Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

‘વિધાનસભા ભંગ થતા જ લાગુ થઇ જશે આચાર સંહિતા'

ચૂંટણી પંચે લીધો મહત્‍વનો નિર્ણય

નવી દિલ્‍હી તા. ૨૮ : ચૂંટણી પંચે એક મહત્‍વપૂર્ણ આદેશ આપ્‍યો છે. આ આદેશની અસર ચૂંટણીવાળા રાજયોમાં તાત્‍કાલિક પ્રભાવથી દેખાશે. ચૂંટણી પંચે આદેશ આપ્‍યો છે કે, ચૂંટણી આચાર સંહિતા વિધાનસભા ભંગ થાય તે પછી તરત જ લાગુ થઈ જશે. અત્‍યાર સુધી નિયમ હતો કે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરાયા બાદ આચાર સંહિતા લાગુ પડતી હતી.

એસઆર બોમાઈ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકતા જણાવ્‍યું કે, કાર્યકારી સરકારે માત્ર રોજબરોજનું કામકાજ કરવું જોઈએ અને કોઈપણ નીતિ સંબંધી નિર્ણયથી બચવું જોઈએ. બધા રાજયો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના કેબિનેટ સેક્રેટરી અને ચીફ સેક્રેટરીને ગુરુવારે પત્ર લખીને આ જાણકારી આપવામાં આવી. પત્રમાં કહેવાયું કે, સમયથી પહેલા વિધાનસભા ભંગ થવાની સ્‍થિતિમાં પણ મોડલ કોડ ઓફ કંડક્‍ટ તાત્‍કાલિક પ્રભાવથઈ લાગુ થશે અને નવી સરકાર શપથ લે ત્‍યાં સુધી લાગુ રહેશે.

ચૂંટણી પંચે કહ્યું કે, ‘નિયમો મુજબ આ આદેશ કેરટેકર રાજય સરકારની સાથે કેન્‍દ્ર પર પણ લાગુ પડે છે. એવામાં આચાર સંહિતા લાગુ થયા બાદ રાજય સરકાર કે કેન્‍દ્ર સરકાર કોઈ પણ યોજનાની જાહેરાત કરી ન શકે.'

ત્‍યારે આ નિર્ણયની સૌથી વધુ અસર તેલંગણા પર થશે. જયાં મુખ્‍યમંત્રી કે ચંદ્રશેખર રાવે ગત ૬ સપ્‍ટેમ્‍બરે જ વિધાનસભા ભંગ કરી દીધી હતી અને રાજયમાં ફરીથી ચૂંટણી કરાવવાની ભલામણ કરી હતી. તે ઉપરાંત મધ્‍યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્‍થાન અને મિઝોરમમાં પણ ટૂંક સમયમાં જ ચૂંટણી યોજાવાની છે.

(11:19 am IST)