Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ક્રિપ્ટો કરન્સીમાં નિયંત્રણો છતાં દોઢ કરોડ ભારતીયોનું રોકાણ

ક્રિપ્ટો કરન્સીમાં ભારતીયોનો સતત વધતો ક્રેઝ : સોનામાં રોકાણથી વિમુખ થતાં ભારતીયો યુવાઓની રોકાણ માટે ક્રિપ્ટો કરન્સી હવે

મુંબઈ, તા. ૨૮ : ભારતીયોનો સોના પ્રત્યેનો મોહ જાણીતો છે. દેશમાં લોકોના ઘરોમાં જ ૨૫ હજાર ટન જેટલું સોનું સંગ્રહાયેલું હોવાનો અંદાજ છે. જોકે, જમાના સાથે હવે રોકાણ કરવાની રીત પણ બદલાઈ રહી છે. તેમાંય ખાસ કરીને યંગ જનરેશનને હવે સોનામાં રોકાણ કરવામાં જાણે ખાસ રસ ના રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. શેરમાર્કેટ બાદ હવે ક્રિપ્ટો કરન્સીમાં ભારતીયોનો રસ દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે યંગ રોકાણકારો સોનાને બદલે ક્રિપ્ટો અને ખાસ તો બિટકોઈનમાં રુપિયા રોકવાનું પસંદ કરી રહ્યા છે.

રિચી સુદ ૩૨ વર્ષની યુવતી છે. નોકરીને બદલે સ્વતંત્ર વ્યવસાય કરતી રિચી પણ ગોલ્ડ છોડીને ક્રિપ્ટો તરફ વળેલા લાખો ભારતીય યંગસ્ટર્સમાંની એક છે. ડિસેમ્બરથી તેણે બિટકોઈન, ડોજકોઈન અને ઈથરમાં ૧૦ લાખ રુપિયા રોક્યા હતા. જેમાંથી કેટલીક રકમ તેણે પોતાના પિતા પાસેથી ઉધાર લીધી હતી. જોકે, તે લકી હતી કે તેણે બિટકોઈન ફેબ્રુઆરીમાં ૫૦ હજાર ડોલરની સપાટીએ પહોંચ્યો ત્યારે જ તેને વેચી દીધો હતો. ત્યારબાદ તેણે બિટકોઈનમાં આવેલા જોરદાર ઘટાડા બાદ ફરી તેને ખરીદ્યો હતો. આ ટ્રેડમાં રિચી સારું એવું કમાઈ ગઈ અને તેનાથી તેને પોતાના સ્ટાર્ટઅપ સ્ટડી મેટ ઈન્ડિયા માટે વ્યવસ્થિત ફંડ પણ મળી ગયું.

રિચી જણાવે છે કે તે ગોલ્ડ કરતાં ક્રિપ્ટોમાં રોકાણ કરવું વધારે પસંદ કરશે. તેનું માનવું છે કે ગોલ્ડ કરતાં ક્રિપ્ટો વધારે પારદર્શક છે અને શોર્ટ ટાઈમમાં મોટું રિટર્ન આપી શકે છે. આવું માનનારી રિચી એકમાત્ર યુવતી નથી. એક અંદાજ અનુસાર, ભારતમાં ક્રિપ્ટોમાં રોકાણ કરનારાની સંખ્યા હાલ દોઢ કરોડની આસપાસ હોવાનું મનાઈ રહ્યું છે. દેશમાં બિટકોઈન કે ક્રિપ્ટો કરન્સી પર નિયંત્રણો હોવા છતાંય આટલી મોટી સંખ્યામાં ભારતીયો તેમાં ટ્રેડિંગ કરી રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર, ૩૪ વર્ષથી ઓછી વય ધરાવતો ભારતીય યુવાવર્ગ ગોલ્ડમાંથી રસ ગુમાવી રહ્યો છે. બીજી તરફ, એક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના કો-ફાઉન્ડરનું કહેવું છે કે ક્રિપ્ટોમાં રોકાણ કરનારા મોટાભાગના ભારતીયો ૩૪ વર્ષથી ઓછી વયના છે.

        ગોલ્ડની સરખામણીએ ક્રિપ્ટોમાં રોકાણ કરવાની પ્રોસેસ ખૂબ જ સિમ્પલ હોવાથી તેના તરફ આકર્ષણ વધી રહ્યું છે. ઝેબપેના કો-ફાઉન્ડર સંદીપ ગોયંકા જણાવે છે કે ક્રિપ્ટો ખરીદવા બસ એક મોબાઈલ કે કમ્પ્યુટર પૂરતા છે. ઓનલાઈન જાઓ, લોગ-ઈન કરો અને ક્રિપ્ટો ખરીદી લો.. તેને વેરિફાઈ કરવાની પણ જરુર નથી. સંદીપ ગોયંકા વર્ષોથી સરકાર ક્રિપ્ટો માટે નીતિ બનાવે તે માટે પ્રયાસો કરી રહ્યા છે. ૨૦૧૮માં ભારતમાં ક્રિપ્ટોના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે, ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રતિબંધ હટી જતાં ટ્રેડિંગમાં મોટો વધારો થયો છે.

બીજી તરફ, ક્રિપ્ટોમાં સૌથી મોટી અડચણ નિયમનની અનિશ્ચિતતા છે. સરકાર ક્રિપ્ટોને માન્યતા આપવાના મૂડમાં નથી. રિઝર્વ બેંક પણ સરકારના પક્ષે છે અને હજુ છ મહિના પહેલા જ સરકારે ડિજિટલ કોઈન્સના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી હતી. જે અમલમાં તો ના આવી, પરંતુ ત્યારથી સરકાર ક્રિપ્ટોના મામલે કંઈ બોલી પણ નથી. તેવામાં ક્રિપ્ટોમાં ટ્રેડિંગ હાઈ-રિસ્ક બની જાય છે.

ચાઈનાલિસિસના હાલની સ્થિતિમાં ભારતીયોનું બિટકોઈનમાં ૪૦ અબજ ડોલર જેટલું રોકાણ હોવાનું મનાય છે. જ્યારે ચીનનો આંકડો ૧૬૧ અબજ ડોલર છે. ભારતમાં બિટકોઈનના ટ્રેડિંગમાંથી કમાયેલા રુપિયા પર કેટલો ટેક્સ વસૂલવો તેની પણ હાલ કોઈ ચોખવટ નથી કરાઈ. તેવામાં ક્રિપ્ટોમાં ૧૦ લાખ ડોલર જેટલું જંગી રોકાણ ધરાવતા એક ભારતીય બેક્નરે પોતાનુ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે જો તેણે પોતાના રોકાણનો આંકડો જાહેર કર્યો તો તે શક્ય છે કે ઈક્નમ ટેક્સ તેના પર રેડ પાડે.

૨૨ વર્ષના સ્વતંત્ર ડિજિટલ માર્કેટર અને ક્રિપ્ટોમાં ૧૩૦૦ ડોલર જેટલું રોકાણ કરનારા કેનેથ અલ્વારેસનું કહેવું છે કે સરકારી નિયંત્રણો કે અંકુશોનો મામલો જોખમી તો છે, પરંતુ હાલ તેને પોતાનું રોકાણ લાંબા સમય માટે જાળવી રાખવું હોવાથી તેને ખાસ ચિંતા નથી. તેનું કહેવું છે કે, સમય જતાં દરેક વ્યક્તિ બિટકોઈનને સ્વીકારી લેશે.

(7:54 pm IST)