Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

કાશ્મીર અંગે મંત્રણામાં હવે હુર્રિયતને સામેલ કરવા માંગ

મહેબુબા મુફતી દ્વારા વિવાદાસ્પદ માંગણી કરાઈ : પીડીપી અને ભાજપ વચ્ચે ખેંચતાણ હજુ વધે તેવા સંકેતો

જમ્મુ,તા. ૨૮ : પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી (પીડીપી)માં ભાગલા પાડવા સામે કેન્દ્ર સરકારને ચેતવણી આપ્યાના દિવસો બાદ જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ હવે કાશ્મીરના મામલે મંત્રણામાં હુર્રિયત કોન્ફરન્સના નેતાઓને સામેલ કરવા માટે માંગણી કરી છે. એક રેલીને સંબોધતા મહેબુબા મુફતીએ કહ્યું હતું કે પીડીપી દ્વારા રમજાન દરમિયાન યુદ્ધ વિરામ માટે પહેલ કરવામાં આવી હતી. હુર્રિયત પ્રત્યે પણ હકારાત્મક વલણ દાખવવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી છે. મંત્રણા ટેબલ ઉપર તેમને લાવવા માટેના પ્રયાસો થવા જોઈએ. પીપીડી દ્વારા રમજાન દરમિયાન યુદ્ધ વિરામ માટે પહેલ કરવામાં આવી હતી. હવે હુર્રિયત માટે પણ આવી જ અપીલ કરવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા પીડીપીમાં ભાગલા પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે. મહેબુબાએ હાલમાં જ કેન્દ્રને ચેતવણી આપતા કહ્યું હતું કે જો દિલ્હી ૧૯૮૭ની જેમ જ લોકોનાં મત અધિકારને આંચકી લેશે તો ખતરનાક પરિણામ આવશે. કેન્દ્ર સરકારના અગાઉના પ્રયાસોના લીધે જ સલાઉદ્દીન અને યાસીન મલિક જેવા કટ્ટરપંથીઓના જન્મ થયા હતા. જો પીડીપીને તોડવાના પ્રયાસ થશે તો આવાજ પરિણામ આવશે. પીડીપી સાથે ભાજપે છેડો ફાડી લીધા બાદ મહેબુબાએ આ મુજબની ચેતવણી આપી હતી. જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન સરકારને ટેકો બીજેપી દ્વારા પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. પીડીપી દ્વારા ભાજપના નામનો ઉલ્લેખ કર્યા વગર આ પ્રકારની ચેતવણી આપવામાં આવી હતી. બીજી બાજુ સલાઉદ્દીન અને યાસીન મલિક જેવા નેતાઓને વધારે મહત્વ આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મુફતી મોહંમદે અગાઉ ચેતવણી આપી હતી કે ભાજપ ટૂંક સમયમાં જ યોગ્ય રીતે કાર્યવાહી કરશે. પીડીપી અને ભાજપ વચ્ચે ખેંચતાણનો અંત આવ્યા બાદ હવે બંને અલગ પણ થઈ ચુક્યા છે. સમાધાનના પ્રયાસ અગાઉ કરવામાં આવ્યા હતા પરંતુ ભાજપે કાશ્મીરમાં વધતી હિંસા વચ્ચે ટેકો પાછો ખેંચી લીધો હતો.

(7:08 pm IST)