Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ર૦ લાખ ખાલી જગ્યાઓને ટુંકમાં ભરવા માટે મોદી સરકાર સુસજ્જ

બેરોજગારીને લઇને થઇ રહેલી ટીકા વચ્ચે સરકાર સંપૂર્ણ તૈયાર : કેન્દ્ર અને રાજ્ય સ્તરે ખાલી જગ્યાઓ ભરાશે : કેન્દ્રીય મંત્રાલય અને પબ્લિક સેકટરની ર૪૪ કંપનીઓ સાથે ભરતીની મોટા પાયે શરૂઆત થશે : અહેવાલ

નવી દિલ્હી,તા. ૨૮: બેરોજગારીના મોરચે ચારેબાજુથી ઘેરાઇ ગયેલી મોદી સરકારે હવે આ દિશામાં સક્રિય રીતે આગળ વધવા માટે કમર કસી લીધી છે. ટુંક સમયમાં જ હવે રોજગારીનો વરસાદ થનાર છે. કેન્દ્ર અને રાજ્ય સ્તર પર ખાલી ૨૦ લાખ જગ્યાને ભરવામાં આવનાર છે. ખાલી જગ્યાને વહેલી તકે ભરવામાં આવનાર છે. જેમાં સરકારી કંપનીઓમાં ખાલી પડેલી જગ્યાનો સમાવેશ થાય છે. આની શરૂઆત કેન્દ્રિય મંત્રાલય અને જાહેર ક્ષેત્રની ૨૪૪ કંપનીઓ સાથે કરવામાં આવનાર છે. માત્ર  રેલવેમાં સેપ્ઠી સંબંધિત મામલામાં બે લાખથી વધારે લોકોને નોકરી આપવાની યોજના છે. આ પહેલ  શ્રમ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.

મોદી સરકાર આ રીતે જોબલેશ ગ્રોથને લઇને થઇ રહેલી ટિકાનો  જવાબ આપવા જઇ રહી છે. શ્રમ મંત્રાલય  કેન્દ્ર સરકારના વિભાગો અને સંસ્થાઓમાં ખાલી રહેલી જગ્યા અંગે માહિતી મેળવી રહ્યુ છે. ત્યારબાદ તે પ્લાન રજૂ કરનાર છે. તેમાં દૈનિક, સાપ્તાહિક અને માસિક આધાર પર આ તમામ ખાલી જગ્યાને ભરવાની યોજના રહેશે. આ માહિતી એક મોટા સરકારી અધિકારી દ્વારા આપવામાં આવી છે. વહીવટી ખર્ચને કાબુમાં લેવાના હેતુથી એક પછી એક સરકારોએ ભરી પર બ્રેક મુકી હતી. આવનાર કેટલાક મહિનામાં સરકાર આ તમામ ખાલી જગ્યાને ભરવા માટેની કવાયત શરૂ કરશે.

અલબત્ત કેન્દ્ર સરકાર આ ખાલી જગ્યાને એવા સમય પર ભરવા જઇ રહી છે જ્યારે ફિસ્કલ ડેફિસીટના ટાર્ગેટને હાંસલ કરવામાં મુશ્કેલી નડી રહી છે. અંદાજ મુજબ કેન્દ્ર મંત્રાલયના સ્તર પર છ લાખથી વધારે જગ્યા ખાલી છે. કેન્દ્રિય સ્તર પર ભરતી અભિયાન સફળ રહ્યા બાદ રાજ્ય  સ્તર પર આ પ્રક્રિયાને આગળ વધારી દેવામાં આવનાર છે. જેમાં ૨૦ લાખ લોકોને નોકરી મળી શકે છે. શ્રમ મંત્રાલય વધારે સક્રિય દેખાઇ રહ્યુ છે.

સરકાર પર રોજગારીની તક વધારી દેવા માટે ખુબ દબાણ છે. આ દિશામાં સક્રિય રીતે સરકાર આગળ વધવા તૈયાર છે. સરકાર પર રોજગારને લઇને દબાણ વધી રહ્યું છે. કારણ કે, ૧૦ લાખ લોકો વર્કફોર્સમાં જોડાઈ રહ્યા છે. ઇન્ડસ્ટ્રીના અંદાજ મુજબ નાણાંકીય વર્ષ ૨૦૧૨થી ૨૦૧૬ વચ્ચેના ગાળામાં દેશમાં દર વર્ષે ૩૬.૫ લાખ નવા રોજગારના અવસરો બન્યા હતા. વર્ષ ૨૦૧૨માં દેશમાં કુલ વર્કફોર્સ ૪૭.૩૬ કરોડનો હતો જે પૈકી ૨૩ કરોડ એગ્રીકલ્ચર અને ૨૪ કરોડ ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટર સાથે જાડાયેલા લોકો હોવાની વિગત સપાટી ઉપર આવી છે.

(4:42 pm IST)