Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ઇન્ડોનેશિયામાં ૭.૫ની તીવ્રતા સાથે ધરતીકંપઃ સુનામીથી ભય

અનેક ઇમારતો ધરાશાયી થઇ હોવાના અહેવાલઃ પાલુ શહેરમાં સુનામીના કારણે દરિયામાં છ ફુટ સુધીના મોજા ઉછળ્યા : લોકો દહેશતના કારણે ભાગતા દેખાયા

જાકાર્તા, તા, ૨૭: ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમાં પ્રચંડ ભુકંપ બાદ સુનામી ત્રાટકતા આને લઇને ભારે દહેશત જોવા મળી હતી. ૧.૫ મીટરથી બે મીટર સુધીના મોજા ઉછળ્યા હોવાનું જાણવા મળ્યું છે. અનેક વિસ્તારોમાં ઇમારતો ધરાશાયી હોવાનું જાણવા મળ્યું છે. લોકો બુમાબુમ કરતા ભાગતા નજરે પડ્યા હતા. જાણવા મળેલી માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૫ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. શક્તિશાળી સુલાવેસી ભૂકંપ બાદ સુનામી ત્રાટકતા અફડાતફડી મચી ગઈ હતી. જો કે, સુનામીની ચેતવણી થોડાક સમય બાદ ઉઠાવી લેવામાં આવી હતી. જો કે, ઇન્ડોનેશિયન ટીવીએ શક્તિશાળી મોજાના એક સ્માર્ટ ફોનના વિડિયો દર્શાવ્યા હતા જેમાં પાલુમાં લોકો ચારેબાજુ ભાગતા નજરે પડ્યા હતા. પાલુ શહેરમાં બે મીટર સુધીના મોજા ઉછળ્યા હતા પરંતુ પાણીની ગતિ પ્રમાણમાં ધીમી રહી હતી. સુનાવણીની ચેતવણી પરત લઇ લેવામાં આવ્યા બાદ તંત્રએ રાહત અનુભવી હતી. પાલુ શહેરમાં સુનામીના કારણે દરિયામાં છ ફુટ સુધી મોજા ઉછળ્યા હતા. અનેક ઇમારતો પણ ધરાશાયી થઇ હોવાનું જાણવા મળ્યું છે. ઉથલપાથલ અને દહેશત વચ્ચે લોકો માર્ગો ઉપર દોડતા નજરે પડ્યા હતા. મધ્ય સુલાવેસીના ડોગલા વિસ્તારમાં ૧૦ કિલોમીટર જમીનની નીચે ભૂંકપનો આંચકો આવ્યો હતો. ભૂકંપના કારણે સુનામીની અસર થઇ હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષની શરૃઆતમાં જ લોંમબોક દ્વિપમાં ભૂકંપમાં સેંકડો લોકોના મોત થયા હતા. આજે ભુકંપનું કેન્દ્ર પાલુ શહેરથી ૭૮ કિલોમીટરના અંતરે સ્થિત હતું. પાલુ મધ્ય સુલાવેસી પ્રાંતના પાટનગર તરીકે છે. ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે, તેની અસર અહીંથી આશરે ૯૦૦ કિલોમીટર દૂર સુધી જોવા મળી હતી. પાલુના દક્ષિણમાં આશરે ૧૭૫ કિલોમીટરના અંતરે સ્થિત તોરાજાના નિવાસીએ કહ્યું હતું કે, ભૂકંપના પ્રચંડ આંચકા અનુભવાયા હતા. ઇન્ડોનેશિયા સૌથી વધારે ભૂકંપ પ્રભાવિત વિસ્તાર તરીકે છે. ડિસેમ્બર ૨૦૦૪માં પશ્ચિમી ઇન્ડોનેશિયાના સુમાત્રામાં ૯.૩ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો ત્યારબાદ સુનામીના કારણે હિંદ મહાસાગર ક્ષેત્રના અનેક દેશોમાં ૨૨૦૦૦૦ લોકોના મોત થયા હતા.

(10:13 pm IST)