વહુને ન મળે પણ પોતાનાજ પરિવારજનોને મળે એ માટે ગોલમાલની પેરવીમાં લાગ્યા. નવાઇની વાત એ છે કે આ માટે પરિવારજનોએ વિચીત્ર નુસખો શોધ્યો. રાની દેવીએ બીજા લગ્ન કરી લીધાં છે. એવો પુરાવો તેમણે સરકારી ઓફીસમાં જમા કરાવ્યો. જેથી તેની સરકારી નોકરી પરની દાવેદારી હટી જાય. અલબત આ માટે તેના નવા પતિ તરીકે સલમાનખાનની તસ્વીર એડિટ કરીને મુકી દીધી હતી. હાઇકોર્ટમાં આ મામલો પહોંચ્યો ત્યારે તસ્વીર ખોટી છે એ પુરવાર કરવામાં જરાય સમય ન લાગ્યો. સલમાનનો ચહેરો એડિટ કરેલો હોવાથી કોર્ટે પણ રાની દેવીની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

(11:20 am IST)