Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કોરોનાના નવા કેસોમાં ભારે ઉછાળો

૨૪ કલાકમાં ૪૩૬૫૪ નવા કેસ, ૬૪૦ દર્દીનાં મોત

ભારતમાં કોવિડ-૧૯ સામે લડતાં કુલ ૪,૨૨,૦૨૨ દર્દીઓએ જીવ ગુમાવ્યોઃ હાલમાં ૩,૯૯,૪૩૬ એકિટવ કેસ

 

નવી દિલ્હી, તા.૨૮: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ જોવા મળી રહી છે. કોઈક દિવસે કોરોના (કોવિડ-૧૯)નો ગ્રાફ નીચે જોવા મળતા રાહત લાગે છે અને બીજા જ દિવસે આંકડામાં મોટો ઉછાળો જોવા મળતાં ચિંતામાં વધારો થાય છે. કોરોનાની ત્રીજી લહેરને ચેતવણીની વચ્ચે કોરોના વાયરસના વધતા કેસ ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ફરી ૪૦ હજારથી વધારે કેસ નોંધાયા છે અને ૬૦૦થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

 સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૩,૬૫૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૬૪૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૩,૭૧,૯૦૧ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૪૪,૬૧,૫૬,૬૫૯ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે

 કોરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૬ લાખ ૬૩ હજાર ૧૪૭ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૪૧,૬૭૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩,૯૯,૪૩૬ એકિટવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૨૨,૦૨૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૭ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૬,૦૯,૦૦,૯૭૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૭,૩૬,૮૫૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

(11:04 am IST)