Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

તારીક અનવરે એનસીપી સાથે સંબંધોને તોડ્યા : પાર્ટીને ફટકો

લોકસભામાંથી પણ રાજીનામુ આપવાની જાહેરાત : રાફેલ ડિલના મુદ્દા ઉપર વડાપ્રધાનને શરદ પવારે સમર્થન આપતા નારાજ થઇને પાર્ટી છોડી : એનસીપીમાં ખેંચતાણ

નવી દિલ્હી, તા. ૨૮ : એક મોટા રાજકીય ઘટનાક્રમના ભાગરુપે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના મહાસચિવ અને બિહારના કટિહારમાંથી સાંસદ તારીક અનવરે આખરે પાર્ટી સાથે છેડો ફાડી લીધો છે. લોકસભાના સભ્ય તરીકે પણ તારીક અનવરે રાજીનામુ આપી દીધું હતું. એમ માનવામાં આવે છે કે, પાર્ટી પ્રમુખ શરદ પવાર દ્વારા રાફેલ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં નિવેદન કરવામાં આવ્યા બાદ તારીખ અનવરે રાજીનામુ આપ્યું છે. તારીક અનવર એનસીપીના મોટા નેતાઓ પૈકી એક હતા. તેમના રાજીનામાથી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. તેઓ બિહારની કટિહાર સીટ પર અનેક વખત જીતી ચુક્યા છે. તારીક અનવર એનસીપીના સ્થાપક નેતાઓ પૈકીના એક તરીકે હતા. અલબત્ત રાજનીતિની શરૂઆત તેઓએ કોંગ્રેસ પાર્ટી સાથે કરી હતી. ૧૯૮૦માં પ્રથમ વખત કટિહાર લોકસભામાંથી ચૂંટાયા હતા. તેઓ ભારતીય યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના હોદ્દા ઉપર પણ રહ્યા હતા. સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દા ઉપર રહીને શરદ પવારની સાથે રહીને ૧૯૯૯માં તારીક અનવરે કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો. તે ગાળામાં શરદ પવાર, સંગમા અને તારીક અનવરે મળીને એનસીપીની રચના કરી હતી. યુપીએ-૨ના ગાળા દરમિયાન તેઓ કૃષિ રાજ્યમંત્રી બન્યા હતા. મરાઠી ચેનલને આપેલી એક મુલાકાતમાં શરદ પવારે એમ કહીને પાર્ટીના નેતાઓને નારાજ કરી દીધા છે કે, રાફેલ સોદા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇરાદા ઉપર કોઇપણ શંકા કરી શકે નહીં. પવારે એમ પણ કહ્યું હતું કે, વિમાન સાથે જોડાયેલી ટેકનિકલ માહિતી કોઇને આપવાની બાબત યોગ્ય નથી. વિપક્ષ દ્વારા કરવામાં આવેલી આવી માંગ બિલકુલ આધાર વગરની છે. જો કે, પવારે આ ગાળામાં કહ્યું હતુ ંકે, વિમાનની  કિંમતોનો ખુલાસો કરવામાં કોઇપણ નુકસાન નથી. ભાજપ પ્રમુખ અમિત શાહે આના માટે ટ્વિટ કરીને પવારનો આભાર માન્યો છે. પવારના નિવેદન બાદ એનસીપીએ આજે કહ્યું હતું કે, તેમના પ્રમુખ દ્વારા રાફેલ મુદ્દા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી નથી. એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે પાર્ટીની આ માંગને રજૂ કરી છે કે, કેન્દ્ર સરકાર યુદ્ધવિમાનોની કિંમત અંગે ખુલાસો કરી શકે છે. આ મામલામાં સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી શકે છે. એનસીપીના મહાસચિવ તારીક અનવર દ્વારા પાર્ટી છોડી દેવામાં આવ્યા બાદ એનસીપીના પણ ઘણા સભ્યો નાખુશ દેખાઈ રહ્યા છે. લોકસભામાંથી પણ રાજીનામુ આપી દીધું છે.

(7:27 pm IST)