Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

મુર્ખતા માટે એક જ જગ્યા છે અને તે કોંગ્રેસ પાર્ટી છે

અમિત શાહના રાહુલ ગાંધીના અંદાજમાં પ્રહાર : સુપ્રીમનો ચુકાદો આવ્યા બાદથી કોંગ્રેસ પાર્ટી ખુલ્લી પડી ગઈ છે : રાહુલે માથું ઝુકાવી લેવું જોઇએ : સંબિત પાત્રા

નવી દિલ્હી, તા.૨૮ : ભીમા કોરેગાંવ હિંસાના મામલામાં કાર્યકરોની ધરપકડ પર વિપક્ષના આરોપોનો સામનો કરી રહેલા ભાજપને આજે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી રાહત થઇ હતી. નજરકેદ હેઠળ રહેલા કાર્યકરોને કોઇ રાહત આપવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યા બાદ ભાજપે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. બીજી બાજુ પાર્ટી પ્રમુખ અમિત શાહે રાહુલ ગાંધીના ટ્વિટના સહારે તેમના ઉપર જ તેમની સ્ટાઇલમાં જ પ્રહાર કર્યા હતા. શાહે રાહુલ ઉપર પ્રકાર કરતા કહ્યું હતું કે, મુરખતા માટે માત્ર એક જ જગ્યા છે અને તેને કોંગ્રેસ કહેવામાં આવે છે. હકીકતમાં નક્સલ કનેક્શન પર પાંચ કાર્યકરોને નજરકેદ હેઠળ પુરી દેવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભારતમાં માત્ર એક એનજીઓ માટે જગ્યા છે અને તે સંઘ છે. રાહુલે કહ્યું હતું કે, તમામ એનજીઓને બંધ કરી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે. તમામ કાર્યકરોને જેલમાં પુરાવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ અમિત શાહે તેમના જ અંદાજમાં તેમના ઉપર પ્રહાર કર્યા છે. ભાજપ અધ્યક્ષે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભારતના ટુકડે ટુકડા કરવાનું વિચારતી ટોળકી, બનાવટી કાર્યકરો, માઓવાદીઓ અને ભ્રષ્ટ લોકોને સમર્થન આપો એવી રણનીતિ કોંગ્રેસની રહી છે. જે ઇમાનદાર લોકો છે તે કામ કરી રહ્યા છે તે લોકોને બદનામ કરવાની કોંગ્રેસની નીતિ રહી છે. રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી આજ કામ કરી રહી છે. ભાજપે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રતિક્રિયા આપી હતી. ભાજપ પ્રવક્તા સંબીત પાત્રાએ કહ્યું હતું કે, નક્સલ લિંકમાં કાર્યકરોની ધરપકડનું કારણ રાજકીય ન હતું. રાહુલ ગાંધી અને કોંગ્રેસની ટીમ ફેંકાઈ ચુકી છે. સરકાર સાથે અસહમતિ ધરાવનાર લોકોની ધરપકડ કરવામાં આવી રહી છેતેવા આરોપ આધારવગરના છે.પાત્રાએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની સુપ્રીમના ચુકાદાથી હાર થઇ છે. રાહુલ ગાંધીને આ ચુકાદા બાદ શરમથી માથું ઝુકાવી દેવું જોઇએ. પોતાની રાજકીય કેરિયરના ગ્રાફને ઉપર લઇ જવા જેમ તેમ નિવેદન રાહુલ ગાંધી કરી રહ્યા છે.

(7:30 pm IST)